હોય કાંઈ..! અજમેરના આનાસાગર તળાવમાં 2000 રૂપિયાની નોટના બંડલ તરતા જોવા મળ્યા, જાણો ત્યારબાદ શું થયું?
અત્યાર સુધી લોકોની તિજોરીમાંથી રૂપિયા મળતા હતા પરંતુ આ ઘટના મુજબ તળાવમાંથી 2000 રૂપિયાની નોટો મળી આવી છે. આ નોટો અસલી છે કે નકલી એ હવે બેન્ક જણાવશે.
રાજસ્થાન પોલીસ દ્વારા રાજસ્થાનના (Rajasthan) અજમેરમાં (Ajmer) આવેલા આનાસાગર તળાવમાંથી 2 હજારની નોટનાં બંડલ તરતાં જોવા મળ્યાં. સ્થાનિકો લોકોએ આ અંગેની જાણ પોલીસને કરી હતી. ત્યારબાદ તરવૈયાઓની મદદથી તળાવમાંથી નોટનાં 54 બંડલ કાઢવામાં આવ્યાં છે. પોલીસનું કહેવું છે કે, આ બંડલ નકલી લાગી રહ્યાં છે, જે કુલ 1.08 કરોડનાં છે, જો કે આ મળેલી નોટોના બંડલો ભીના હોવાને કારણે નોટો અસલી છે કે નકલી કંઈ સ્પષ્ટ થતું નથી. કેટલાક અજાણ્યા લોકો દ્વારા આ નોટો પાણીમાં ફેંકવામાં આવી હતી.
આ મળેલી તમામ નોટ પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) લખેલું છે. એ એકદમ 2000ની અસલી નોટની જેવી જ લાગતી હતી. તમામ નોટનાં બંડલ પ્લાસ્ટિકની થેલીઓમાંથી મળ્યાં છે. આ ઘટના પુષ્કર રોડ સ્થિત સેન્ચુરી પબ્લિક સ્કૂલ પાસેની છે.
ASI બલદેવ સિંહે જણાવ્યું હતું કે, આનાસાગર તળાવમાં 3 થેલીમાં 2 હજારની નોટ હોવાની માહિતી મળી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આનાસાગર તળાવમાં પડેલી નોટ જપ્ત કરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, તળાવમાંથી મળેલી નોટ અસલી છે કે નકલી એ હમણાં ખ્યાલ આવતો નથી. પાણીમાં હોવાને કારણે બંડલો ભીના થઈ ગયા છે. મળી આવેલી તમામ નોટ પર રિઝર્વ બેંક લખેલું છે.
પોલીસે વધુ તપાસ કરી શરૂ
પોલીસના જણાવ્યા મુજબ આ અંગે ભારતીય રિઝર્વ બેંક તેમજ અન્ય બેંક પાસેથી આ અંગેની જાણકારી લીધા બાદ આ મામલે વધુ તપાસ કરવામાં આવશે. આ સાથે જ આ નોટને આનાસાગર તળાવમાં કોને ફેંકી એ અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. જેથી સ્પષ્ટ થઈ જાય કે આ નોટ આનાસાગરમાં ક્યાંથી આવી છે. હાલ પોલીસે નોટના બંડલોને જપ્ત કરીને તપાસ શરૂ કરી છે.
મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા
પહેલાં પણ આવી ઘટના ઘટી ચૂકી છે. જૂન 2021માં પણ આનાસાગર તળાવમાંથી રામાપ્રસાદ ઘાટની નજીકથી 200 અને 500ની અસલી નોટ તરતી મળી આવી હતી. નોટ મળ્યાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા તેમજ તરવૈયાઓ પણ તળાવમાં કૂદી પડ્યા હતા. આ અંગેની જાણ પોલીસને થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચીને તળાવમાં તરતા નોટોના બંડલોને જપ્ત કર્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું છે કે, કોઈ ઝાયરીનના તળાવમાં પડેલા પર્સમાંથી આ નોટ નીકળી હતી.