Maharashtra : મહીલા વકિલે માંગ્યુ ‘નો કાસ્ટ, નો રિલિજિયન સર્ટિફિકેટ’, આપ્યુ આ કારણ
મહારાષ્ટ્રની (Maharashtra) મહિલા વકીલ પ્રીતિ શાહે જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે 'નો કાસ્ટ, નો રિલિજિયન' પ્રમાણપત્રની માંગણી કરી છે. વર્ષ 2019 માં, તમિલનાડુના વેલ્લોર જિલ્લાની રહેવાસી સ્નેહા પ્રથિબરાજા, 'નો કાસ્ટ, નો રિલિજિયન' પ્રમાણપત્ર મેળવનારી દેશની પ્રથમ મહિલા બની હતી.
આજે એકવીસમી સદીમાં પણ ધર્મના નામે ઝઘડા થતા જોવા મળે છે. પરંતુ આજે ઘણા એવા લોકો છે જે જાતિ, ધર્મ વગેરેથી ઉપર ઉઠીને માનવતાને પ્રથમ મહત્વ આપે છે. આવો જ એક દાખલો મહારાષ્ટ્રમાં (Maharashtra) જોવા મળ્યો છે. મહારાષ્ટ્રની એક મહીલા વકિલે જીલ્લા મેજીસ્ટ્રેટ પાસે નો કાસ્ટ, નો રિલિજિયન સર્ટીફિકેટની (No caste, no religion certificate) માંગણી કરી છે. તેમનું કહેવું છે કે, તેમણે ડૉ. બાબા સાહેબ આંબેડકરના વિચારોથી પ્રેરણા મેળવીને આ નિર્ણય લીધો છે. તેમજ સમાજને સમાનતાનો સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે.
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં મહિલા વકીલ પ્રીતિ શાહે જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે ‘નો કાસ્ટ, નો રિલિજિયન’ પ્રમાણપત્રની માંગણી કરી છે. મહિલા વકીલ પ્રીતિ શાહ કહે છે કે તે સમાજમાં ફેલાયેલા ભેદભાવથી ખૂબ જ દુઃખી છે, તેથી તેણે જાતિ અને ધર્મથી મુક્ત થવાનો સંકલ્પ કર્યો છે. મહીલા વકિલે જણાવ્યુ હતું કે, તેમણે સૌપ્રથમ જિલ્લા કલેક્ટર અજય ગુલ્હાનેને પ્રમાણપત્ર માટે અરજી કરી હતી. જો કે, આ પ્રકારનું પ્રમાણપત્ર આપવાની જોગવાઈ વહીવટી સ્તરે છે કે કેમ તે ચકાસવા માટે તેમણે 15 દિવસનો સમય માંગ્યો છે.
પ્રીતિ શાહનું કહેવું છે કે ભવિષ્યમાં તેમણે કોઈપણ સર્ટિફિકેટમાં જાતિ અને ધર્મનો ઉલ્લેખ કરવો નથી. તે ભારતીય બનવા માંગે છે. તેથી તેમને ‘નો કાસ્ટ, નો રિલિજિયન’નું પ્રમાણપત્ર આપવું જોઈએ. અગાઉ, તમિલનાડુના વેલ્લોર જિલ્લાની રહેવાસી સ્નેહા ‘નો કાસ્ટ, નો રિલિજિયન’ પ્રમાણપત્ર મેળવનારી પ્રથમ મહિલા બની હતી. તેમને આ પ્રમાણપત્ર 5 ફેબ્રુઆરી 2019ના રોજ મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તમિલનાડુ રાજ્યના મહિલા વકીલ એમ. એ. સ્નેહાએ લાંબો સંઘર્ષ કર્યો હતો. તેણે નવ વર્ષ સુધી કોર્ટની લડાઈ લડી. બંધારણના અનુચ્છેદ હેઠળ આવું પ્રમાણપત્ર જાહેર કરી શકાય તે અંગે અદાલતે આખરે સંમતિ દર્શાવી અને આખરે તેમને પ્રમાણપત્ર મળ્યું હતું.
ગુજરાતમાં પણ આ મહીલાએ કરી સર્ટીફીકેટની માંગણી
આ સિવાય ગુજરાતના સુરત શહેરની એક બ્રાહ્મણ મહિલાએ ‘નો કાસ્ટ નો રિલિજિયન સર્ટિફિકેટ’ની માગણી સાથે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. કાજલ ગોવિંદભાઈ મંજુલા (36)એ તેના વકીલ ધર્મેશ ગુર્જર મારફત કોર્ટમાં અરજી કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે મદ્રાસ હાઈકોર્ટના સ્નેહા પ્રતિબરાજા કેસની તર્જ પર તેમને પણ ‘નો કાસ્ટ, નો રિલિજિયન’નું પ્રમાણપત્ર આપવામાં આવે.