Maharashtra Politics: શરદ પવાર મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેને મળ્યા ? જાણો કેમ
Sharad Pawar Meets Eknath Shinde: એનસીપીના પ્રમુખ શરદ પવાર, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આજે મુંબઈમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા હતા. આ મુલાકાતને પગલે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે.

NCPના પ્રમુખ શરદ પવાર મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય હલચલ વચ્ચે આજે ગુરુવારે (જૂન 1) મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મુંબઈ સ્થિત વર્ષા બંગલા ખાતે મળ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, મરાઠા મંદિર સંસ્થાએ 75 વર્ષ પૂર્ણ કર્યા છે. શરદ પવાર આ કાર્યક્રમ માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આમંત્રિત કરવા માટે શિંદેને મળ્યા છે. આ કાર્યક્રમ 24મી જૂને મુંબઈમાં યોજાવાનો છે. શરદ પવાર મરાઠા મંદિર સંસ્થાના પ્રમુખ છે. જો કે આ મુલાકાતે મહારાષ્ટ્રના રાજકારણમાં જરૂરથી વમળ સર્જયા છે.
આ બેઠક બાદ શરદ પવારે ટ્વિટ કર્યું કે મરાઠા મંદિરના અમૃત મહોત્સવની વર્ષગાંઠના અવસર પર સંસ્થા એક કાર્યક્રમનું આયોજન કરનાર છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને તેમના સત્તાવાર નિવાસસ્થાને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવા માટે મળ્યા હતા. મહારાષ્ટ્રમાં મરાઠી ફિલ્મ, થિયેટર અને કલા ક્ષેત્રના કલાકારો અને કારીગરોની સમસ્યાઓ જાણવા બેઠક યોજવા અંગે પણ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી.
ઉદ્ધવ ઠાકરે વિદેશ પ્રવાસે
શિવસેના (UBT) પ્રમુખ અને પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે વિદેશ પ્રવાસ પર છે, આવા સમયે શરદ પવાર સીએમને મળવા પહોંચ્યા છે. મહારાષ્ટ્ર રાજ્યમાં સત્તા પરિવર્તન બાદ પણ બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત છે. શરદ પવાર હાલમાં લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓને એક કરવાની કોશિશ કરી રહ્યા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં 12 જૂને પટનામાં વિપક્ષી પાર્ટીઓની એક મહત્વપૂર્ણ બેઠક પણ યોજાવાની છે.
શરદ પવાર વિરોધ પક્ષોની બેઠકમાં ભાગ લેશે
શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે ગુરુવારે જણાવ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરે અને NCP વડા શરદ પવારને પણ 12 જૂનની બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. સંજય રાઉતે કહ્યું કે બિહારના સીએમ નીતીશ કુમારે તે તમામ મોટા નેતાઓને આમંત્રણ આપ્યું છે જેઓ ભાજપ સાથે નથી અને તે તમામ દેશભક્ત પાર્ટીઓ કે જેઓ 2024માં પરિવર્તન ઈચ્છે છે. નીતીશ કુમાર 2024ની લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી સરકાર વિરુદ્ધ વિપક્ષી પાર્ટીઓને એક કરવા માટે કામ કરી રહ્યા છે.
શરદ પવારે NCPના પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું હતુ
શરદ પવાર તાજેતરમાં ખૂબ ચર્ચામાં હતા. તેમણે ગત મે મહિનામાં એનસીપી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું. જો કે, NCP કાર્યકરોના વિરોધ અને વિનંતીઓ પછી, તેમણે થોડા દિવસો પછી ફરીથી પ્રમુખ પદની જવાબદારી સંભાળી હતી. પીએમ પદ માટે વિપક્ષના ઉમેદવારી અંગેના સવાલ પર તેમણે કહ્યું હતું કે હું આગામી ચૂંટણી લડવાનો નથી, તો પીએમ પદના ઉમેદવાર બનવાનો સવાલ જ ક્યાં છે. હું પીએમ બનવાની રેસમાં નથી.
Latest News Updates





