Maharashtra: કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના ધારાસભ્ય પુત્ર પર લટકી રહી છે ધરપકડની તલવાર, નાગપુરનો આયોજિત કાર્યક્રમ અધવચ્ચે છોડી મુંબઈ પહોંચ્યા
સિંધુદુર્ગ સેશન્સ કોર્ટમાં નિતેશ રાણે દ્વારા ધરપકડ પૂર્વે જામીન માટે અરજી કરવામાં આવી છે. આ અરજી પર મંગળવારે સુનાવણી છે. હાલમાં નિતેશ રાણેનો ફોન બંધ આવી રહ્યો છે. સંતોષ પરબ પર હિંસક હુમલાના કેસમાં કણકવલી પોલીસ તેમને શોધી રહી છે.
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે (Narayan Rane) નાગપુરનો કાર્યક્રમ અધવચ્ચે છોડીને મુંબઈ પહોંચી ગયા છે. નારાયણ રાણેના ધારાસભ્ય પુત્ર નિતેશ રાણેની (Nitesh Rane) ધરપકડની ચર્ચા રાજકીય વર્તુળોમાં જોરશોરથી ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આશંકાઓને ધ્યાનમાં રાખીને નારાયણ રાણે નાગપુર કૃષિ પ્રદર્શન કાર્યક્રમ અધવચ્ચે જ છોડીને મુંબઈ માટે રવાના થઈ ગયા હતા. E દરમિયાન નિતેશ રાણે દ્વારા સિંધુદુર્ગ સેશન્સ કોર્ટમાં ધરપકડ પૂર્વ જામીન માટે અરજી કરવામાં આવી છે. આ અરજી પર મંગળવારે સુનાવણી છે. હાલમાં નિતેશ રાણેનો ફોન સ્વીચ ઓફ છે. સંતોષ પરબ પર હિંસક હુમલાના કેસમાં કણકવલી પોલીસ તેમને શોધી રહી છે.
સંતોષ પરબ પર હુમલાના સંદર્ભમાં 5 ધરપકડ કરવામાં આવી ચૂકી છે
સિંધુદુર્ગ સેશન્સ કોર્ટમાં જામીન અરજીની સુનાવણી થાય તે પહેલા નિતેશ રાણેએ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ સાથે ફોન પર વાતચીત કરી. સંતોષ પરબ પર થયેલા હિંસક હુમલામાં અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. નિતેશ રાણે પર હુમલાનો મુખ્ય સૂત્રધાર હોવાનો આરોપ છે.
શિવસેનાએ રાણેને ઘેરવાનું શરૂ કર્યું, ધરપકડની તલવાર લટકી
સોમવારે શિવસેના નિતેશ રાણે પર ખૂબ જ આક્રમક દેખાઈ હતી. શિવસેનાએ નિતેશ રાણેને ઘેરવાના તમામ પ્રયાસો કર્યા હતા. શિવસેના નિતેશ રાણે પર બે રીતે પ્રહાર કરી રહી છે. એક તરફ શિવસેના સંતોષ પરબ પર હુમલાના મામલામાં ધરપકડની માંગ કરી રહી છે તો બીજી તરફ વિધાનસભ્ય ભાસ્કર જાધવે સવાલ ઉઠાવ્યો છે કે નિતેશ રાણેએ તેમને કૂતરો કહ્યો છે તો તેમને વિધાનસભામાંથી સસ્પેન્ડ કેમ ન કરવામાં આવે?
ગૃહ રાજ્ય મંત્રી શંભુરાજ દેસાઈએ કહ્યું છે કે નોટ રીચેબલ હોવાથી કંઈ થતું નથી, તેમની સામે ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે. વિધાનસભામાં સુનીલ પ્રભુએ પણ નિતેશ રાણે સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. શિવસેનાના ધારાસભ્ય વૈભવ નાઈકે કણકાવલી પોલીસ સ્ટેશન સુધી મોરચો કાઢ્યો હતો અને તેમની ધરપકડની માંગ કરી હતી. આ બધાની વચ્ચે કણકવલી પોલીસ સ્ટેશનની પોલીસ નિતેશ રાણેની શોધમાં લાગેલી છે.
દેવેન્દ્ર ફડણવીસ સિવાય નિતેશ રાણે હાલમાં કોઈના સંપર્કમાં નથી
આ દરમિયાન નિતેશ રાણે મંગળવારે વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવા પહોંચ્યા ન હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, તેઓ સતત નોટ રીચેબલ છે. માત્ર બપોરે 4.30 વાગ્યે તેમણે દેવેન્દ્ર ફડણવીસ સાથે ફોન પર ચર્ચા કરી, આ સિવાય તેમનો હાલ કોઈ સાથે સંપર્ક નથી.