Maharashtra: વરસાદ અને પૂરે મચાવી તબાહી! 436 લોકોએ જીવ ગુમાવ્યા, ખેતી ધોવાઈ ગઈ
સતત વરસાદ અને પૂરને કારણે 436 લોકોએ જીવ ગુમાવ્યા છે, 136 ઘાયલ થયા છે. 196 મોટા પ્રાણીઓ પણ મૃત્યુ પામ્યા છે. વીજળી પડવાથી નાના - મોટા લગભગ 57 જાનવરો મૃત્યુ પામ્યા છે. 22 લાખ હેક્ટરનો પાક નાશ પામ્યો છે.
ચક્રવાત ‘ગુલાબ’ મહારાષ્ટ્રમાં (Gulab Cyclone in Maharashtra) તબાહી મચાવી રહ્યું છે. આંધ્રપ્રદેશ અને ઓડિશામાં જેટલી તબાહી જોવા મળી ન હતી, તેની વધુ ભયાનક અસર મરાઠાવાડા અને વિદર્ભમાં (Marathwada & Vidarbh) દેખાઈ રહી છે.
મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને પૂરને (Heavy Rain & Flood in Maharashtra) કારણે જાન-માલનું ભારે નુકસાન થયું છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન, રાહત અને પુનર્વસન મંત્રી વિજય વડેટ્ટીવારના (Vijay Wadettiwar, Minister of Disaster Management, Relief and Rehabilitation) જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 436 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 22 લાખ હેક્ટરના પાકનો નાશ થયો છે.
436ના મોત, 136 ઘાયલ, 100 લોકોને બચાવવામાં સફળતા
મંત્રી વિજય વડેટ્ટીવારે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી કે 436 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જેમાંથી 6 લોકોના મૃતદેહ હજુ મળ્યા નથી. 136 લોકો ઘાયલ થયા છે. એનડીઆરએફ અને સ્થાનિક પોલીસે મળીને ઉસ્માનાબાદ, લાતુર, ઔરંગાબાદ અને જલગાંવમાં 100 લોકોને બચાવ્યા. ઉસ્માનબાદમાં NDRFની 1 ટીમ અને લાતુરમાં 1 ટીમ હેલિકોપ્ટર દ્વારા આ બે જિલ્લામાં બચાવ કાર્ય કરી રહી છે.
ઉસ્માનાબાદમાં હેલિકોપ્ટર દ્વારા 16 અને હોડીની મદદથી 20 લોકોને બચાવી લેવાયા હતા. લાતુરમાં 3 લોકોને હેલિકોપ્ટર દ્વારા અને 47ને હોડી દ્વારા બચાવવામાં આવ્યા હતા. ઔરંગાબાદમાં 24 લોકોને બોટની મદદથી બચાવવામાં આવ્યા હતા.
વરસાદ અને પૂરમાં 196 પ્રાણીઓ ડૂબી ગયા, 57 પશુઓ વીજળી પડવાથી મૃત્યુ પામ્યા
રાહત અને પુનર્વસન મંત્રી વિજય વડેટ્ટીવારે જણાવ્યું હતું કે વરસાદ અને પૂરને કારણે 196 મોટા પશુઓ પણ મૃત્યુ પામ્યા છે. વીજળી પડવાથી નાના -મોટા 57 જેટલા પ્રાણીઓના મોત થયા છે. અસંખ્ય મકાનો નાશ પામ્યા છે. 22 લાખ હેક્ટરની ખેતી નાશ પામી છે. 17 લાખ હેક્ટર જમીન ખરાબ થઈ છે. અત્યાર સુધીમાં 81 ટકા નુકશાન થયું છે. ભારે વરસાદને કારણે 19 ટકા નુકશાનનું પંચનામું હજુ સુધી કરવામાં આવ્યું નથી. નુકસાનને લગતી નવી માહિતી સતત બહાર આવી રહી છે.
ક્યાંક 4 વખત તો ક્યાંક 8 વખત મુશળધાર વરસાદ પડ્યો
મંત્રી વડેટ્ટીવારે કહ્યું કે 127 વિસ્તારો એવા છે જ્યાં ચાર વખત મુશળધાર વરસાદ થયો છે. ઘણા વિસ્તારો એવા છે, જ્યાં આઠ વખત વરસાદ પડ્યો છે. ઘણી જગ્યાએ રસ્તાઓ ખરાબ રીતે નુકસાન પામ્યા છે, વીજ થાંભલા પડી ગયા છે. જમીનો ડૂબી ગઈ છે. આ તમામના પંચનામા છે. તેમણે કહ્યું કે ઘણા જળ સ્ત્રોતોએ તેમનો માર્ગ બદલી નાખ્યો છે. સિંચાઈ વિભાગને રસ્તાઓ અને પુલો વહેવાને કારણે મોટું નુકસાન થયું છે.
કેન્દ્રની પૂરતી મદદ મળતી નથી, મંત્રી વડેટ્ટીવારનો આક્ષેપ
રાહત અને પુનર્વસન મંત્રીએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે આફતની સ્થિતિમાં કેન્દ્ર તરફથી પૂરતી મદદ મળતી નથી. તેમણે કહ્યું કે 2020માં પણ કરાએ સમાન તબાહી મચાવી હતી. ત્યારે પણ અમે કેન્દ્રને મદદ માટે અપીલ કરી હતી. પરંતુ કેન્દ્રમાંથી ટીમ આવી ન હતી. કુદરતી આફતને કારણે થયેલા નુકસાનને પહોંચી વળવા માટે કેન્દ્ર પાસેથી 1,065 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, જેમાંથી માત્ર 268 કરોડ 59 લાખ રૂપિયા મળ્યા હતા.