ટ્રાન્સજેન્ડરોના અનામત પર બોમ્બે હાઈકોર્ટનુ આકરૂ વલણ, સરકાર પાસે માગ્યો રિપોર્ટ
બોમ્બે હાઈકોર્ટે સરકારી નોકરીઓ અને શિક્ષણમાં ટ્રાન્સજેન્ડરોના અનામત માટે મહારાષ્ટ્ર સરકારને ત્રણ મહિનાનો સમય આપ્યો છે.
Maharashtra : બોમ્બે હાઈકોર્ટે સરકારી નોકરીઓ અને શિક્ષણમાં ટ્રાન્સજેન્ડરોને અનામત આપવા અંગે મહારાષ્ટ્ર સરકારને અનેક સવાલો કર્યા. આ મામલે સરકારની યોજના અને વિચાર શું છે તેનો રિપોર્ટ રજૂ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. બોમ્બે હાઈકોર્ટે 15 સભ્યોની સમિતિને આ આદેશ આપ્યો છે. એડવોકેટ જનરલ બિરેન્દર સરાફ દ્વારા કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે રાજ્યના સામાજિક ન્યાય વિભાગે આ મામલે એક સમિતિની રચના કરી છે.
15 સભ્યોની સમિતિને આ આદેશ આપ્યો
તેના પર ચીફ જસ્ટિસ સંજય ગંગાપુરવાલા અને જસ્ટિસ સંદીપ માર્નેની ડિવિઝન બેન્ચે કમિટીને આ સૂચના આપી હતી. આપને જણાવી દઈએ કે, ગયા વર્ષે મે મહિનામાં મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન લિમિટેડની નોકરીઓમાં ભરતી માટે એક જાહેરાત બહાર પાડવામાં આવી હતી.
ટ્રાન્સજેન્ડર્સને આ નોકરીઓમાં અનામતનો લાભ મળવો જોઈએ, તેથી તેને લગતી જાહેરાતમાં ફેરફાર કરવામાં આવે તેવી માગણી કરીને એડવોકેટ ક્રાંતિ એલ.સી. દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. કંપની વતી કોર્ટને કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્ર સરકારની જે પણ ભૂમિકા હશે, કંપની તેના આધારે નિર્ણય લેશે.
રાજ્ય સરકાર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી ?
છેલ્લી સુનાવણી દરમિયાન અગાઉ આપેલા આદેશ પર રાજ્ય સરકાર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે ? બેન્ચના આ સવાલ પર એડવોકેટ જનરલ બિન્દ્રાએ કમિટીની રચના અંગે માહિતી આપી અને રિપોર્ટ રજૂ કરવા માટે ત્રણ મહિનાનો સમય માંગ્યો. બાદમાં કોર્ટે આ માંગણી સ્વીકારી હતી.
અરજીકર્તાએ કોર્ટમાં કહ્યું કે કર્ણાટકમાં જે રીતે તમામ જાતિ અને વર્ગો માટે 1 ટકા અનામત આપવાની જોગવાઈ છે, તે જ રીતે મહારાષ્ટ્રમાં કેમ ન થઈ શકે. આપને જણાવી દઈએ કે 3 માર્ચના રોજ રાજ્ય સરકાર દ્વારા રોજગાર અને શિક્ષણમાં ટ્રાન્સજેન્ડરોની ભરતી માટે દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.
જે અંતર્ગત કમિટીની રચના કરવામાં આવી હતી. સમિતિની પ્રથમ બેઠક 28 માર્ચ યોજાશે. આ બેઠકમાં ટ્રાન્સજેન્ડરોને અનામત આપવાનો માર્ગ નક્કી કરવામાં આવશે. હવે જોવાનું રહેશે કે ટ્રાન્સજેન્ડરોને અનામત આપવાના મામલે આ સમિતિ આગામી ત્રણ મહિનામાં શું રિપોર્ટ લાવે છે.