મુંબઈ મહાનગરની ચૂંટણી માટે અમિત શાહે આપ્યો 150 બેઠકોનો ટાર્ગેટ, કહ્યું મોદી સરકાર પર વિશ્વાસનો ફાયદો મળશે
હજુ સુધી BMC ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી. જો કે આ ચૂંટણી આ વર્ષે નવેમ્બર મહિનામાં યોજાય તેવી શક્યતા છે. આ માટેની સૂચના ગમે ત્યારે જાહેર થઈ શકે છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah ) આગામી BMC ચૂંટણીને લઈને સોમવારે મુંબઈમાં (Mumbai ) બીજેપી શિંદે જૂથ ગઠબંધન સાથે બેઠક યોજી હતી. તેમણે ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી વધુને વધુ લોકો સુધી પહોંચવા સૂચના આપી હતી. તેમણે કહ્યું કે ભાજપનું શિવસેના સાથે ગઠબંધન છે અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં શિંદે જૂથ જ અસલી શિવસેના છે ઉદ્ધવ ઠાકરે નહીં. તેમણે ગઠબંધનના નેતાઓ સાથે ઓછામાં ઓછી 150 બેઠકો મળવાનો લક્ષ્યાંક આપ્યો હતો. તેમણે કહ્યું કે દેશની જનતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર વિશ્વાસ છે. પાર્ટીને આનો ફાયદો BMC ચૂંટણીમાં મળશે.
પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી ભાજપ શિંદે જૂથના ગઠબંધન સાથેની બેઠકમાં ખૂબ જ ઉત્સાહિત હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમને 150 બેઠકો મળવાની છે. આ પ્રસંગે અમિત શાહે મોદી સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસ કાર્યોની ચર્ચા કરી હતી. ખાસ કરીને તાજેતરમાં પૂર્ણ થયેલી યોજનાઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આનાથી લોકોનું જીવન સ્તર સુધરશે અને લોકો પક્ષ સાથે જોડાશે. તેમણે કહ્યું કે આ યોજનાઓને કારણે આ ચૂંટણી ઘણી સરળ બની ગઈ છે. તેમણે આ બેઠકમાં ઉપસ્થિત તમામ સાંસદો, ધારાસભ્યો, એમએલસી અને મહાગઠબંધનના કોર્પોરેટરોને અત્યારથી જ ચૂંટણીની તૈયારી પૂર્ણ શક્તિ સાથે શરૂ કરવા હાકલ કરી હતી.
ઉદ્ધવે સત્તા માટે છેતરપિંડી કરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે તેમણે સત્તા મેળવવા માટે માત્ર ભાજપ સાથે દગો કર્યો નથી, પરંતુ તેમણે વિચારધારા અને જનમતનું પણ અપમાન કર્યું છે. તેમણે કહ્યું કે તેમને 2019ની વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી બનવાનું વચન આપવામાં આવ્યું ન હતું, પરંતુ તેઓ મુખ્યમંત્રી બનવાની ઉતાવળમાં હતા. તેથી ભાજપ સાથે દગો કરીને વિરોધી છાવણીમાં ગયા. પરિણામે, શિવસેનાને સંકટમાંથી પસાર થવું પડ્યું અને તેના સમર્થક ધારાસભ્યોની સંખ્યામાં ઘટાડો થયો. જણાવી દઈએ કે, જુલાઈમાં ખુરશી પરથી હટ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ નિવેદન આપ્યું હતું કે ભાજપે તેમને રોટેશનમાં સીએમ બનાવવાનું વચન આપ્યું હતું.
નવેમ્બરમાં ચૂંટણી થઈ શકે છે
હજુ સુધી BMC ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી. જો કે આ ચૂંટણી આ વર્ષે નવેમ્બર મહિનામાં યોજાય તેવી શક્યતા છે. આ માટેની સૂચના ગમે ત્યારે જાહેર થઈ શકે છે. આ માટે બીજેપી શિંદે ગઠબંધન અત્યારથી જ તૈયારીઓ કરી રહ્યું છે. આ સાથે જ અન્ય વિરોધ પક્ષોએ પણ મતદારોને રીઝવવા કવાયત શરૂ કરી દીધી છે.