ભારતીય ક્રિકેટ ટીમ T20 વિશ્વ ચેમ્પિયન બની ચૂકી છે. ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે વિશ્વકપ ફાઈનલમાં 7 રનથી જીત મેળવી હતી. ભારતીય ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલીએ શાનદાર અડધી સદી નોંધાવી હતી. મુશ્કેલ સમયે કોહલીએ અક્ષર પટેલ સાથે મળીને ઈનીંગ સંભાળી હતી. ફાઈનલમાં જીત બાદ વિરાટ કોહલીએ T20i ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. પરંતુ જતા જતા કોહલી વધુ એક વિશ્વ વિક્રમ પોતાને નામ કરી ચૂક્યો છે.
વિરાટ કોહલીએ પોતાની અંતિમ આંતર રાષ્ટ્રીય T20 મેચમાં પણ વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે. તેણે સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવને પાછળ છોડ્યો છે. કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની ફાઈનલ મેચમાં મહત્વની ઈનીંગ રમી હતી અને જેને લઈ ભારતીય ટીમ લડાયક લક્ષ્ય રચવામાં સફળ રહી હતી.
ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે ભારતીય ટીમે પ્રથમ બોલથી શરુઆત તોફાની કરી હતી, પરંતુ ઈનીંગના 10માં બોલ પર જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો રોહિત શર્માના રુપમાં જ લાગ્યો હતો. બાદમાં રિષભ પંત અને સૂર્યકુમાર યાદવ પણ વિકેટ ગુમાવીને ઝડપથી પરત ફર્યા હતા. આવી સ્થિતિમાં વિરાટ કોહલીએ ભારતીય ટીમની બેટિંગ ઈનીંગ સંભળતા અડધી સદી નોંધાવી હતી.
વિરાટ કોહલીની 76 રનની ઈનીંગને લઈ ભારતીય ટીમ એક લડાયક સ્કોર પર પહોંચી શકી હતી. જેને લઈ ભારતીય ટીમ તે લક્ષ્યને બચાવવા માટે સફળ પ્રયાસ કર્યો હતો. કોહલીની આ ઈનીંગને લઈ પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. મેચના અંતે તેને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સાથે જ તેણે પ્લેયર ઓફ ધ મેચની ટ્રોફી સ્વિકારતા જ પોતાના નામે વધુ એક રેકોર્ડ નોંધાવ્યો હતો. આ સાથે જ તેણે આ યાદીમાં ભારતીય સ્ટાર ખેલાડી સૂર્યાને પાછળ છોડ્યો હતો.
આ યાદીમાં ભારતીય ક્રિકેટર્સનો દબદબો છે. ભારતના ત્રણ ખેલાડીઓ સૌથી આગળ છે. જેમાં હવે વિરાટ કોહલી સૌથી ટોચ પર છે, જ્યારે બીજા ક્રમે સૂર્યકુમાર યાદવ અને ત્રીજા ક્રમે કેપ્ટન રોહિત શર્મા છે.
વિરાટ કોહલી 125 આંતરરાષ્ટ્રીય T20 મેચ રમીને 16 વખત આ એવોર્ડ જીતી ચૂક્યો છે. જ્યારે સૂર્યકુમાર યાદવ 15 વાર પ્લેયર ઓફ ધ મેચ તરીકે પંસદ થયો છે. તે માત્ર 68 મેચ રમીને આટલી વાર આ ટ્રોફી પોતાને નામ કરી શક્યો છે. રોહિત શર્મા આ એવોર્ડ 159 મેચ રમીને 14 વાર જીતી શક્યો છે. જ્યારે સિકંદર રજા 86 મેચ રમીને, મોહમ્મદ નબી 129 અને વીરનદીપ સિંહ 78 મેચ રમીને 14-14 વાર પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતી ચૂક્યા છે.