કબ હૈ હોલી ? તિથિ અંગે અસમંજસ દુર, જાણો નિષ્ણાતના મતે, ક્યારે છે હોળી !

આ વખતે પૂનમની બે તિથિ છે. આ તિથિ 6 માર્ચ સોમવાર અને 7 માર્ચ મંગળવારના રોજ પડી રહી છે. એટલે જ એ અસમંજસ ઊભી થઈ છે કે આ વખતે હોળી પ્રાગટ્ય ક્યારે કરવું ? ત્યારે આવો, એ જાણીએ કે નિષ્ણાંતો આ બાબતે શું કહી રહ્યા છે.

કબ હૈ હોલી ? તિથિ અંગે અસમંજસ દુર, જાણો નિષ્ણાતના મતે, ક્યારે છે હોળી !
Holi 2023
| Updated on: Mar 04, 2023 | 12:53 PM

હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે હોળીનો પર્વ ઉજવવામાં આવે છે. પરંતુ, આ વખતે પૂનમની બે તિથિ છે. આ તિથિ 6 માર્ચ સોમવાર અને 7 માર્ચ મંગળવારના રોજ પડી રહી છે.એટલે જ એ અસમંજસ ઊભી થઈ છે કે આ વખતે હોળી પ્રાગટ્ય ક્યારે કરવું ? ત્યારે આવો, એ જાણીએ કે નિષ્ણાંતો આ બાબતે શું કહી રહ્યા છે.

અધર્મ પર ધર્મના વિજયના પ્રતિક રૂપે દર વર્ષે ફાગણ સુદ પૂર્ણિમાના અવસર પર હોળીનો પર્વ ઉજવવામાં આવે છે. પરંતુ, આ વર્ષે હોળી પ્રાગટ્ય ક્યારે કરવું તેને લઈને ખૂબ જ મૂંઝવણ ઊભી થઈ છે. વાસ્તવમાં 6 માર્ચ, સોમવારે સાંજે 4:18 કલાકે પૂનમનો પ્રારંભ થઈ રહ્યો છે. જે 7 માર્ચ, મંગળવારે સાંજે 6:11 કલાકે સમાપ્ત થશે. એટલે કે, હોળીનો સંધ્યાકાળ 6 માર્ચે મળી રહ્યો છે. જ્યારે હોળીની સૂર્યોદય તિથિ 7 માર્ચે મળી રહી છે. પરંતુ, સૌથી મહત્વની વાત એ છે 6 માર્ચે સાંજે 4:18 કલાકે ભદ્રાનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. અને કેટલાંક જ્યોતિષીઓ ભદ્રાના સમયમાં શુભ કાર્યને કરવું વર્જીત માને છે. કારણ કે શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે….. ભદ્રાનો વાસ સ્વર્ગમાં હોય તો તે શુભ કાર્ય કરે છે. ભદ્રાનો વાસ પાતાળમાં હોય તો તે ધનપ્રાપ્તિ કરાવે છે. પરંતુ, જો ભદ્રાનો વાસ મૃત્યુલોકમાં હોય તો તે સર્વ કાર્યનો નાશ કરે છે.

નિશાગમે પ્રપૂજ્યેત હોલિકા સર્વદા બુધૈઃ ।
ન દિવા પૂજ્યેત્ ઢુળ્ઢાં પૂજિચા દુઃખદા ભવેત્ ।।

એટલે કે…. હોલિકાદહન નિશાકાળમાં કરવું જોઈએ. દિવસમાં હોલિકા દહન અથવા હોલિકા પૂજન ન કરવું. આ દૃષ્ટિએ પૂર્ણિમાનો રાત્રિકાળ 6 માર્ચ, સોમવારે મળી રહ્યો છે. વળી શાસ્ત્ર અનુસાર સોમવતી ભદ્રા માન્ય ગણાય છે. તો, મહર્ષિ ભૃગુના મત મુજબ સોમવારની ભદ્રા કલ્યાણકારી મનાય છે. અને તે અંતર્ગત ગુજરાતના અંબાજી, સોમનાથ અને દ્વારકા જેવા મંદિરોમાં 6 માર્ચે હોળી પ્રાગટ્ય કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના ડાકોર ધામમાં 7 માર્ચ, મંગળવારે હોળીનું પ્રાગટ્ય કરવામાં આવશે. ગોકુળ, મથુરા, વૃંદાવન જેવા ધામમાં પણ હોળી પ્રાગટ્ય 7 માર્ચ, મંગળવારે થશે. તો, વારાણસી અને મહાકાલેશ્વર જેવા મંદિરોમાં 6 માર્ચની મધ્યરાત્રીએ 12:40 થી સવારે 5:56 વચ્ચે હોળીનું પ્રાગટ્ય કરાશે.એટલે, કે હોળી પ્રાગટ્ય માટે સ્થાનિક મત જ માન્ય રહેશે.

Published On - 12:48 pm, Sat, 4 March 23