જંતર મંતર પર ધરણા કરવા ઉત્સુક કોકરોચ જનતા પાર્ટીએ, હજુ સુધી દિલ્હી પોલીસ પાસેથી નથી માંગી પરવાનગી
'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન અંગે દિલ્હી પોલીસ સતર્ક છે. દિલ્હી પોલીસ જણાવ્યું છે કે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવા માટે કોકરોચ જનતા પાર્ટી તરફથી કે તેમના વતી પરવાનગી માંગતી કોઈ અરજી અત્યાર સુધી મળી નથી. અધિકારીઓએ ઉમેર્યું કે, જો જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવા માટેની અરજી સબમિટ કરવામાં આવે છે, તો તેની તપાસ કરવામાં આવશે.

‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) એ, આવતીકાલ 6 જૂનને શનિવારના રોજ, દિલ્હીના જંતર-મંતર પર એક મોટા વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતથી સોશિયલ મીડિયા પર, ખાસ કરીને વિદ્યાર્થીઓમાં, નોંધપાત્ર ચર્ચા થઈ છે. જો કે, દિલ્હી પોલીસે હવે સ્પષ્ટતા કરી છે કે, આજ સુધી જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવા માટે કોઈ પરવાનગી માંગવામાં આવી નથી.
કોકરોચ જનતા પાર્ટી અને તેના સ્થાપક, અભિજીત દિપકેએ તાજેતરમાં 6 જૂને જંતર-મંતર પર મોટા પાયે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી. જંતર-મંતર એ દિલ્હીમાં એક એવુ સ્થળ છે જ્યાં વ્યક્તિઓ અને સંગઠનો સામાન્ય રીતે તેમની લાગણીઓ, ચિંતાઓ વ્યક્ત કરવા માટે ધરણા અથવા વિરોધ પ્રદર્શન કરતા આવ્યા છે.
કોકરોચ જનતા પાર્ટીની ધરણા યોજવા માટેની જાહેરાત પછી, આ મામલો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી ચર્ચાનો વિષય બન્યો અને વિદ્યાર્થીઓમાં વ્યાપક ચર્ચાનો વિષય બન્યો, જેનાથી દિલ્હી પોલીસનું ધ્યાન ખેંચાયું.
પોલીસે શું કહ્યું?
દિલ્હી પોલીસે હવે સ્પષ્ટપણે પોતાનું વલણ જાહેર કર્યું છે. પોલીસ અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે, કોકરોચ જનતા પાર્ટીએ હજુ સુધી જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી માંગી નથી. બીજા શબ્દોમાં કહીએ તો, કોકરોચ જનતા પાર્ટી દ્વારા કોઈ અરજી પોલીસમાં દાખલ કરવામાં આવી નથી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, જો ભવિષ્યમાં કોકરોચ જનતા પાર્ટી સંગઠન પરવાનગી માંગે છે, તો નિયમો અનુસાર નિર્ણય લેવામાં આવશે. પરવાનગી આપવી કે નહીં તે અંગે સુરક્ષા અને વહીવટી પરિબળોનું મૂલ્યાંકન કર્યા પછી જ તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.
પોલીસની તૈયારીઓ શું છે?
પોલીસનું કહેવું છે કે, કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવી તેમની પ્રાથમિક જવાબદારી છે. તેથી, પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. જરૂર પડ્યે સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના પોલીસ કર્મચારીઓને તહેનાત કરી શકાય છે. કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે તમામ સંબંધિત સુરક્ષા એકમોને અગાઉથી સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે.