પેટાચૂંટણીના પરિણામનું વિશ્લેષણ ભાગ-1: રાધનપુરની જનતાએ જાળવી રાખી પરંપરા, પક્ષપલટુ નેતાને ફરી આપ્યો જાકારો
ગુજરાત વિધાનસભાની 6 બેઠકની પેટા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. જો કે 6 બેઠકોમાંથી સૌથી હાઈપ્રોફાઈલ બેઠક રાધનપુરમાં ફરી એક વખત જનતાએ પરંપરા જાળવી રાખી છે. જે અલ્પેશ ઠાકોરને રાધનપુરની જનતાએ વધાવ્યો અને વર્ષ 2017માં જીતનો તાજ પહેરાવ્યો હતો. એ જ જનતાએ પેટાચૂંટણીમાં હારનો મારગ દેખાડી દીધો છે. આ સાથે ફરી એક વખત કોંગ્રેસ જીત […]
ગુજરાત વિધાનસભાની 6 બેઠકની પેટા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. જો કે 6 બેઠકોમાંથી સૌથી હાઈપ્રોફાઈલ બેઠક રાધનપુરમાં ફરી એક વખત જનતાએ પરંપરા જાળવી રાખી છે. જે અલ્પેશ ઠાકોરને રાધનપુરની જનતાએ વધાવ્યો અને વર્ષ 2017માં જીતનો તાજ પહેરાવ્યો હતો. એ જ જનતાએ પેટાચૂંટણીમાં હારનો મારગ દેખાડી દીધો છે. આ સાથે ફરી એક વખત કોંગ્રેસ જીત મેળવવામાં સફળ રહ્યું છે. જો કે રાધનપુરની તાસીર રહી છે કે, ત્યાંની જનતા એ ક્યારેય પક્ષપલટુ નેતાઓને સ્વીકાર્યા નથી. જો ઈતિહાસમાં ડોકિયું કરીએ તો, વર્ષે 1998થી 2017 સુધીની ચૂંટણીમાં રાધનપુરની જનતાએ પક્ષપલટુઓને જાકારો આપ્યો છે. જેમાં લવિંગજી ઠાકોર, ભાવસિંહ રાઠોડ જેવા દિગગજ નેતાઓનો પણ સમાવેશ થાય છે.
અલ્પેશ ઠાકોરે પણ રાધનપુરની ચૂંટણી જીતવા માટે પુરજોશમાં તૈયારીઓ કરી હતી. પરંતુ તેના સ્વભાવે પોતાની જ ઠાકોર સેનાથી કરી દીધેલું અંતર અને ભાજપના કાર્યકર્તાઓની નારાજગી પણ હારના કારણો પૈકી એક છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા મેદાનમાં ઉતારવામાં આવેલા રઘુ દેસાઈનો સૌમ્ય પ્રચાર અને તમામને સાથે લઈને ચાલવાની નીતિ તેમની જીતનું કારણો પૈકી એક છે.
જો રાધનપુર વિધાનસભાના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો, વિધાનસભાના મતદારો એ ક્યારે પણ પક્ષપલટુઓને ફરીથી ચૂંટ્યા નથી. ભૂતકાળમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં રાધનપુર બેઠક પર લવિંગજી ઠાકોરે અપક્ષ ઉમેદવાર તરીકે જીત મેળવી. વર્ષે 1995માં ગુજરાત વિધાનસભા પોંહચ્યા હતા. પરંતુ વર્ષે 1997માં લવિંગજી ઠાકોરે તે સમયના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા માટે બેઠક ખાલી કરી. આ બેઠક પર પેટાચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા સામે ભાજપે 27 વર્ષેના યુવા નેતા શંકર ચૌધરીને મેદાને ઉતાર્યા. પરંતુ આ ચૂંટણીમાં શંકર ચૌધરીને હારનો સામનો કરવો પડ્યો.
વર્ષે 1998માં રાજ્યમાં દશમી વિધાનસભાની સામાન્ય ચૂંટણી આવી. તેમાં ભાજપ તરફથી ફરીથી યુવા નેતા શંકર ચૌધરીને મેદાને ઉતારવામાં આવ્યા. જેની સામે રાજપામાંથી લવિંગજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી. પરંતુ રાજકીય પક્ષ સાથે જોડાવાની સાથે જ લવિંગજી ઠાકોર જે અપક્ષ ઉમેદવાર તરીકે આ બેઠક પર જીત મેળવી તે હારી ગયા.
વર્ષે 2002ની અગિયારમી વિધાનસભા બેઠકમાં પણ હવે લવિંગજી ઠાકોરને કોંગ્રેસમાંથી રાધનપુર બેઠક પર ચૂંટણી લડવા ઉતર્યા. પરંતુ જનતાએ તેને પક્ષપલટુ કહીને નકાર્યા અને ફરીથી ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીને વિધાનસભા મોકલ્યા હતા. તે જ રીતે વર્ષે 2007ની બારમી વિધાનસભામાં ફરીથી કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ સામે રાધનપુરની જનતાએ શંકર ચૌધરીને વિધાનસભા મોકલ્યા.
વર્ષે 2012ની તેરમી વિધાનસભામાં શંકર ચૌધરીએ રાધનપુર બેઠકને બદલે વાવમાંથી ચૂંટણી લડ્યા. તેમના સ્થાને ભાજપે નાગરજી ઠાકોરને ટિકિટ આપી હતી. જેની સામે ભાજપ છોડી કોંગ્રેસમાં ગયેલા પક્ષપલટુ ભાવસિંહ રાઠોડને હારનો સામનો કરવો પડ્યો.
તેવી જ રીતે વર્ષે 2017ની 14મી વિધાસભામાં આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે અલ્પેશ ઠાકોર અને ભાજપના ઉમેદવાર તરીકે કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા લવિંગજી ઠાકોર મેદાને ઉતર્યા. તેની સાથે જ છેલ્લી ચાર ચૂંટણીઓ જીતનારા ભાજપે પ્રજાના મનની વાત સમજી ન શક્યું અને પ્રજાએ પક્ષપલટુ લવિંગજી ઠાકોરને જાકારો આપી અલ્પેશ ઠાકોરને વિધાસભામાં મોકલ્યા.
આમ શંકરસિંહ વાઘેલા એક વખત રાધનપુર બેઠક પર ચૂંટણી લડી પોતાની બેઠક બદલી દીધી. જયારે લવિંગજી ઠાકોર અને ભાવસિંહ રાઠોડ જેવા ઠાકોર સમાજના જ દિગ્ગજ નેતાઓ જેમણે પણ પક્ષ પલટો કર્યો તેમને રાધનપુરની જનતાએ જાકારો આપ્યો છે. એવી જ રીતે અલ્પેશ ઠાકોરને પણ જાકારો આપી પરંપરાને જાળવી રાખી છે.