ભારતના સંવિધાન માટે 8 સદસ્યોની ડ્રાફ્ટિંગ કમિટી હતી, તો પણ માત્ર ડૉ. આંબેડકરને જ “ભારતીય બંધારણના જનક” કેમ કહેવામાં આવે છે- આ છે કારણ
ભારતનું બંધારણ દુનિયાના સારા કહી શકાય તેવા બંધારણો પૈકીનું એક છે. આ સંવિધાનને ઘડતા પહેલા 60 દેશોના સંવિધાનનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તે બંધારણોમાં રહેલી સારી જોગવાઈઓને લઈને એક દેશ માટે એક શ્રેષ્ઠ સંવિધાન તૈયાર કરવામાં આવ્યુ.

દુનિયાનું સૌથી મોટુ લેખિત સંવિધાન જો કોઈ હોય તો તે ભારતનું સંવિધાન છે. જેમા તેને જ્યારે તૈયાર કરવામાં આવ્યુ એ સમયે શરૂઆતમાં 395 કલમો, 22 ભાગ અને 8 અનુસૂચિઓ સામેલ હતી. સમય જતા તેમા અનેક સંશોધનો થતા ગયા અને આજે તેમા 470 થી વધુ કલમો, 25 ભાગો અને 12 અનુસૂચિો સામેલ છે. જે તેને કદ અને વિષય બંને દૃષ્ટિએ સૌથી મોટુ બનાવે છે.
13 ડિસેમ્બરે 1946માં મળેલી સંવિધાન સભાના સભ્યો
13 ડિસેમ્બર 1946માં મળેલી સંવિધાન સભાના મહત્વપૂર્ણ સભ્યોમાં જવાહરલાલ નેહરુ, ડૉ રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ, મૌલાના આઝાદ, ગોપાલસ્વામી આયંગર, ગોવિંદ વલ્લભ પંત, અબ્દુલ ગફ્ફાર ખાન, ટી.ટી. કૃષ્ણમાચારી, અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર,એચ. એન. કુંઝરુ, સર એચ.એસ. ગૌર, કે.વી. શાહ, મસાની, આચાર્ય કૃપાલાની, ડૉ. બી.આર. આંબેડકર, ડૉ.રાધા કૃષ્ણન , ડૉ. જયકર,એન. પંત, લિયાકત અલી ખાન, ખ્વાજા નાઝીમુદ્દીન, સર ફિરોઝ ખાસ નૂન. સુહરાવર્દી, સર ઝફરઉલ્લાહ ખાન અને ડૉ. સચ્ચિદાનંદ સિંહા સામેલ હતા.
આ દિવસે મળી સંવિધાન સભાની પ્રથમ બેઠક મળી
ભારતની સંવિધાન સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946 ના રોજ મળી હતી. જે બાદ 11 ડિસેમ્બરના રોજ ડૉ રાજેન્દ્ર પ્રસાદને તેના કાયમી અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ બેઠકનો મુસ્લિમ લીગે બહિષ્કાર કર્યો હતો છતા અનિશ્ચિતતા વચ્ચે મળેલી આ બેઠકે નોંધપાત્ર પ્રગતિ કરી અને એક આજ્ઞાકારી ઠરાવ અપનાવ્યો. જે પાછળથી બંધારણનો મહત્વનું પાંસુ બન્યો. સમિતિઓના અહેવાલે બંધારણની પ્રસ્તાવનાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો. તેમણે બંધારણના વિવિધ પ્રથમ મુસદ્દાને ધ્યાનમાં લેવા માટે વિવિધ સમિતિઓની નિમણૂક કરી. 29 ઓગસ્ટ, 1947 ના રોજ, ડૉ. બી.આર. આંબેડકરના અધ્યક્ષપદે 7 સભ્યોની મુસદ્દા સમિતિની (ડ્રાફ્ટીંગ કમિટીની) સ્થાપના કરવામાં આવી.
ડ્રાફ્ટિંગ કમિટી અને બાબાસાહેબ આંબેડકર
ભારતના સંવિધાનના નિર્માણ માટે 29 ઑગસ્ટ 1947ના રોજ 8 સભ્યોની ડ્રાફ્ટિંગ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીમાં અનેક પ્રતિભાશાળી અને અનુભવી સભ્યો સામેલ હતા, પરંતુ તેના અધ્યક્ષ તરીકે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પસંદગી કરવામાં આવી. કમિટીના અધ્યક્ષ હોવાને કારણે સમગ્ર સંવિધાન તૈયાર કરવાની મુખ્ય જવાબદારી તેમની ઉપર હતી.
જ્યારે બી.એન. રાવ આ ડ્રાફટીંગ કમિટીના સલાહકાર હતા. ડૉ. આંબેડકર અને બી.એન. રાવ બંને કાયદાકીય જાણકારીઓની બાબતમાં ઘણા જ વિદ્વાન અને જ્ઞાની હતા. બી.એન રાવ સંવિધાન સભાના સદસ્ય ન હતા પરંતુ સલાહકાર હતા અને તેમની સાથે વિચાર વિમર્શ કર્યા બાદ જ કોઈ ક્લોસ કે આર્ટીકલ ફાઈનલ થતી હતી. બાબાસાહેબ વિશ્વસ્તરનાં કાયદા અને બંધારણના વિદ્વાન હતા.
કાનૂની જ્ઞાન અને વૈશ્વિક અભ્યાસ
ડૉ બાબાસાહેબ આંબેડકર પાસે અસાધારણ કાનૂની અને બંધારણીય જ્ઞાન હતું. તેમણે અમેરિકા, બ્રિટન, આયર્લેન્ડ, કેનેડા વગેરે દેશોના સંવિધાનોનો ઊંડો અભ્યાસ કર્યો હતો અને ભારતીય સંવિધાનની મોટાભાગની કલમો (Articles) નો મૂળ ડ્રાફ્ટ બાબાસાહેબે તૈયાર કર્યો. તેમજ અન્ય સભ્યોના સૂચનોને સંકલિત કરીને, કાયદાકીય ભાષામાં ઢાળવાનું કામ પણ બાબા સાહેબે કર્યુ હતુ. આથી જ તેમને ભારતીય બંધારણના ચીફ આર્કિટેક (Chief Architect )ગણવામાં આવે છે.
સામાજિક ન્યાય અને સમાનતાની ભાવના
ભારતના સંવિધાનમાં સમાનતા, સ્વતંત્રતા અને ભાઈચારાની ભાવનાને મજબૂત રીતે સ્થાન આપવામાં આવ્યું છે. મૂળ અધિકારો, અસ્પૃશ્યતાનો અંત (કલમ 17), અને સામાજિક ન્યાય જેવી જોગવાઈઓ બાબાસાહેબની વિચારધારાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. તેમણે સંવિધાનને માત્ર કાનૂની દસ્તાવેજ નહીં, પરંતુ સામાજિક પરિવર્તનનું સાધન બનાવ્યું.
બંધારણના આમુખમાં કેમ નહોંતા લખાયા સેક્યુલર અને સોશિયલિસ્ટ શબ્દો
જ્યાર બંધારણ ઘડાતું હતું ત્યારે ડૉ. બાબાસાહેબ આંબેડકરે પ્રસ્તાવનામાં “સોશિયલિસ્ટ” અને “સેક્યુલર” શબ્દો ઉમેરવાનો વિરોધ કર્યો હતો. તેમનો મુખ્ય તર્ક એવો હતું કે સંવિધાનને કોઈ એક નિશ્ચિત રાજકીય કે આર્થિક વિચારધારામાં બાંધવું ન જોઈએ. લોકશાહી વ્યવસ્થામાં આવનારી પેઢીઓને પોતાની વિચારધારા અને આર્થિક નીતિ પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ, અને જો સંવિધાનના આમુખમાં ‘સોશિયલિસ્ટ’ શબ્દ જોડી દેવામાં આવે તો તે સ્વતંત્રતા પર મર્યાદા આવી શકે.
આંબેડકરનું માનવું હતું કે ‘સોશિયલિઝમ’ કોઈ એક સ્પષ્ટ અને સર્વસ્વીકાર્ય વિચાર નથી. સોશિયલિઝમના વિવિધ સ્વરૂપો છે, જેમ કે રાજ્ય સોશિયલિઝમ, લોકશાહી સોશિયલિઝમ અને માર્ક્સવાદી સોશિયલિઝમ. આવા અસ્પષ્ટ અને વિવાદાસ્પદ વિચારને સંવિધાનમાં સમાવવાથી ભવિષ્યમાં વિવાદ ઊભા થઈ શકે, તેથી સંવિધાનને આવા વિચારોથી દૂર રાખવું વધુ યોગ્ય છે. ભારતના બંધારણમાં પહેલેથી જ આર્ટીકલ 38 અને 39 સમાજવાદી વિચારધારાને અનુસરવાની વાત કરે છે. તો તેને આમુખમાં સમાવવાની કોઈ જરૂર રહેતી નથી.
સેક્યુલર શબ્દ ન ઉમેરવા માટે બાબા સાહેબનો તર્ક
બાબા સાહેબે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ‘સેક્યુલર’ શબ્દ ઉમેર્યા વગર પણ ભારતનું સંવિધાન મૂળભૂત રીતે સેક્યુલર છે. સંવિધાનમાં ધર્મની સ્વતંત્રતા, કાયદા સમક્ષ સમાનતા અને રાજ્ય દ્વારા કોઈ એક ધર્મને પ્રાધાન્ય ન આપવાની જોગવાઈઓ પહેલેથી જ સામેલ હતી. આ કારણે ‘સેક્યુલર’ શબ્દનો અલગથી ઉલ્લેખ કરવો આવશ્યક નથી એવું તેમણે માન્યું.
એ સમયે બંધારણના આમુખમાં સેક્યુલર શબ્દ ન ઉમેરવા માટે પણ આંબેડકર સાહેબનો મત એવો હતો કે આ દેશમાં મોટાભાગના લોકોની ઉપાસના પદ્ધતિ અલગ અલગ છે. જો આપણે આ વાતને પ્રસ્તાવનામાં મેન્શન કરીએ છીએ તો તેને વિના કારણ મોટી બનાવીએ છીએ અને તેની આવશ્યક્તા એટલે પણ નથી કારણ કે આપણા બંધારણની અંદર મૂળભૂત અધિકારોની અંદર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર પહેલેથી જ આપવામાં આવ્યો છે. જ્યારે મૂળભૂત અધિકારોમાં જ તેને સમાવી લેવાઈ છે તો આ વાતને પ્રસ્તાવનામાં મેન્શન કરીને એવુ શા માટે સાબિત કરવુ પડે કે ભારત ધર્મ નિરપેક્ષ બનવા માગે છે. આ દેશ તો પહેલેથી જ પંથનિરપેક્ષ જ છે.
ભારતીય બંધારણના આર્ટિકલ 25, 26, 27 અને 28 માં પંથ નિરપેક્ષતાની વાત કરે છે. ત્યારે જ્યારે બે આર્ટીકલ પહેલેથી જ બંધારણમાં છે તો પ્રસ્તાવનામાં જોડવાની આવશ્યક્તાને તેમણે નકારી હતી.
ઈમરજન્સી દરમિયાન આમુખમાં ઉમેરાયો સેક્યુલર શબ્દ
સોશિયલિસ્ટ અને સેક્યુલર એ બે શબ્દોને બંધારણની પ્રસ્તાવનામાં ઈમરજન્સી દરમિયાન 1975માં ઉમેરવામાં આવ્યા. એ સમયે ઈંદિરાગાંધીએ સંવિધાનમાં સંશોધન કરીને ત્રણ શબ્દો નવા ઉમેર્યા એ હતા સોશિયલિસ્ટ, સેક્યુલર અને ઈન્ટીગ્રીટી. આ ત્રણ શબ્દો બાબા સાહેબની અધ્યક્ષતામાં બનેલી ડ્રાફ્ટીંગ કમિટીએ તૈયાર કરેલી પ્રસ્તાવના (26 નવે.1949)માં ન હતા. જેને પાછળથી સંશોધન કરીને જોડી દેવામાં આવ્યા હતા. જેના પર સમયાંતરે વિવાદ પણ થતો રહ્યો છે.
ઈમરજન્સી દરમિયાન બંધારણમાં ધર્મનિરપેક્ષ અને સમાજવાદ શબ્દ જોડવામાં આવ્યા જે મૂળ પ્રસ્તાવનાનો હિસ્સો ન હતા. બાદમાં આ શબ્દોને હટાવવામાં ન આવ્યા, ના તો તેના પર કોઈ ચર્ચા થઈ. આ બંને શબ્દો આંબેડકરના સંવિધાનમાં ન હતા. ઈમરજન્સી દરમિયાન દેશમાં કોઈ કાર્યશીલ સંસદ ન હતી. કોઈ અધિકાર ન હતા કોઈ ન્યાયપાલિકા ન હતી. તો કેવી રીતે સંશોધન કરીને આ શબ્દોને બંધારણની પ્રસ્તાવનામાં ઉમેરવામાં આવ્યા તે સવાલ પણ ઉઠતો રહ્યો છે. આથી જ તત્કાલિન સરકાર પર બંધારણની આત્માને જ મારી નાખવાનો આરોપ લાગતો રહ્યો છે.
1975માં તત્કાલિન વડાપ્રધાન દ્વારા લદાયેલી ઈમરજન્સી (કટોકટી) દરમિયાન ભારતના બંધારણમાં સૌથી વધુ સંશોધન કરવામાં આવ્યા. બંધારણનો 42મો સંશોધન 1976માં કરવામાં આવ્યો તેને તો મીની સંવિધાન નામ આપી દેવાયુ હતુ. ઈંદિરા ગાંધીના સમયમાં થયેલા આ સંવિધાન સંશોધન ને કારણે જ સંવિધાનમાં બે નવા શબ્દો ઉમેરાઈ ગયા. 42મા સંવિધાન સંશોધનમાં બંધારણમાં અનેક પરિવર્તન કરવામાં આવ્યા. જેમા આમુખ (પ્રીએમ્બલ), 40 અનુચ્છેદ, 7મા શેડ્યુલમાં પરિવર્તન થયા, 9 નવી આર્ટીકલ જોડવામાં આવી. કૂલ મળીને બંધારણમાં ભરપૂર ફેરફાર કરવામાં આવ્યા. જેમા સોશિયલિસ્ટ અને સેક્યુલર શબ્દ વધુ વિવાદનું કેન્દ્ર બન્યા.
તત્કાલિન નેતાઓએ પણ સ્વીકાર્યુ કે…
જવાહરલાલ નેહરુ અને ડૉરાજેન્દ્ર પ્રસાદ સહિતના અનેક નેતાઓએ સ્વીકાર્યું હતું કે ડૉ. બાબાસાહેબ આંબેડકર વિના સંવિધાનનું નિર્માણ અઘરું હતું. તેમના યોગદાનને માન આપતાં જ તેમને ભારતીય સંવિધાનના જનક તરીકે ઓળખ આપવામાં આવી.
