ફૂડથી લઈને હોટેલ સુવિધા સુધી… ફ્લાઇટ રદ થાય કે મોડી પડે તો મુસાફરોને કેટલું રિફંડ આપવામાં આવે છે? શું તમને DGCA ના નિયમો ખબર છે?
જો ફ્લાઇટ રદ થાય અથવા કલાકો સુધી મોડી પડે છે, તો એરલાઇન્સે કઈ સર્વિસ પૂરી પાડવી? આને લઈને DGCA (Directorate General of Civil Aviation) દ્વારા કેટલાંક નિયમો બનાવવામાં આવ્યા છે.

જો તમારી ફ્લાઇટ રદ થાય અથવા કલાકો સુધી મોડી પડે છે, તો એરલાઇન્સે કઈ સર્વિસ પૂરી પાડવી જોઈએ? DGCA (Directorate General of Civil Aviation) એ આ માટે સ્પષ્ટ નિયમો બનાવ્યા છે. આ નિયમો હેઠળ, મુસાફરોને લાંબી રાહ જોવાના કિસ્સામાં સંપૂર્ણ રિફંડ, વળતર અને ફૂડ, હોટેલ તેમજ ટ્રાન્સપોર્ટ જેવી સુવિધાઓ મળે છે.
જો ફ્લાઇટ રદ થાય તો શું ફાયદો થાય?
- ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અનુસાર, જો કોઈ ‘એરલાઇન’ ફ્લાઇટ રદ કરે છે, તો સંપૂર્ણ રિફંડ આપવું ફરજિયાત છે.
- જો એરલાઇન ઓછામાં ઓછા 2 અઠવાડિયા પહેલા ફ્લાઇટ કેન્સલ કરવાની જાણ કરી દે, તો મુસાફર ‘રિફંડ અથવા બીજી ફ્લાઇટ’ એમ બંનેમાંથી કોઈપણ એક વિકલ્પ પસંદ કરી શકે છે.
- જો એરલાઇન 2 અઠવાડિયા કરતાં ઓછા પરંતુ 24 કલાકથી વધારે સમય પહેલા જાણ કરે છે, તો પણ મુસાફર રિફંડ અથવા બીજી ફ્લાઇટ બંનેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી શકે છે.
જો એરલાઇન સમયસર માહિતી ન આપે અથવા એક જ ટિકિટ પર બીજી કનેક્ટિંગ ફ્લાઇટ છૂટી જાય, તો મુસાફરીના સમય મુજબ વળતર અને રિફંડ/વૈકલ્પિક ફ્લાઇટ આપવામાં આવશે.
કેટલું વળતર આપવામાં આવે છે?
- 1 કલાક સુધીની ફ્લાઇટ: ₹5,000
- 2 કલાક સુધીની ફ્લાઇટ: ₹7,500
- 2 કલાકથી વધુ: ₹10,000
એરલાઇન ઇચ્છે તો આ રકમને બદલે ‘બેઝ ફેર’ (મૂળ ભાડું) અને ફ્યુઅલ ચાર્જ આપી શકે છે. આ સાથે જ, મુસાફરોને એરપોર્ટ પર વેઈટિંગ ફેસિલિટી પણ મળે છે. વધુમાં જો મુસાફરે કોન્ટેક્ટ ડિટેલ્સ આપેલ નથી અથવા કેન્સિલેશન એરલાઇનના નિયંત્રણથી બહારની પરિસ્થિતિઓ (જેમ કે હવામાન, સુરક્ષા કારણો) ને કારણે રદ થઈ હોય, તો કોઈ વળતર મળશે નહીં.
ફ્લાઇટ વિલંબ (Late) માટે DGCA ના નિયમો
જો ફ્લાઇટ મોડી પડે અને મુસાફરો સમયસર ચેક ઇન કરે, તો એરલાઇન્સે રાહ જોઈ રહેલા મુસાફરોને ખાવા-પીવા જેવી સુવિધાઓ પૂરી પાડવી જરૂરી છે.
આટલા સમય પછી આ સુવિધાઓ આવશ્યક બની જાય છે:
- ટૂંકા માર્ગ (Shortest Route) – 2 કલાક
- મધ્યમ માર્ગ (Medium Route) – 3 કલાક
- લાંબો માર્ગ (Long Route) – 4 કલાક
જો કોઈ ડોમેસ્ટિક ફ્લાઇટ 6 કલાકથી વધુ મોડી પડે છે, તો એરલાઇનને 6 કલાકની અંદર વૈકલ્પિક ફ્લાઇટ પૂરી પાડવી પડશે અથવા તો સંપૂર્ણ રિફંડ આપવું પડશે.
વધારે વિલંબ (Late) ના કિસ્સામાં શું કવર કરવામાં આવે છે?
જો 6 કલાકથી વધુ અથવા રાત્રીની ફ્લાઇટ મોડી પડે છે અને જો ડિલે 24 કલાકથી વધારે થાય અથવા રાત્રીની ફ્લાઇટ (8 PM-3 AM) 6 કલાકથી વધુ મોડી પડે છે, તો એરલાઇનને મુસાફરો માટે હોટેલ સ્ટે અને એરપોર્ટ સુધી આવવા જવાના ટ્રાન્સફરની સુવિધા આપવી પડશે.
જો કે, આ નિયમમાં એક છૂટ છે. જો વિલંબનું કારણ એરલાઇનના નિયંત્રણની બહાર હોય (જેમ કે હવામાન, રાજકીય અશાંતિ, કુદરતી આફત) તો હોટેલ કે બીજી સુવિધાઓ પૂરી પાડવાની કોઈ જરૂર નથી.
મુસાફરોને કયા લાભ મળે છે?
- ફ્લાઇટ રદ થાય ત્યારે પૂરેપૂરું રિફંડ આપવું જરૂરી છે.
- સમયસર માહિતી ન આપવી કે કનેક્શન ફ્લાઇટ ચૂકી (Miss) જવાથી મુસાફરોને 5000 રૂપિયા થી 10000 રૂપિયા સુધીનું વળતર
- ફ્લાઇટ મોડી પડે, તો તે માટે ખાવા-પીવાના સુવિધા, વધારે મોડું થાય તો હોટેલ અને ટ્રાન્સપોર્ટ સુવિધા
- અસાધારણ પરિસ્થિતિઓમાં એરલાઇનની જવાબદારી નહીં
