Turkey Earthquake : તુર્કી ફરી ભૂકંપથી હચમચ્યુ, 24 કલાકમાં ચોથો મોટો આંચકો
તુર્કીમાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ચાર હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. ભૂકંપના કારણે ધરાશાયી થયેલી ઈમારતોના કાટમાળમાંથી હજુ પણ મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે. ભૂકંપને કારણે સ્થિતિ ખૂબ જ ગંભીર થઈ છે.
તુર્કીમાં એક દિવસ પહેલા આવેલા વિનાશક ભૂકંપના કારણે સર્જાયેલી તબાહી વચ્ચે આજે મંગળવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 5.6 માપવામાં આવી છે. સોમવારે વહેલી સવારે તુર્કીમાં આવેલા વિનાશક ભૂંકપ બાદ, દિવસ દરમિયાન લગભગ 20 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકામાં સૌથી મોટો આંચકો 7.8ની તીવ્રતાનો હતો. આ પછી તુર્કીમાં ઠેર ઠેર તબાહી જેવા દ્રશ્ય જોવા મળ્યા છે.
ભૂકંપના કારણે તુર્કીમાં ગણતરીની સેકન્ડોમાં, 1700 થી વધુ ઇમારતો જમીન દોસ્ત થઈ ગઈ હતી. ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 4000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે ઘાયલોની સંખ્યા વિશે હાલ તો સત્તાવાર કોઈ જાણકારી સામે નથી આવી રહી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તુર્કીમાં ગઈકાલથી લઈને અત્યાર સુધી જેટલા પણ ભૂકંપના આંચકા આવ્યા છે તેમાંથી મંગળવારના આંચકાને ચોથો સૌથી મજબૂત માનવામાં આવે છે. તુર્કીની સાથે સીરિયામાં પણ ભૂકંપના આંચકા અનુભવવા મળ્યા હતા.
ઘણા દેશો મદદ માટે આગળ આવ્યા
તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ભારત સહિત અનેક દેશ મદદ માટે આગળ આવ્યા છે. ભારતમાંથી NDRFની અને મેડીકલની ટીમો મોકલવામાં આવી છે. જે ત્યાં જઈને રાહત અને બચાવ કાર્યમાં લાગેલી તુર્કીની સેનાની મદદ કરશે. જ્યારે, અમેરિકા, ચીન, તાલિબાન સહિત ઘણા દેશોએ રાહત અને બચાવ કાર્ય માટે વિશેષ ટીમ મોકલી રહ્યા છે.
રાષ્ટ્રપતિ જો બાઈડને, તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દુગન સાથે ફોન પર વાત કરી અને યુએસ તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી. બાઈડને કહ્યું કે તુર્કીને નાટો તરફથી શક્ય તમામ મદદ આપવામાં આવશે. બાઈડને સોમવારે ટ્વીટ કરીને ભૂકંપમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું.