Breaking News : ‘ઈરાન ખતમ થઈ ગયું છે, તેને એક પણ રૂપિયો નહીં મળે’, તેહરાન સાથેના કરાર પર ટ્રમ્પનું મોટું નિવેદન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને લઈને ફરી એકવાર કડક નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે તાજેતરના યુદ્ધ બાદ ઈરાનની લશ્કરી શક્તિ લગભગ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે અને હવે તેને અમેરિકા તરફથી કોઈપણ પ્રકારની આર્થિક સહાય આપવામાં આવશે નહીં.

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર કરેલી પોસ્ટમાં જણાવ્યું કે યુદ્ધના કારણે ઈરાનની વાયુસેના, નૌકાદળ તેમજ હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને ભારે નુકસાન પહોંચ્યું છે. તેમના મતે ઈરાન હવે પહેલાં જેટલું શક્તિશાળી રહ્યું નથી.
તેમણે લખ્યું, “યુદ્ધે ઈરાનને ગંભીર રીતે નબળું બનાવ્યું છે. તેમની પાસે હવે વાયુસેના, નૌકાદળ, રડાર સિસ્ટમ અથવા હવાઈ સંરક્ષણ માટે જરૂરી સાધનો નથી.”
ડેમોક્રેટ્સ પર પણ સાધ્યું નિશાન
ટ્રમ્પે પોતાના રાજકીય વિરોધી ડેમોક્રેટ્સની પણ ટીકા કરી હતી. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે કેટલાક લોકો કેવી રીતે કહી શકે કે ઈરાન ચાર મહિના પહેલાં કરતાં આજે વધુ મજબૂત સ્થિતિમાં છે.
ટ્રમ્પે કહ્યું, “ડેમોક્રેટ્સ દાવો કરે છે કે ઈરાન આજે વધુ સારી સ્થિતિમાં છે. શું કોઈ આ વાત પર વિશ્વાસ કરી શકે? કેટલાક લોકો કેટલી હદ સુધી ખોટા સાબિત થઈ શકે છે તે આશ્ચર્યજનક છે.”
વાટાઘાટો માટે ઈરાન વધુ ઉત્સુક હોવાનું ટ્રમ્પનું કહેવું
અમેરિકન રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું કે યુદ્ધ બાદ વાટાઘાટો માટે અમેરિકા નહીં, પરંતુ ઈરાન વધુ ઉત્સુક બન્યું છે. તેમના જણાવ્યા મુજબ, દબાણની નીતિના કારણે તેહરાનને ચર્ચા માટે આગળ આવવું પડ્યું છે.
ટ્રમ્પે કહ્યું, “અમે કોઈ ઉતાવળમાં નથી. ઈરાન જ દબાણ હેઠળ છે અને હવે તેઓ જ વાટાઘાટો કરવા માંગે છે.”
ઈરાનને કોઈ નાણાકીય રાહત નહીં
ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમેરિકા આગામી 60 દિવસ સુધી પોતાની હાલની નીતિ પર અડગ રહેશે અને ઈરાનને કોઈ નાણાકીય રાહત આપવામાં આવશે નહીં.
તેમણે કહ્યું, “અમે અમારી સમયમર્યાદા પ્રમાણે આગળ વધીશું. ઈરાનને એક પણ ડોલર નહીં મળે.”
યુદ્ધવિરામ અને કરારને લઈને ચર્ચા
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધો તથા પરમાણુ કાર્યક્રમને લઈને નવી ચર્ચાઓ ચાલી રહી છે. ટ્રમ્પ પ્રશાસનનું માનવું છે કે ઈરાન પર લાદવામાં આવેલા દબાણથી પરિણામ મળ્યા છે, જ્યારે વિવેચકોનું કહેવું છે કે લાંબા ગાળે આ વ્યૂહરચના કેટલી અસરકારક સાબિત થશે તે જોવાનું રહેશે.
અહેવાલો મુજબ, બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન વચ્ચે ઇલેક્ટ્રોનિક માધ્યમથી 14 મુદ્દાઓ ધરાવતા એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ કરારનો હેતુ બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવને ઘટાડવાનો અને ભવિષ્યની વાટાઘાટો માટે માર્ગ તૈયાર કરવાનો છે.
કરાર હેઠળ આગામી 60 દિવસ દરમિયાન ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. જરૂરિયાત મુજબ આ સમયગાળો લંબાવવામાં પણ આવી શકે છે.
સાથે જ, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે દાવો કર્યો છે કે કરારના ભાગરૂપે ઈરાન હોર્મુઝ જળમાર્ગને ફરીથી ખોલશે, જ્યારે અમેરિકા તેની નૌકાદળ સંબંધિત નાકાબંધીમાં રાહત આપશે. જોકે, આ અંગે સંબંધિત દેશો તરફથી સત્તાવાર અને સ્વતંત્ર પુષ્ટિની રાહ જોવામાં આવી રહી છે.
ઈરાન-અમેરિકા શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા છતાં પણ તે શા માટે ફાઇનલ નથી?
