તાલિબાનીઓ ઘરોમાં ઘૂસી ઘૂસીને પત્રકારોને શોધી રહ્યા છે, જર્મનીના પત્રકારના સંબંધીની કરી હત્યા
તાલિબાનીઓએ ડૉયચે વેલેના ત્રણ પત્રકારોના ઘરમાં શોધખોળ કરી છે. એક સ્થાનીય ચેનલ ગરગશ્ત ટીવીના હેડ નેમાતુલ્લાહ હેમાતને કિડનેપ કરી લેવામાં આવ્યા છે.
અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાને (Taliban) કબજો કરી લીધા બાદથી જ તાલિબાન એવા લોકોને શોધી રહ્યુ છે જેમણે તેમના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હોય. તાલિબાનીઓના નિશાના પર હવે મીડિયાકર્મીઓ, પત્રકારો અને એક્ટિવિસ્ટ્સ છે. એક આંતરરાષ્ટ્રીય અખબારના હવાલાથી ખબર મળી રહી છે કે તાલિબાનીઓના લડાકુઓએ અફઘાનિસ્તાનમાં રહેતા જર્મનીના પત્રકારના એક સંબંધીની હત્યા કરી દીધી છે.
આ પત્રકાર જર્મનીની એક ન્યૂઝ ચેનલ ડૉયચે વેલે (Deutsche Welle) નો કર્મચારી હતો. મળતી માહિતી અનુસાર, તાલિબાનીઓ અફઘાનિસ્તાનમાં ઘરે ઘરે જઇને પત્રકારોને શોધી રહ્યા છે. આ દરમિયાન આ પત્રકારના એક સંબંધીને ગોળી મારી દેવામાં આવી છે સાથે જ અન્ય એકને ઘાયલ કરી દેવામાં આવ્યો છે. આ પત્રકારના પરિવારના બાકીના લોકો ગત મહિને કાબુલથી બચીને નીકળવામાં સફળ થયા હતા.
Deutsche Welle ના ડાયરેક્ટર જનરલ પીટર લિમબર્ગનું કહેવુ છે કે તાલિબાનીઓની ક્રૂરતાથી ખબર પડે છે તે અફઘાનિસ્તાનના કર્મચારીઓ અને તેમના પરિવારજનો હમણા કેટલુ જોખમ અનુભવી રહ્યા હશે અને તેઓ કેવા ડરના માહોલમાં હશે. એ વાત સાફ થઇ ગઇ છે કે તાલિબાન પહેલાથી જ કાબુલ અને અન્ય શહેરોમાંથી પત્રકારોને શોધીને તેમને નિશાનો બનાવી રહ્યુ છે. પીટર લિમબર્ગે આ હત્યાને સખત શબ્દોમાં વખોડતા જર્મનીની સરકાર પાસે કાર્યવાહીની અપીલ કરી છે.
પીટર લિમબર્ગે એક નિવેદન આપીને જણાવ્યુ કે, અમારા એક એડિટરના પરિજનની તાલિબાનીઓએ હત્યા કરી દીધી છે. આ ઘટના દર્શાવે છે કે અફઘાનિસ્તાનમાં અમારા કર્મચારીઓ અને તેમના પરિવાર પર કયા પ્રકારનું જોખમ છે.
એક રિપોર્ટ પ્રમાણે તાલિબાનીઓએ ડૉયચે વેલેના ત્રણ પત્રકારોના ઘરમાં શોધખોળ કરી છે. એક સ્થાનીય ચેનલ ગરગશ્ત ટીવીના હેડ નેમાતુલ્લાહ હેમાતને કિડનેપ કરી લેવામાં આવ્યા છે. સરકારી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, એક ખાનગી રેડિયો સ્ટેશન પાક્તિયા ગાગના પ્રમુખ તૂફાન ઉમરને ગોળી મારી દેવામાં આવી છે.
તાલિબાને 1996 થી લઇને 2002 સુધી અફઘાનિસ્તાન પર કબજો રાખ્યો હતો. આ દરમિયાન તેમણે લોકો પર ખૂબ અત્યાચાર ગુજાર્યા હતા. તેમના રાજમાં મહિલાઓને હિજાબ અને બુરખો પહેરવો ફરજિયાત હતો. સાથે જ છોકરીઓના અભ્યાસ પર પણ તેમણે પ્રતિબંધ લગાવ્યો હતો. તેમના રાજમાં કાયદો અને ન્યાય પાલિકા જેવુ કઇં જ નહી હોય તેવામાં દુનિયાભરના લોકો અફઘાન નાગરીકોની ચિંતા કરી રહ્યા છે.