‘ઓપરેશન સિંદૂર’ના એક જ ઘા એ ધ્રૂજ્યું પાકિસ્તાનનું રાજકીય તંત્ર ! જુઓ શું કહ્યું પાકિસ્તાની વડાપ્રધાને
ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવેલા હુમલા બાદ પાકિસ્તાન વેરવિખેર થઈ ગયું છે. ભારતના આ જડબાતોડ હુમલાથી પાકિસ્તાનમાં ડરનો માહોલ સર્જાયો છે.

ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવેલા હુમલા બાદ પાકિસ્તાન વેરવિખેર થઈ ગયું છે. ભારતના આ જડબાતોડ હુમલાથી પાકિસ્તાનમાં ડરનો માહોલ સર્જાયો છે. એવામાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે, ભારતે ફક્ત અમારા પર હુમલો જ નથી કર્યો, અમારી મજાક પણ ઉડાવી છે. તેમનું માનવું છે કે, અમે તપાસ માટે સહકાર આપવાની વાત કરી હતી, તેમ છતાંય ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો.
શાહબાઝ શરીફે પોતાના સંબોધનમાં કહ્યું કે, પહેલગામમાં હુમલો એ જ દિવસે થયો હતો જ્યારે તેઓ તુર્કીની મુલાકાતે હતા. તેમણે દાવો કર્યો હતો કે, પાકિસ્તાનનો આ હુમલા સાથે કોઈ સંબંધ નથી. શરીફે આંતરરાષ્ટ્રીય તપાસ પંચ બનાવવાની ઓફર કરી અને કહ્યું કે પાકિસ્તાન આ તપાસમાં દરેક સ્તરે તમને સહયોગ કરશે. જો કે, ભારતે આ પ્રસ્તાવને અવગણી કાઢ્યો હતો.
હુમલાના ઇનપુટ પર શાહબાઝે વાત કરી
પાકિસ્તાની વડા પ્રધાને એમ પણ કહ્યું કે, તેમને સતત એવા ઇનપુટ્સ મળી રહ્યા છે કે ભારત ટૂંક સમયમાં પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરી શકે છે. આથી તેમણે કહ્યું કે, તેઓ પાકિસ્તાનના 24 કરોડ લોકો અને સંસદને ખાતરી આપવા માંગે છે કે પાકિસ્તાની સેના દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે. બીજી બાજુ, આ હુમલા પર ભારતે કહ્યું કે તેમણે ફક્ત આતંકવાદી સંગઠનોને જ નિશાન પર લીધા હતા.
ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી
બીજી તરફ ભારતે સ્પષ્ટતા કરી છે કે, ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. સેનાએ કહ્યું છે કે, આ કાર્યવાહી આતંકવાદ વિરુદ્ધ છે અને જ્યાં સુધી પાકિસ્તાની ધરતી પરથી ભારત વિરુદ્ધ આતંકવાદી કાવતરા બંધ નહીં થાય ત્યાં સુધી ઓપરેશન સિંદૂર ચાલુ રહેશે. નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને ભારતે વિશ્વને સંદેશ આપ્યો છે કે, હવે આતંકવાદ પર માત્ર વાતો જ નહીં થાય પરંતુ નક્કર કાર્યવાહી કરવામાં આવશે.
આતંકવાદીઓના અડ્ડાઓનો નાશ
નિષ્ણાતો માને છે કે, ભારતને શાહબાઝ શરીફના નિવેદનો અને પાકિસ્તાની સેનાના વલણનો ખ્યાલ પહેલાથી જ આવી ગયો હતો. આથી જ તેમણે કોઈપણ જાહેરાત કર્યા વિના લશ્કરી કાર્યવાહી કરી. એક તરફ આ પગલાંથી આતંકવાદી માળખાને ગંભીર નુકસાન થયું અને બીજી તરફ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મંચો પર સ્પષ્ટતા આપવા માટે લાચાર થવું પડ્યું.
હવે પાકિસ્તાન પર ઘેરાશે કાળા વાદળો
ભારતના આ પગલાથી પાકિસ્તાન રાજકીય રીતે પણ ઘેરાઈ ગયું છે. ફક્ત અમેરિકા જ નહીં બીજા ઘણા દેશોએ કોઈને કોઈ રીતે ભારતના આત્મરક્ષાની હકને સમર્થન આપ્યું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન હજુ પણ નિર્ણય લઈ શકતું નથી કે જવાબ આપવો કે ચૂપ રહેવું. શાહબાઝ શરીફનું ભાષણ આ મૂંઝવણ અને દબાણનો પુરાવો છે કે જેમાં તેમણે પોતે સ્વીકાર્યું હતું કે, ભારતે માત્ર હુમલો જ નથી કર્યો પાકિસ્તાનની મજાક પણ ઉડાવી છે.