AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

457 વર્ષ બાદ બદલાયો વિશ્વનો નક્શો, પહેલીવાર અમેરિકા કરતા આફ્રિકાને મોટો ખંડ બતાવતા મહાસત્તાનો ઘમંડ તૂટ્યો

જે અમેરિકાને દાયકાઓથી એ વાતનો ઘમંડ છે કે દુનિયાને એ જ ચલાવી રહ્યો છે. પૃથ્વી તેના ઈશારે જ ફરી રહી છે, તેના આ અહંકારનો ફિયાસ્કો થઈ ગયો છે. દુનિયાના સૌથી મોટા મંચ સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘમાં તેને એકતરફી હાર મળી છે. અમેરિકાને મળેલી આ હાર હવે દુનિયાના નક્શા પર અંકિત પણ થઈ ગઈ છે. વાંચો વિગતવાર....

457 વર્ષ બાદ બદલાયો વિશ્વનો નક્શો, પહેલીવાર અમેરિકા કરતા આફ્રિકાને મોટો ખંડ બતાવતા મહાસત્તાનો ઘમંડ તૂટ્યો
| Updated on: Sep 07, 2026 | 9:25 PM
Share

સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વના નવા નક્શા માટે વોટીંગ થયુ. ત્યારે અમેરિકા એવુ ઈચ્છતુ હતુ કે જે નક્શો 457 વર્ષોથી ચાલી રહ્યો છે તે જ નક્શો યથાવત્ રહે, નવો નક્શો ન આવે. પરંતુ, આફ્રિકી દેશો નવો નક્શો લાવવાની માગ કરી રહ્યા હતા. UNO માં આ વોટિંગ દરમિયાન 164 દેશોએ દુનિયાનો નક્શો બદલવાનું સમર્થન કર્યુ. ભારતે પણ આ ઐતિહાસિક બદલાવની તરફેણમાં મતદાન કર્યુ. 6 દેશો વોટિંગથી દૂર રહ્યા અને અમેરિકા એકમાત્ર એવો દેશ હતો જેણે આ બદલાવના વિરોધમાં વોટીંગ કર્યુ. એટલે કે દુનિયાના નવા નક્શા પર સ્કોર 164/1નો રહ્યો. જેમા 164 દેશ સમર્થન કરતા દેશો અને અમેરિકા વૈશ્વિક મંચ પર એકલુ અટુલું પડી ગયુ. આ ઘટના માત્ર એક નક્શાનું પરિણામ નથી. આ એક મહાશક્તિના વળતા પાણીનો સંકેત પણ છે. જેને વિશ્વભરમાં સુપરપાવર અમેરિકાના એકલા-અટુલા પડવાની શરૂઆત પણ ગણી શકાય છે. આ દુનિયાના નવા નક્શાની સાથે વિશ્વમાંથી અમેરિકી વર્ચસ્વના તૂટવાનો એક આરંભ પણ કહી શકાય.

સૌપ્રથમ આપણે એ જાણી લઈએ કે દુનિયાના નવા નક્શા અને જૂના નક્શામાં શું તફાવત છે અને આફ્રિકી દેશો જુના નક્શાને બદલવાની માગ કેમ કરી રહ્યા હતા?

નવા નક્શા અને જુના નક્શામાં શું છે તફાવત?

અત્યાર સુધી જે નક્શા દ્વારા આપણે દુનિયાને જોતા-સમજતા હતા, તે નક્શો વર્ષ 1569માં યુરોપના મેપ મેકર ગેર્રેડસ મર્કેટર (Geradus Mercator) દ્વારા બનાવવામાં આવ્યો હતો. મર્કેટરે આ નક્શો એટલે બનાવ્યો હતો જેથી યુરોપીય સંશોધકોને દુનિયાભરમાં યાત્રા કરવામાં મદદ મળી શકે. મર્કેટરે ડિઝાઈન કરેલો જુનો નક્શો યુરોપિય વિચારસરણી અને યુરોપીયન્સને ધ્યાને રાખીને બનાવવામાં આવ્યો હતો. અત્રે એ પણ નોંધવુ રહ્યુ કે જ્યારે આ નક્શો બન્યો ત્યારે સમગ્ર દુનિયા યુરોપિયન સંસ્થાનવાદની શિકાર હતી. એટલે કે દુનિયાના દેશો પર યુરોપિયન દેશો કબજો કરી રહ્યા હતા અથવા તો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. દુનિયાને જોવા-સમજવાનો દૃષ્ટિકોણ પણ બદલાયો છે. આથી નક્શો પણ પણ બદલાઈ રહ્યો છે. મર્કેટરે તેના નક્શામાં પૃથ્વીના ઘુમાવ (ગોળાઈ)ને બતાવવા માટે ભૂમધ્ય રેખાની નજીકના દેશોને તેના વાસ્તવિક આકારથી નાના અને ધ્રુવના નજીકના દેશોને મોટા બતાવ્યા છે.

ઈક્વલ અર્થ પ્રોજેક્શન શું છે?

વર્ષ 2018માં કાર્ટોગ્રાફ ટીમે જે નવો નક્શો ડિઝાઈન કર્યો તે દુનિયાના દેશોને તેના ક્ષેત્રફળ મુજબ દર્શાવે છે. આથી જ નવા નક્શાને ‘સમાન પૃથ્વી પ્રક્ષેપણ’ (Equal Earth Projection) નામ આપવામાં આવ્યુ છે. અહીં મર્કેટરનો મેપ અને ઈક્વલ અર્થ પ્રોજેક્શનન ના ફર્કને સમજવુ પણ જરૂરી છે. આ બંને નક્શામાં શું તફાવત છે. જુના નક્શામાં આફ્રિકાનો આકાર ઘણો નાનો દેખાતો હતો. જ્યારે નવા મેપમાં આફ્રિકા મોટો દેખાશે. જુના નક્શામાં ગ્રીનલેન્ડ આફ્રિકા જેવડુ જ દર્શાવાયુ હતુ. ગ્રીનલેન્ડનું કૂલ ક્ષેત્રફળ 22 લાખ વર્ગ કિલોમીટર છે. જેની સામે આફ્રિકાનું ક્ષેત્રફળ 3 કરોડ વર્ગ કિલોમીટર છે. એટલે કે આફ્રિકા ગ્રીનલેન્ડથી લગભગ 14 ગણુ મોટુ છે. પરંતુ જુના નક્શામાં બંનેને સમાન દેખાતા હતા.

ઈક્વલ અર્થ પ્રોજેક્શન માં અમેરિકાને વાસ્તવિક ક્ષેત્રફળ અનુસાર નાનુ બતાવાયુ

હવે નવા નક્શામાં વાસ્તવિક ક્ષેત્રફળ અને સાઈઝ મુજબ ગ્રીનલેન્ડ નાનું દેખાશે અને આફ્રિકા મોટુ દેખાશે. જુના નક્શામાં ઉત્તરી અમેરિકા અને યુરોપ તેના ક્ષેત્રફળથી ચાર ગણા મોટા દેખાતા હતા. હવે નવા નક્શામાં તે તેની સાઈઝ મુજબ જ દેખાશે. ખોટી રીતે મોટા નહીં દેખાય. જુના નક્શામાં રશિયા અને કેનેડા પણ પહેલા વધુ મોટા અને વિશાળ દેખાતા હતા પરંતુ હવે રશિયા આફ્રિકા કરતા નાનું દેખાશે. ભારત અને દક્ષિણ એશિયાને જુના નક્શામાં નાનું બતાવવામાં આવતુ હતુ પરંતુ નવા નક્શામાં આ ત્રુટિને પણ દૂર કરવામાં આવી છે. હવે નવા નક્શામાં ભારતનો આકાર પણ પહેલાથી થોડો મોટો દેખાશે. એટલે કે નવો નક્શો દેશોને તેના વાસ્તવિક ક્ષેત્રફળ અનુસાર બતાવે છે. આથી આફ્રિકી દેશો તેનુ સમર્થન કરી રહ્યા છે. નક્શામાં બદલાવથી વાસ્તવિક જમીન, આંતરરાષ્ટ્રીય સરહદો અને દેશોના ક્ષેત્રફળમાં કોઈ ફેરફાર નહીં થાય. માત્ર મેપની અંદર પૃથ્વીને બતાવવાની મેથડ બદલાઈ જશે.

વિશ્વ અમેરિકાની દાદાગીરીથી નહીં લોકતંત્રથી ચાલશે

આ નવા નક્શામાં વિશ્વનું લોકતાત્રિકરણ કરાયુ છે એટલે કે જે દેશ જે આકારનો છે તેને તે જ આકારમાં ડિઝાઈન કરવામાં આવ્યો છે. અમેરિકાનો આકાર પણ નવા નક્શામાં નાનો થયો છે. જેનાથી પોતાને સર્વ શક્તિશાળી સમજનાર અમેરિકાને આ વાત ગળે નથી ઉતરી રહી. આથી જ તે નવા નક્શાનો વિરોધ કરી રહ્યુ હતુ. અત્યાર સુધી અમેરિકા તેનો વૈચારિક એજન્ડા સમગ્ર દુનિયા પર થોપી રહ્યુ હતુ. નવા વર્લ્ડ મેપ પર યુએનમાં થયેલા વોટિંગ બાદ સ્પષ્ટ થઈ ગયુ છે કે મેજોરિટી હવે અમેરિકાના વૈચારિક એજન્ડાને નકારી ચુક્યુ છે. હવે વર્લ્ડ ઓર્ડર બદલાઈ રહ્યો છે, હવે વિશ્વ અમેરિકાની દાદાગીરીથી નહીં પરંતુ લોકતંત્રની અવાજ અને બરાબરની (ઈક્વાલિટીના) નિયમથી ચાલશે. લોકતંત્રનો આ જ અવાજ અને સામ્રાજ્યવાદી વિચારસરણી વિરુદ્ધ એકજૂટતાથી અમેરિકા એકલું અટુલું પડી ગયું, જો કે આટલી મોટી હાર અમેરિકાને પહેલીવાર મળી છે.

અમેરિકાને તેના સહયોગી દેશોઓ ક્યારે ક્યારે આપ્યો ઝટકો?

  1. ફેબ્રુઆરી 2026 થી શરૂ થયેલા અમેરિકા ઈરાન યુદ્ધ દરમિયાન પણ તેના સહયોગી દેશોએ તેનો સાથ ન આપ્યો. ટ્રમ્પની ધમકી છતા નાટોમાં સામેલ મોટાભાગના દેશોએ ખુલીને અમેરિકાની સાથે ન આવ્યા અને તેનું સમર્થન ન કર્યુ.
  2. આ પહેલા નવેમ્બર 2024માં ઈઝરાયેલ હમાસ યુદ્ધમાં પણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે સુરક્ષા પરિષદના 14 સદસ્યો દેશોએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યુ હતુ, માત્ર અમેરિકાએ પ્રસ્તાવનો વિરોધ કર્યો. અમેરિકાએ તેના વિશેષાધિકાર એટલે કે વીટો નો પ્રયોગ કર્યો અને પ્રસ્તાવ પારીત ન થઈ શક્યો.
  3. જુન 2025માં ફરી આ જ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. રશિયા ચીન સાથે અમેરિકાના નિકટના દેશો ફ્રાંસ અને બ્રિટને પણ પ્રસ્તાવનું સમર્થન કર્યુ. અમેરિકાએ ફરી વીટો યુઝ કર્યો. એ સમયે પણ મતદાનનો આંકડો 14/1 રહ્યો હતો.
  4. સપ્ટેમ્બર 2025માં પણ છઠ્ઠીવાર અમેરિકાએ આ પ્રસ્તાવને વીટો યુઝ કરીને ફગાવ્યો હતો. એ સમયે પણ મતદાનનો સ્કોર 14/1 જ રહ્યો હતો.
  5. ઓગસ્ટ 2020માં અમેરિકાએ સુરક્ષા પરિષદમાં ઈરાન પર લાગેલા શસ્ત્ર પ્રતિબંધને અનિશ્ચિતકાળ માટે વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવના પક્ષમાં માત્ર અમેરિકા અને ડોમિનિક રિપબ્લિકને જ મત આપ્યો. રશિયા ચીન સહિત અમેરિકાના યુરોપી સહયોગી ફ્રાંસ જર્મની અને બ્રિટન સહિત 11 દેશો અનુપસ્થિત રહ્યા. અહીં પણ અમેરિકાને માત્ર ડોમેનિક રિપબ્લિક દેશનુ જ સમર્થન મળ્યુ.
  6. ડિસેમ્બર 2017માં યેરુશલેમને ઈઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપવાના ટ્રમ્પના નિર્ણય વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર માં યમન અને તૂર્કી એ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને 128 દેશોનું સમર્થન કર્યુ હતુ. વિરોધમાં માત્ર અમેરિકા અને ઈઝરાયેલ સહિત 9 દેશોએ વોટ આપ્યો હતો. આ દર્શાવે છે કે દરેક મોટા મોરચે અમેરિકા એકલુ અટુલુ પડી ગયેલુ જોવા મળે છે અથવા તો તેની સાથે માત્ર ગણતરીના દેશો જ હોય છે. આ મહાસત્તાના વળતા પાણીની એટલે કે પતનની શરૂઆત છે.

વૈશ્વિક સંસ્થાઓમાંથી અમેરિકા પોતાને કેમ બહાર કરી રહ્યુ છે?

  1. પોતાના ઘટતા વર્ચસ્વ, નબળી પડતી શાખની ખીજને લઈને જ અમેરિકા WHO માંથી બહાર નીકળી ગયુ છે. આજે પણ અમેરિકાને છોડીને વિશ્વના 193 દેશ WHO ના સદસ્ય છે. WHO ના બહિષ્કાર કરવાના મુદ્દે પણ અમેરિકા એકલુ પડેલુ છે.
  2. આ જ વર્ષે 7 જાન્યુઆરી ભારત અને ફ્રાંસના સંયુક્ત નેતૃત્વવાળા ઈન્ટરનેશનલ સોલર એલાયન્સમાંથી પણ અમેરિકા બહાર થઈ ગયુ છે. દુનિયાના 125 દેશો આ સંગઠનનો સદસ્યો છે. પરંતુ અમેરિકા બહાર છે.
  3. આ વર્ષની શરૂઆતમાં ટ્રમ્પે એક પ્રેસિડેન્શિયલ મેમોરેન્ડમ પર સાઈન કરી અમેરિકાને 66 આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંથી બહાર કરી લીધુ. ટ્રમ્પે એવી દલીલ આપી કે આ સંગઠનો હવે અમેરિકી હિતોનું ધ્યાન નથી રાખતા. જોકે વાસ્તવિક્તા એ છે કે આ સંગઠનોમાં હવે અમેરિકાની દાદાગીરી નથી ચાલતી.
  4. અમેરિકા યુએન ફ્રેમવર્ક કન્વેંશન ઓન ક્લાઈમેટ ચેન્જ, યુએન જનસંખ્યા કોષ, યુએન વ્યાપાર અને વિકાસ સંમેલન ઈન્ટર ગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ, ઈન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી, ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્વર્ઝેશન ઓફ નેચર જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંથી બહાર થઈ ચુક્યુ છે.

દુનિયાનો નવો નક્શો સંયુક્ત રાષ્ટ્રમાં પાસ થવો, વૈશ્વિક સંગઠનોમાંથી અમેરિકાનું બહાર થઈ જવું એ બધી જોવામાં એક રીતે ભલે નાની-નાની ઘટના લાગે. અમેરિકા ભલે એવો દેખાવ કરે કે તેમના વિના આ વૈશ્વિક સંસ્થાઓ નહીં ચાલે પરંતુ આ ઘટનાઓ બતાવી રહી છે કે વર્લ્ડ ઓર્ડરમાં અમેરિકા ઘણું નીચે જઈ રહ્યુ છે. હવે તેની પકડ ઢીલી પડી રહી છે. જ્યાં સુધી આ સંગઠનોમાં અમેરિકી અવાજ સામે દુનિયા ચૂપ રહી ત્યાં સુધી તેની મનમાની ચાલતી રહી. ત્યાં સુધી તે જગત જમાદારની ભૂમિકામાં રહ્યુ પરંતુ હવે ભારત સહિત ગ્લોબલ સાઉથ અને આફ્રિકી દેશોનું વર્ચસ્વ વધી રહ્યુ છે. બ્રિટન-ફ્રાંસ જેવા યુરોપીય દેશો અમેરિકાનો સાથ છોડી રહ્યા છે અને નક્શાની સાથે થઈ રહેલા આ વૈશ્વિક બદલાવ પણ પરિણામોમાં દેખાઈ રહ્યા છે.

શું જૌહર કરનારી રાણીઓ કાયર હતી કે વિરાંગના? શું સમયને પારખી જઈ નર્કની જિંદગી છોડીને જૌહર કરવુ એ કાયરતા હતી કે વીરતા?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">