Breaking News : યુદ્ધના ભણકારા, ઈરાને બંધ કરી એરસ્પેસ, ભારતીય એરલાઈન્સ એર ઈન્ડિયા- ઈન્ડિગોએ જાહેર કરી મુસાફરો માટે એડવાઈઝરી
ઈરાને પોતાની એર સ્પેસ બંધ કરી છે. જેના પગલે, ભારતીય એરલાઈન્સ એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ મુસાફરો માટે નવી એડવાઈઝરી જાહેર કરી છે. એર ઈન્ડિયાએ પોતાની એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે જે ફ્લાઇટ્સ માટે રૂટ બદલવો શક્ય નથી તે રદ કરવામાં આવી રહી છે. કંપનીએ મુસાફરોને એરપોર્ટ પર જતા પહેલા તેમની ફ્લાઇટ સ્ટેટસ ચકાસવા માટે વિનંતી કરી હતી.

ઈરાનમાં પરિસ્થિતિ સતત બગડી રહી છે. સરકાર સામે છેલ્લા18 દિવસથી ચાલી રહેવા વિરોધ પ્રદર્શનો હજુ પણ ચાલુ છે. અમેરિકા પણ ઈરાન પર ગમે ત્યારે હુમલો કરવાની વાત કરી રહ્યું છે. દરમિયાન, ભારત પણ ઈરાનની પરિસ્થિતિ પર ખૂબ જ બારીકાઈથી નજર રાખી રહ્યું છે. બગડતી પરિસ્થિતિ વચ્ચે, એરસ્પેસ પણ બંધ કરવામાં આવ્યું છે. દરમિયાન, ભારતીય એરલાઈન્સ એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ હવાઈ મુસાફરી અંગે એડવાઈઝરી જાહેર કરી છે.
એર ઈન્ડિયાએ, આજે ગુરુવારે મુસાફરો માટેની એક અડવાઈઝરી જાહેર કરી હતી. જેમાં ફ્લાઇટમાં વિલંબ થવાની ચેતવણી આપવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઈરાનનું હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે તેની ફ્લાઇટ્સ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરી રહી છે. એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ઈરાનમાં સતત બગડતી પરિસ્થિતિ, ત્યારબાદ એરસ્પેસ બંધ થવા અને મુસાફરોની સલામતીની ચિંતાઓને ધ્યાનમાં રાખીને, આ પ્રદેશમાંથી પસાર થતી એર ઈન્ડિયાની ફ્લાઇટ્સ હવે વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરી રહી છે, જેના પરિણામે ફ્લાઈટના સમયપત્રકમાં વિલંબ થઈ શકે છે.”
પ્રસ્થાન પહેલાં ફ્લાઇટની સ્થિતિ ચકાસો
એરલાઇને વધુમાં જણાવ્યું હતું કે જે ફ્લાઇટ્સ માટે રૂટ બદલવું શક્ય નથી તે રદ કરવામાં આવી રહી છે. કંપનીએ મુસાફરોને એરપોર્ટ પર જતા પહેલા તેમની ફ્લાઇટ્સની સ્થિતિ તપાસવા વિનંતી પણ કરી હતી. કંપનીએ તેની પોસ્ટમાં વધુમાં લખ્યું હતું કે, “એર ઇન્ડિયા એ આ અણધાર્યા વિક્ષેપને કારણે મુસાફરોને થયેલી અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરી છે. એર ઈન્ડિયાએ જણાવ્યું છે કે, અમારા મુસાફરો અને ક્રૂની સલામતી એ અમારા માટે ટોચની પ્રાથમિકતા છે.”
દરમિયાન, અન્ય એક ભારતીય એરલાઇન, ઇન્ડિગો એરલાઇન્સે પણ ઇરાનની એરસ્પેસ બંધ થવાનો ઉલ્લેખ કરીને મુસાફરો માટે અડવાઈઝરી જાહેર કરી છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે, “ઇરાન દ્વારા એરસ્પેસ અચાનક બંધ થવાને કારણે અમારી કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે.”
ઇન્ડિગોએ પણ જાહેર કરી એડવાઈઝરી
એરલાઇને જણાવ્યું હતું કે આ ઘટના તેના નિયંત્રણની બહાર છે અને મુસાફરોની મુસાફરી યોજનાઓમાં કોઈપણ વિક્ષેપ માટે ખેદ વ્યક્ત કર્યો હતો. તેણે એમ પણ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત મુસાફરોને રિબુકિંગ વિકલ્પો શોધવા માટે એરલાઇનની વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.
દરમિયાન, સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ આ ઘટના ત્યારે બની છે, જ્યારે ઇરાન સતત અશાંતિમાં રહે છે અને સત્તાવાર પરવાનગી સાથે દેશમાં જતી અને આવતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સિવાયની તમામ ફ્લાઇટ્સ માટે તેનું એરસ્પેસ બંધ કરી દીધું છે. અહેવાલ મુજબ, આ પ્રતિબંધ સ્થાનિક સમય મુજબ 7:30 વાગ્યા સુધી બે કલાકથી વધુ સમય માટે રહેશે, પરંતુ તેને લંબાવી શકાય છે.
તો…., સમગ્ર ઈરાનમાં માર્શલ લો લાદવામાં આવી શકે
એક અમેરિકન અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે અમેરિકા મધ્ય પૂર્વમાં તેના આર્મી બેઝ કેમ્પમાંથી કેટલાક બેઝ કેમ્પ ખાલી કરીને સૈન્ય જવાનોને ત્યાંથી બહાર કાઢી રહ્યું છે, જ્યારે એક વરિષ્ઠ ઈરાની અધિકારીએ અહેવાલ આપ્યો હતો કે તેહરાને તેના પડોશીઓને ચેતવણી આપી છે કે જો વોશિંગ્ટન તેના પર હુમલો કરશે તો તે અમેરિકન બેઝ પર હુમલો કરશે.
ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. ઈરાન- અમેરિકા કટોકટી સહીત વિશ્વના અન્ય તમામ સમચારો જાણવા માટે તમે અહીં ક્લિક કરો.