જર્મનીના મ્યુનિકમાં ભારતીયોએ પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં યોજી રેલી
મ્યુનિકમાં આ કાર્યક્રમના મુખ્ય આયોજકોમાંના એક શોભિત સરીને કહ્યું, "આ ફક્ત શાંતિ કૂચ નથી. તે ન્યાય માટે સામૂહિક અવાજ હતો." તેમણે વધુમાં કહ્યું, "અમે એ લોકો માટે કૂચ યોજી હતી જેમનો અવાજ આતંકવાદીઓએ પહેલગામમાં દબાવી દીધો હતો."

પહેલગામ આતંકવાદી હુમલાનો સમગ્ર વિશ્વમાં વિરોધ થઈ રહ્યો છે. મોટાભાગના દેશોએ આતંકવાદ સામે ચાલી રહેલા જંગમાં ભારતને ટેકો આપવાનું વચન આપ્યું છે, જ્યારે વિદેશમાં રહેતા ભારતીય સમુદાય પણ આ જઘન્ય ગુનાનો વિરોધ કરી રહ્યા છે. જર્મનીમાં ભારતીય સમુદાયના લોકો પણ સતર્ક છે. જર્મનીના જાણીતા શહેરોમાંના એક મ્યુનિકમાં, મોટી સંખ્યામાં ભારતીય લોકોએ ત્રિરંગો સાથે શહેરમાં કૂચ યોજી હતી. તેઓએ સમગ્ર વિશ્વમાં શાંતિ અને ન્યાય માટે હાકલ પણ કરી.
મ્યુનિકમાં ભારતીય સમુદાયે, ગત શનિવાર 3 મેના રોજ આતંકવાદી ઘટના પર એકતા અને સામૂહિક શોક વ્યક્ત કરવા માટે ભારત શાંતિ કૂચ (Bharat Peace March) કાઢી. આ કૂચમાં 700 થી વધુ ભારતીયઓએ ભાગ લીધો હતો. તેઓએ આતંકવાદની સખત નિંદા કરી હતી. તેઓએ 22એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામના બૈસરનમાં થયેલા અમાનવીય અને કાયર આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.
સવારે 11 વાગ્યે શરૂ થઈ હતી રેલી
આ શાંતિપૂર્ણ કૂચ ફક્ત પ્રતીકાત્મક નહોતી, પરંતુ તેનો હેતુ આંતકનો ભોગ બનેલા માટે ન્યાયની હાકલ કરવાનો, આતંકવાદી હુમલાઓનો વિરોધ કરવાનો અને શાંતિ અને માનવતા પર આધારિત ભવિષ્યના નિર્માણ પર ભાર મૂકવાનો હતો. કૂચ માટે લોકો શનિવારે સવારે 11 વાગ્યે ગેશ્વિસ્ટર-સ્કોલ-પ્લેટ્ઝ ખાતે આવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત જર્મનીના પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ અને બુન્ડેસ્ટાગના સભ્ય (બુન્ડેસ્ટાગના સભ્ય, 2025) ડૉ. હંસ થિસ અને એલએચ મ્યુનિકના સિટી કાઉન્સિલર અને અપર બાવેરિયા ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલના સભ્ય ડેલી બાલિડેમાઝ સહિત અનેક મહત્વપૂર્ણ વ્યક્તિઓના સંબોધનથી થઈ હતી.
અમે સાથે છીએ: ડૉ. હંસ થિસ
ડૉ. થિસે પોતાના સંબોધનમાં પહેલગામ હુમલાના પીડિતો માટે પ્રાર્થના કરી અને તમામ સ્વરૂપોમાં આતંકવાદ અને ધાર્મિક ઉગ્રવાદની નિંદા કરી. તેમણે ભારતીય ડાયસ્પોરાની પહેલની પ્રશંસા પણ કરી અને કહ્યું, “આ શાંતિ કૂચ વિશ્વને ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ છે કે આપણે સાથે ઉભા છીએ, નફરતની વિચારસરણીને નકારીએ છીએ. આપણે શાંતિ સ્વીકારીએ છીએ. આપણે ખાતરી કરવી જોઈએ કે આવા આતંકવાદી કૃત્યો ફરી ક્યારેય ન બને. ગુનેગારોને સજા મળવી જોઈએ.”
તેમણે એમ પણ કહ્યું, “તે જ સમયે, આપણે ભારત અને પાકિસ્તાન (બન્ને પરમાણુ સશસ્ત્ર દેશો) વચ્ચે વધુ તણાવ ટાળવા માટે દરેક પ્રયાસ કરવો જોઈએ. આજે, આપણે પીડિતોની સાથે ઉભા છીએ. પીડિતો એકલા નથી.” ડેલી બાલિડેમાઝે પણ તેમના સંબોધનમાં એકતા અને શાંતિના આ સંદેશનો પુનરોચ્ચાર કર્યો હતો.
રેલીના અંતે ‘જન ગણ મન’
મ્યુનિકમાં ભારત શાંતિ કૂચ બપોરે 12:20 વાગ્યે ગેશ્વિસ્ટર-સ્કોલ-પ્લેટ્ઝથી શરૂ થઈ, મ્યુનિકના વિવિધ વિસ્તારમાંથી પસાર થઈ અને બપોરે 2 વાગ્યે મ્યુનિક ફ્રીહાઈટ ખાતે પૂર્ણ થઈ. અહીં પહોંચ્યા પછી, ભારતીય સમુદાયના લોકોએ શાંતિ, એકતા અને ન્યાયના સૂત્રો પોકાર્યા હતા.પીડિતો અને તેમના પરિવારોના સન્માનમાં એક મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું. કાર્યક્રમના અંતે, ભારતના રાષ્ટ્રીય ગીત જન ગણ મનનું સામૂહિક ગાન કરવામાં આવ્યું.
આ કૂચમાં જીવનના તમામ ક્ષેત્રોના લોકો (વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, પરિવારો અને સમુદાયના નેતાઓ) એ ભાગ લીધો. મ્યુનિકમાં આ કાર્યક્રમના મુખ્ય આયોજકોમાંના એક શોભિત સરીને કહ્યું, “આ ફક્ત શાંતિ કૂચ નહોતી. તે ન્યાય માટે એક સામૂહિક આહવાન પણ હતું.” તેમણે વધુમાં કહ્યું, “અમે પહેલગામમાં જેમનો અવાજ દબાવવામાં આવ્યો હતો તેમના માટે અને શાંતિ, ન્યાય અને માનવ જીવનના ગૌરવમાં વિશ્વાસ રાખનારા દરેક ભારતીય માટે કૂચ કાઢી હતી.”
કાર્યક્રમના મુખ્ય આયોજકો શિવાંગી કૌશિક અને દિવ્યભ ત્યાગીએ કહ્યું, “અમે સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે, આપણા વિશ્વમાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી. ભારત એક છે, મજબૂત છે, કારણ કે આપણે સાથે મળીને આગળ વધી રહ્યા છીએ.” જર્મનીના ઘણા શહેરોમાં ભારતીય સમુદાય પહેલગામ આતંકી હુમલાનો વિરોધ કરી રહ્યો છે. ભારતીય સમુદાયોએ જર્મનીમાં બર્લિન અને સ્ટુટગાર્ટમાં પણ શાંતિપૂર્ણ કૂચ યોજી હતી.
જર્મની એ યુરોપનો મુખ્ય અને સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. યુરોપની સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ જર્મની ધરાવે છે. જર્મનીને લગતા નાના મોટા તમામ મહત્વના સમાચાર જાણવા માટે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.