EV સેક્ટરમાં કમાણીની મોટી તક: બેટરી રિસાયકલિંગ માટે ભારત-EU આપશે 169 કરોડની મદદ, સ્ટાર્ટઅપ્સ માટે લોટરી લાગી
વધતા જતા ઇલેક્ટ્રિક વાહનોની સાથે હવે જૂની બેટરીઓનો નિકાલ એક મોટો પડકાર છે. આ સમસ્યાને કમાણીના અવસરમાં બદલવા માટે ભારત અને યુરોપિયન યુનિયને એક સંયુક્ત પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ પહેલ હેઠળ લિથિયમ અને કોબાલ્ટ જેવા કિંમતી ખનિજો મેળવવા માટે નવી ટેકનોલોજી વિકસાવતા સ્ટાર્ટઅપ્સને કરોડોની મદદ મળશે.

ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ઇન્ડસ્ટ્રી જે ઝડપે વધી રહી છે, તેટલી જ ઝડપે બેટરી વેસ્ટની સમસ્યા પણ ઉભી થઈ રહી છે. એક અંદાજ મુજબ વર્ષ 2030 સુધીમાં ભારતમાં 128 GWh જેટલી રિસાયકલ કરી શકાય તેવી બેટરીઓની ક્ષમતા હશે. આ કચરાને ફેંકી દેવાને બદલે તેને ‘વર્ચ્યુઅલ માઈન’ (આભાસી ખાણ) માં બદલવા માટે ભારત અને યુરોપિયન યુનિયને એક ઐતિહાસિક સમજૂતી કરી છે.
169 કરોડનું ફંડિંગ અને મોટી તક
ભારત-EU ટ્રેડ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલ હેઠળ 15.2 મિલિયન યુરો એટલે કે અંદાજે 169 કરોડ રૂપિયાના ફંડિંગની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય બેટરી રિસાયકલિંગની નવી ટેકનોલોજી વિકસાવવાનો છે. આ માટે ભારતનું ભારે ઉદ્યોગ મંત્રાલય અને EU ના હોરાઈઝન યુરોપ પ્રોગ્રામ સાથે મળીને કામ કરશે.
કોણ અરજી કરી શકે?
આ પ્રોગ્રામ હેઠળ નીચે મુજબની સંસ્થાઓ પોતાના પ્રસ્તાવ રજૂ કરી શકે છે:
- નવા અને ઉભરતા સ્ટાર્ટઅપ્સ
- નાના અને મધ્યમ ઉદ્યોગો (SMEs)
- યુનિવર્સિટીઓ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
- અરજી જમા કરાવવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2026 નક્કી કરવામાં આવી છે.
શા માટે આ પહેલ ક્રાંતિકારી છે?
હાલમાં બેટરી બનાવવા માટે જરૂરી લિથિયમ, ગ્રેફાઈટ અને કોબાલ્ટ જેવા ખનિજો માટે ભારત વિદેશી આયાત પર નિર્ભર છે. જો આ રિસાયકલિંગ ટેકનોલોજી સફળ થાય, તો આપણે જૂની બેટરીઓમાંથી જ શુદ્ધ સ્વરૂપે આ ખનિજો ફરી મેળવી શકીશું. આનાથી આયાત ખર્ચ ઘટશે અને પર્યાવરણને થતું નુકસાન પણ અટકશે.
આ પ્રોગ્રામ ભારત-યુરોપિયન યુનિયન ટ્રેડ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલ (TTC) ના ગ્રીન અને ક્લીન એનર્જી વર્કિંગ ગ્રુપ હેઠળ ચલાવવામાં આવશે. આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે ભારતમાં એક સંયુક્ત ‘EU-India પાયલોટ લાઈન’ સ્થાપવામાં આવશે, જ્યાં બેટરીમાંથી લિથિયમ, ગ્રેફાઈટ અને કોબાલ્ટ જેવા કિંમતી ખનિજોને એકદમ શુદ્ધ સ્વરૂપે (High Purity) પરત મેળવવાની ટેકનોલોજીનું ઇન્ડસ્ટ્રીયલ લેવલ પર લાઈવ ટેસ્ટિંગ કરવામાં આવશે. આ પ્રક્રિયાથી ન માત્ર બેટરી વેસ્ટનો નિકાલ થશે, પરંતુ ભવિષ્યમાં ખનિજો માટે અન્ય દેશો પરની નિર્ભરતા પણ ઘટશે.
ખનિજ સુરક્ષા તરફ ડગલું
ભારતમાં EU ના એમ્બેસેડર હર્વે ડેલ્ફિને જણાવ્યું કે બેટરીઓ એટલી કિંમતી છે કે તેને એકવાર વાપરીને ફેંકી શકાય નહીં. તો ભારતના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઈઝર અજય કુમાર સૂદે આ પ્રોગ્રામને મજબૂત રિસાયકલિંગ ઇકોસિસ્ટમ બનાવવાની દિશામાં એક મોટું ડગલું ગણાવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ ભારતમાં એક સ્પેશિયલ ‘પાયલોટ લાઈન’ તૈયાર કરાશે જ્યાં આ નવી ટેકનોલોજીનું ટેસ્ટિંગ કરવામાં આવશે.
