હોસ્પિટલના બિછાનેથી ઈમરાનખાનની જાહેરાત, મંગળવારથી ફરી શરુ કરાશે આઝાદી લોંગ માર્ચ
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાનખાને, આઝાદી લોંગ માર્ચ દરમિયાન વઝીરાબાદમાં હત્યાના કરાયેલા પ્રયાસની તપાસ માટે ન્યાયિક પંચ રચવાના વડા પ્રધાન શહેબાઝ શરીફના નિર્ણયનું પણ સ્વાગત કર્યું હતું.
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના વડા અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને મંગળવારથી આઝાદી લોંગ માર્ચ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. રવિવારે આ અંગે માહિતી આપતા તેમણે કહ્યું કે મંગળવારથી આઝાદી લોંગ માર્ચ ટુ ઈસ્લામાબાદ ફરી શરૂ થશે. શૌકત ખાનુમ હોસ્પિટલથી એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ઈમરાન ખાને કહ્યું કે આઝાદી લોંગ માર્ચ વજીરાબાદથી ફરી શરૂ થશે અને તે દરરોજ હોસ્પિટલમાંથી લોંગ માર્ચના સહભાગીઓને સંબોધિત કરશે.
તેમણે કહ્યું કે આઝાદી લોંગ માર્ચ 10 થી 15 દિવસમાં રાવલપિંડી પહોંચશે, જ્યાં તેઓ પોતે પણ આઝાદી લોંગ માર્ચમાં જોડાશે. ઈમરાન ખાને જનતાને આ કૂચમાં જોડાવા અને ભયની બેડીઓ તોડવા માટે આમંત્રણ આપ્યું છે. ભૂતપૂર્વ વડા પ્રધાને જાહેર રેલી દરમિયાન વઝીરાબાદમાં હત્યાના પ્રયાસની તપાસ માટે ન્યાયિક પંચ રચવાના વડા પ્રધાન શહેબાઝ શરીફના નિર્ણયનું પણ સ્વાગત કર્યું હતું.
ઈમરાન ખાને FIR ન નોંધવાનો આરોપ લગાવ્યો
તેમણે કહ્યું કે PTI-PML-Q-ની આગેવાની હેઠળની પંજાબ સરકાર હોવા છતાં, છેલ્લા ત્રણ દિવસથી હુમલા માટે કોઈ FIR નોંધવામાં આવી નથી. પહેલા વીડિયો સામે આવ્યો કે હું નિંદા કરું છું, તેની તપાસ થવી જોઈએ. ત્યારપછી રાજકીય પક્ષ સાથે જોડાયેલા એક પત્રકાર દ્વારા વીડિયોને હાઈલાઈટ કરવામાં આવે છે.
ઈમરાનખાને પ્રશ્ન કર્યો કે કથિત શંકાસ્પદનો કબૂલાતનો વીડિયો કોણ બહાર પાડી રહ્યું છે. ઈમરાન ખાને પાર્ટીના સેનેટર આઝમ સ્વાતિના કથિત વાંધાજનક વીડિયો લીકની પણ નિંદા કરી અને કહ્યું કે આ વીડિયો નકલી નથી અને તેની તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું કે આઝમ સ્વાતી ન્યાય મેળવવા માટે સુપ્રીમ કોર્ટની બહાર ધરણા કરશે. પીટીઆઈના વડાએ એવી પણ માગણી કરી હતી કે ન્યાયિક પંચે વરિષ્ઠ પત્રકાર અરશદ શરીફ અને અમેરિકન સિફરની હત્યાની પણ તપાસ કરવી જોઈએ, જે ઈમરાન ખાનના મતે પીટીઆઈની આગેવાની હેઠળની ફેડરલ સરકારને તોડવા માટેનો કારસો કર્યો હતો.