ઈમરાન ખાન આજે પાકિસ્તાનને સંબોધિત કરશે, વડાપ્રધાન શાહબાઝ શરીફ સહિત 3 લોકોને હુમલાના દોષી ગણાવ્યા
ઈમરાન ખાન આજે સાંજે પાકિસ્તાનના (Pakistan) લોકોને સંબોધિત કરવાના છે. તેમનું સંબોધન ભારતીય સમય અનુસાર સાંજે 4.30 વાગ્યાની આસપાસ હશે. માનવામાં આવે છે કે આ દરમિયાન ઈમરાન ખાન આ હુમલા માટે પાકિસ્તાનની સત્તાધારી સરકારના કેટલાક નેતાઓ પર આરોપ લગાવી શકે છે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર થયેલા જીવલેણ હુમલા બાદ દેશમાં દરેક જગ્યાએ દેખાવો જોવા મળી રહ્યા છે. આ દરમિયાન હોસ્પિટલમાં દાખલ ઈમરાન ખાન આજે સાંજે પાકિસ્તાનના લોકોને સંબોધિત કરવાના છે. તેમનું સંબોધન ભારતીય સમય અનુસાર સાંજે 4.30 વાગ્યાની આસપાસ હશે. માનવામાં આવે છે કે આ દરમિયાન ઈમરાન ખાન આ હુમલા માટે પાકિસ્તાનની સત્તાધારી સરકારના કેટલાક નેતાઓ પર આરોપ લગાવી શકે છે. સાથે જ દાવો કરવામાં આવ્યો છે કે ઈમરાન ખાને આ હુમલા માટે વડાપ્રધાન શાહબાઝ શરીફ સહિત 3 લોકોને જવાબદાર ઠેરવ્યા છે.
પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સારવાર કરી રહેલી મેડિકલ ટીમ તરફથી એવી માહિતી પણ સામે આવી રહી છે કે ઈમરાનને તેના બંને પગમાં ગોળી વાગી છે. લાહોરની જિન્નાહ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ. સજાદ ગોરૈયાના જણાવ્યા અનુસાર, ઈમરાન ખાનની ફોરેન્સિક તપાસ પણ કરવામાં આવી છે. હોસ્પિટલે કહ્યું છે કે જ્યારે ઈમરાન ખાનને શૌકત ખાનમ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેની હાલત સારી ન હતી. તેના બંને પગમાં ગોળી વાગી હતી. એક ગોળી તેના ડાબા પગના હાડકામાં વાગી હતી. ઈમરાન ખાનને બંને પગમાં કુલ 16 ઈજાઓ છે.
ઈમરાન ખાને PM, ગૃહમંત્રી અને મેજર જનરલના નામ લીધા
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના વરિષ્ઠ નેતા અસદ ઉમરે એક વિડિયો નિવેદનમાં જણાવ્યું હતું કે પાર્ટીના પ્રમુખ ઈમરાન ખાને ત્રણ શંકાસ્પદોના નામ આપ્યા છે જેઓ આજના હુમલા પાછળ હોઈ શકે છે. અસદ ઉમરે કહ્યું, ઈમરાન ખાને અમને ફોન કર્યો અને તેમના તરફથી દેશને આ સંદેશ આપવા કહ્યું. તેમણે કહ્યું કે તેઓ માને છે કે તેમના પર હુમલો કરવાના કાવતરામાં ત્રણ લોકો – વડાપ્રધાન શાહબાઝ શરીફ, ગૃહ મંત્રી સનાઉલ્લાહ અને મેજર જનરલ ફૈઝલ નસીર સામેલ હતા.
ઈમરાનની પાર્ટી દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે
ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીએ જાહેરાત કરી છે કે ભૂતપૂર્વ વડાપ્રધાન તેમના પર ઘાતક હુમલા છતાં મધ્યસત્ર ચૂંટણીઓ કરાવવા માટે સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. શુક્રવારની નમાજ બાદ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના વજીરાબાદ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન દરમિયાન એક બંદૂકધારીએ ઈમરાનને લઈ જઈ રહેલી ટ્રક પર ગોળીબાર કર્યો, જેમાં ખાનને પગમાં ઈજા થઈ. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે. ખાનની પાર્ટીનો દાવો છે કે તે ઈમરાન ખાનની હત્યાનો પ્રયાસ હતો. પીટીઆઈના જનરલ સેક્રેટરી અસદ ઉમરે ટ્વીટ કર્યું કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.