ભારતમાં આશરો લેનાર શેખ હસીના વિરુદ્ધ રેડકોર્નર નોટિસ ઈસ્યું કરવા ઇન્ટરપોલને બાંગ્લાદેશની અપીલ
બાંગ્લાદેશના ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ (ICT) એ, બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને તેમની સરકારના અનેક ભૂતપૂર્વ કેબિનેટ મંત્રીઓ, સલાહકારો, લશ્કરી અધિકારીઓ અને નાગરિક અધિકારીઓ વિરુદ્ધ વોરંટ જારી કર્યું હતું. આ બધા પર બાંગ્લાદેશના ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલમાં 'માનવતા વિરુદ્ધના ગુનાઓ અને નરસંહાર'નો આરોપ છે.

બાંગ્લાદેશ પોલીસના નેશનલ સેન્ટ્રલ બ્યુરો (NCB) એ ઇન્ટરપોલને, બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીના સહિત 12 લોકો સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવાની અપીલ કરી છે. ગયા વર્ષે વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળના મોટા વિરોધ પ્રદર્શનોને કારણે બાંગ્લાદેશમાં આવામી લીગની શેખ હસીના સંચાલિત સરકાર પડી ભાંગી હતી અને શેખ હસીના બાંગ્લાદેશથી ભાગીને ભારત આવી હતી અને ત્યારથી તે ભારતમાં રહે છે.
બાંગ્લાદેશ મીડિયા અહેવાલો અનુસાર, NCB કોર્ટ, સરકારી વકીલ અથવા તપાસ એજન્સીઓની અપીલના આધારે આવી વિનંતીઓ કરે છે. પોલીસ હેડક્વાર્ટરમાં આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે તપાસ દરમિયાન અથવા ચાલી રહેલી કેસની કાર્યવાહીમાં પ્રકાશમાં આવેલા આરોપોના સંદર્ભમાં આ અરજી દાખલ કરવામાં આવી છે.
ભાગેડુઓના ઠેકાણાઓ પર ઇન્ટરપોલની નજર
વાસ્તવમાં, ઇન્ટરપોલ દ્વારા જારી કરાયેલ રેડ કોર્નર નોટિસનો ઉપયોગ પ્રત્યાર્પણ, વ્યક્તિને શોધવા અને તેને અસ્થાયી રૂપે ધરપકડ કરવા માટે થાય છે. ઇન્ટરપોલ વિદેશમાં રહેતા ભાગેડુઓના ઠેકાણા પર નજર રાખે છે. તેની ઓળખ થયા પછી, તે વ્યક્તિ સંબંધિત માહિતી અધિકારીઓ સાથે શેર કરવામાં આવે છે જેથી તેને તેના દેશમાં પાછો લાવી શકાય.
આઇસીટી દ્વારા જાહેર કરાયેલ વોરંટ
ગત 8 ઓગસ્ટના રોજ, મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકેનો કાર્યભાર સંભાળ્યો. પદ સંભાળ્યાના થોડા અઠવાડિયા પછી, બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે (ICT) શેખ હસીના અને ઘણા ભૂતપૂર્વ કેબિનેટ મંત્રીઓ, સલાહકારો, લશ્કરી અને નાગરિક અધિકારીઓ વિરુદ્ધ વોરંટ જારી કર્યા. તેમના પર ‘માનવતા વિરુદ્ધના ગુનાઓ અને નરસંહાર’નો આરોપ છે.
ભારતથી પાછા લાવવાનો પ્રયાસ
ગયા વર્ષે નવેમ્બરમાં, આઇસીટી ચીફ પ્રોસિક્યુટર ઓફિસે ઔપચારિક રીતે પોલીસ મુખ્યાલયને શેખ હસીના અને ભાગેડુ તરીકે ઓળખાતા અન્ય લોકોની ધરપકડમાં ઇન્ટરપોલની મદદ લેવા વિનંતી કરી હતી. 21 જાન્યુઆરીના રોજ, બાંગ્લાદેશની વચગાળાની સરકારે કહ્યું કે તે ભારતમાંથી પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાને પાછા લાવવાના પ્રયાસો ચાલુ રાખશે અને જો જરૂરી હોય તો આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની માંગ કરશે.
બાંગ્લાદેશ સહીત વિશ્વભરના તમામ સમાચાર જાણવા માટે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.