ભારતે આતંકવાદને કબરમાં દફનાવ્યો, અમેરિકાએ મોદી સરકારના કર્યા વખાણ
કન્ટ્રી રિપોર્ટ્સ ઓન ટેરરિઝમ 2021: ઈન્ડિયા, રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે ભારતે મોટા પાયા પર આતંકવાદી જૂથો પર કાર્યવાહી કરી છે. રિપોર્ટમાં ભારતમાં કાર્યરત આતંકવાદી જૂથોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
હવે દુનિયાએ પણ આતંકવાદ વિરુદ્ધ ભારતની કાર્યવાહીને અન્ય દેશની જેમ સ્વીકારવાનું શરૂ કરી દીધું છે. યુએસ બ્યુરો ઓફ કાઉન્ટર ટેરરિઝમના કન્ટ્રી રિપોર્ટ્સ ઓન ટેરરિઝમ 2021: ઈન્ડિયા રિપોર્ટ જણાવે છે કે, ભારત સરકારે આતંકવાદીઓને ખતમ કરવા માટે જરૂરી તમામ પ્રયાસો કર્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સરકારે આતંકવાદી સંગઠનોના ઓપરેશનને શોધી કાઢવા, તેને નિષ્ફળ બનાવવા અને તેનો નાશ કરવા માટે જરૂરી પ્રયાસો કર્યા છે.
યુએસ રિપોર્ટ અનુસાર, વર્ષ 2021માં આતંકવાદીઓએ, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર, પૂર્વોત્તર રાજ્યો અને મધ્ય ભારતના કેટલાક ભાગોને અસર કરી હતી.
યુએસ બ્યુરો ઓફ કાઉન્ટર ટેરરિઝમના કન્ટ્રી રિપોર્ટ્સ ઓન ટેરરિઝમ 2021ના અહેવાલ મુજબ, આટલા આતંકવાદી જૂથો ભારતમાં સક્રિય છે.
- લશ્કર-એ-તૈયબા
- જૈશ-એ-મોહમ્મદ
- હિઝબુલ મુજાહિદ્દીન
- આઈએસઆઈએસ
- અલ કાયદા
- જમાત-ઉલ-મુજાહિદ્દીન
- જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ
2021માં આતંકવાદીઓની રણનીતિમાં એક પ્રકારનો બદલાવ જોવા મળ્યો. તેઓએ નાગરિકો પર મોટી સંખ્યામાં હુમલા કર્યા અને વધુને વધુ IEDsનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. જેમાં એરફોર્સ બેઝ પર ડ્રોનનો ઉપયોગ કરીને વિસ્ફોટક હુમલા પણ સામેલ છે. ઑક્ટોબર 2021માં, યુએસ, ભારતે કાઉન્ટર ટેરરિઝમ જોઈન્ટ વર્કિંગ ગ્રૂપની 18મી બેઠક યોજી હતી અને નવેમ્બર 2021માં, ભારતે ઑસ્ટ્રેલિયા અને જાપાન સાથે બીજી ક્વાડ કાઉન્ટર ટેરરિઝમ બેઠકનું આયોજન કર્યું હતું.
આતંકવાદને ખતમ કરવા માટે ભારતના પ્રયાસો
રિપોર્ટ અનુસાર, આતંકવાદની તપાસ સાથે જોડાયેલી માહિતી માટે ભારત તરત જ અમેરિકાને જવાબ આપે છે. અમેરિકન માહિતીના જવાબમાં, તે આતંકવાદથી સંભવિત હુમલા-ખતરાને ઘટાડવાનો પણ પ્રયાસ કરે છે. આતંકવાદી જૂથોને ખતમ કરવાના ભારતના અન્ય દેશ સાથેના સહકારી પ્રયાસો ચાલુ છે. અહેવાલમાં જણાવાયું છે કે ભારતે રાજ્ય અને સંઘીય એજન્સીઓ વચ્ચે ગુપ્ત માહિતીની વહેંચણીને મજબૂત કરવા માટે રાજ્ય સ્તરીય મલ્ટી-એજન્સી કેન્દ્રોની સંખ્યા વધારીને આતંકવાદી જૂથો પર કાર્યવાહી કરી છે.
વૈશ્વિક સ્તરે ભારતની ભૂમિકા વધી – અમેરિકા
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે, વૈશ્વિક મંચ પર ભારતની ભૂમિકા સતત વધી રહી છે અને ભારત-અમેરિકા સંબંધો સૌથી મહત્વપૂર્ણ સંબંધોમાંથી એક છે. દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતોના નાયબ સહાયક સચિવ નેન્સી ઇજો જેક્સને કહ્યું, “જ્યારે આપણે G-20 ના ભારતના પ્રમુખપદને જોઈએ છીએ, ત્યારે આપણે જાણીએ છીએ કે વૈશ્વિક મંચ પર ભારતની ભૂમિકા વધી રહી છે. ભારત-અમેરિકાના સંબંધો પણ સતત વધી રહ્યા છે. ભારતે ગયા વર્ષે 1 ડિસેમ્બરે G-20નું પ્રમુખપદ સંભાળ્યું હતું.