અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન ટૂંક સમયમાં, એક મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે. આ એવી જાહેરાત છે કે, અમેરિકન નાગરિકોના ભાગીદારો કે જેઓ જરૂરી દસ્તાવેજો વિના જ અમેરિકામાં રહેતા હોય છે તેમને અમેરિકન નાગરિકતા મેળવવાનું વધુ સરળ બનશે. જો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન આ યોજનાની સત્તાવાર જાહેરાત કરે તો, અમેરિકામાં રહેતા લાખો ભારતીયોને પણ આનો લાભ મળવાની આશા છે.
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર, આ પ્રોટેક્શન પ્રોગ્રામ એવા ઈમિગ્રન્ટ્સ માટે હશે જેઓ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે, પરંતુ અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા હોય. આનાથી તેમના માટે વર્કિંગ પરમિટ અને નાગરિકતા મેળવવાનું વધુ સરળ બનશે.
એનબીસી ન્યૂઝના અહેવાલ અનુસાર, ‘પેરોલ ઇન પ્લેસ’ નામના આ પ્રોગ્રામથી લગભગ પાંચ લાખ ઇમિગ્રન્ટ્સને ફાયદો થશે, જેઓ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા આવ્યા છે. આ નવી જાહેરાત તેમને દેશનિકાલ થવાથી બચાવશે.
આ પ્રોગ્રામનો હેતુ જરૂરી દસ્તાવેજ વિનાના ઇમિગ્રન્ટ્સ માટે ગ્રીન કાર્ડ અને યુએસ નાગરિકતા મેળવવાની પ્રક્રિયાને વધુ સરળ અને આસાન બનાવવાનો છે. એનબીસી ન્યૂઝના અહેવાલ અનુસાર, મૂળ અમેરિકનના બિનદસ્તાવેજીકૃત જીવનસાથીઓને પણ કેસ-બાય-કેસ આધારે વર્ક પરમિટ મેળવવાની મંજૂરી આપવામાં આવશે.
જો કે, આ નવી યોજના આ માટે કેટલીક શરતો રાખવામાં આવે તેમ છે. ઉદાહરણ તરીકે, અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા પછી ઓછામાં ઓછા 10 વર્ષથી અમેરિકામાં રહેતા ઇમિગ્રન્ટ્સને જ નાગરિકતા આપવામાં આવશે. આ સાથે, આવા ઇમિગ્રન્ટ બાળકો પણ ગ્રીન કાર્ડ અથવા નાગરિકતા મેળવી શકશે, જેમના માતા અથવા પિતાએ અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા છે.
હાલમાં જો કોઈ વ્યક્તિ અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા હોવા છતાં એક વર્ષ કે તેથી વધુ સમય સુધી દસ્તાવેજો વગર અમેરિકામાં રહે છે તો તેને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડે છે. આવી વ્યક્તિ પર 10 વર્ષ માટે અમેરિકામાં પ્રવેશ પર પણ પ્રતિબંધ છે. આ લાભ માત્ર એવા ઇમિગ્રન્ટ્સને જ મળશે, જેમનો 10 વર્ષનો કાર્યકાળ 17 જૂન સુધીમાં પૂરો થયો હશે.
એનબીસી ન્યૂઝના અહેવાલ અનુસાર, જો બાઈડન સરકારની આ પહેલનો એક ઉદ્દેશ્ય એવા બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સને મદદ કરવાનો છે જેઓ એક વિદ્યાર્થી તરીકે અમેરિકા આવે છે અને પછી અમેરિકન નાગરિક સાથે લગ્ન કરીને અહીં સ્થાયી થાય છે.
જ્યારે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, જો બાઈડન તરફથી લાવનારી યોજનાની આકરી ટીકા કરી છે અને તેને ‘અસ્થિર’ ગણાવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો તેઓ અમેરિકાના પ્રમુખ બનશે તો તેમણે બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાનું વચન આપ્યું છે, તેનુ પાલન કરવામાં આવશે.
અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. તેથી જો બાઈડનના આ પગલાને મોટો માસ્ટરસ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે. જો કે હજુ આ યોજના અંગે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી.