સૂરજ આથમ્યા પછી શરૂ થાય છે અસલી ખતરો, રાતની આ એક ભૂલ વધારી રહી છે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ !
બપોરની કાળઝાળ ગરમીથી તો આપણે બચી જઈએ છીએ, પરંતુ અસલ સમસ્યા તો રાત્રે થયે છે. જાણો કેવી રીતે ‘વોર્મ નાઇટ્સ’ તમારા હૃદય અને મગજ પર સાયલન્ટ એટેક કરી રહી છે.

મે મહિનો પૂરું થવાના આરે છે અને દેશભરમાં ગરમીનો પારો 47 ડિગ્રીની નજીક પહોંચી ગયો છે. હવામાન વિભાગ સતત હીટવેવની ચેતવણી આપી રહ્યું છે અને આપણને બપોરે બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ આ ભયાનક ગરમીની વચ્ચે એક એવો છુપો ખતરો મંડરાઈ રહ્યો છે, જેના પર સામાન્ય રીતે કોઈનું ધ્યાન જતું નથી. આ ખતરો દિવસના અજવાળામાં નહીં, પરંતુ સૂરજ આથમ્યા પછી એટલે કે અંધારું થયા પછી શરૂ થાય છે. આ ખતરો છે ‘વોર્મ નાઇટ્સ’ એટલે કે ગરમ રાતોનો.
આપણે એવું માની લઈએ છીએ કે રાત પડતાં જ શરીરને ગરમીથી રાહત મળી જશે, પરંતુ હવે એવું નથી રહ્યું. ઘણા શહેરોમાં રાતનું તાપમાન પણ ખૂબ ઊંચું રહે છે, જે સ્વાસ્થ્ય માટે એક મોટું રહસ્યમય જોખમ બની ગયું છે.
રાત્રે શરીર ઠંડું ન થાય તો હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી શકે છે
આપણા શરીરનું સામાન્ય તાપમાન અંદાજે 36.9 ડિગ્રી સેલ્સિયસ હોય છે. દિવસભર ગરમી સામે લડવા માટે શરીર પસેવો પાડે છે. પરંતુ રાતનો સમય શરીરના આરામ અને રિકવરી માટેનો હોય છે. આ જ સમયે શરીર પોતાની જાતને રિપેર કરે છે.
જો રાત્રે પણ વાતાવરણ ગરમ રહે, તો શરીર સતત તણાવ (સ્ટ્રેસ) માં રહે છે. આનાથી શરીરને રિકવરીની તક મળતી નથી અને તે સીધી તમારા દિલ અને મગજ પર અસર કરે છે.
સંશોધનમાં થયો ચોંકાવનારો ખુલાસો
અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ (NIH) દ્વારા 1993થી 2015 વચ્ચે કરવામાં આવેલા એક લાંબા રિસર્ચમાં ચોંકાવનારી વાત સામે આવી છે. વૈજ્ઞાનિકોના મતે, રાતનું વધતું તાપમાન સીધું જ મૃત્યુદર સાથે જોડાયેલું છે. જ્યારે દિવસ અને રાત બંને સમયે તાપમાન ઊંચું રહે છે, ત્યારે હાર્ટ એટેક અને બ્રેઇન સ્ટ્રોકનું જોખમ અનેક ગણું વધી જાય છે. ચિંતાની વાત એ છે કે આની અસર હવે ઓછી ઉંમરના લોકો પર પણ જોવા મળી રહી છે.
સૌથી પહેલો હુમલો ઊંઘ પર
ડોક્ટરોના જણાવ્યા મુજબ, સારી ઊંઘ માટે શરીરનું તાપમાન થોડું ઓછું થવું જરૂરી છે. પરંતુ ગરમ રાતોના કારણે લોકો વારંવાર જાગી જાય છે, બેચેની થાય છે અને પસેવો વળે છે. પૂરતી ઊંઘ ન મળવાના કારણે આ સમસ્યાઓ થાય છે:
- બ્લડ પ્રેશર અચાનક વધી જવું
- હૃદયની બીમારીઓનું જોખમ વધવું
- ઇમ્યુન સિસ્ટમ નબળી પડવી
- દિવસભર થાક, ચિડચિડાપણું અને તણાવ રહેવો
કોણે સૌથી વધુ સાવધ રહેવાની જરૂર છે?
ગરમ રાતોની સૌથી વધુ ઘાતક અસર આ લોકો પર થઈ શકે છે:
- વૃદ્ધો અને નાના બાળકો
- હાર્ટ પેશન્ટ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ
- ડાયાબિટીસ અને અસ્થમાના દર્દીઓ
આવતા ખતરાથી કેવી રીતે બચશો?
ડોક્ટરો સલાહ આપે છે કે આ સિઝનમાં માત્ર દિવસ પૂરતું જ નહીં, પણ રાત્રે પણ શરીરને ઠંડક આપવી જરૂરી છે:
- રાત્રે સૂતા પહેલા હળવો અને ઓછો મસાલાવાળો ખોરાક લો.
- રૂમને બને તેટલો ઠંડો રાખવાનો પ્રયત્ન કરો અને હળવા સૂતી (કોટન) કપડાં પહેરો.
- શરીરમાં પાણીની કમી ન થવા દો, રાત્રે પણ થોડું થોડું પાણી પીતા રહો.
- જો રાત્રે અસહ્ય ગરમી લાગે, તો સૂતા પહેલા નહાઈ શકો છો.
હવામાનનો મિજાજ ઝડપથી બદલાઈ રહ્યો છે, તેથી હવે માત્ર બપોરના તડકાથી જ નહીં, પણ રાતની ગરમીથી બચવું પણ એટલું જ જરૂરી બની ગયું છે.
