ડિલિવરી પછી સ્ત્રીઓમાં થાઇરોઇડની સમસ્યા કેમ વધી જાય છે? જાણો કારણો અને કઈ બાબતોનું રાખવું ધ્યાન
ડિલિવરી બાદ મહિલાના શરીરમાં થતા શારીરિક ફેરફારો થાઇરોઇડ સમસ્યાના સંકેત હોઈ શકે છે. પોસ્ટપાર્ટમ થાઇરોઇડાઇટિસ ડિલિવરી પછી જોવા મળે છે, જેના લક્ષણો સામાન્ય થાક જેવા લાગે છે.

ગર્ભાવસ્થા અને ડિલિવરી બાદ મહિલાના શરીરમાં અનેક પ્રકારના શારીરિક અને હોર્મોનલ ફેરફારો થાય છે. આ સમયગાળા દરમિયાન થાક લાગવો, ઊંઘમાં ખલેલ, મૂડમાં ફેરફાર કે વજનમાં ફેરફાર જેવી સમસ્યાઓ સામાન્ય માનવામાં આવે છે. જોકે, કેટલીક વખત આ જ લક્ષણો થાઇરોઇડની સમસ્યાના સંકેત પણ હોઈ શકે છે.
ડિલિવરી બાદ કેટલીક મહિલાઓમાં પોસ્ટપાર્ટમ થાઇરોઇડાઇટિસ જોવા મળે છે. આ એક પ્રકારની થાઇરોઇડ ગ્રંથિની સોજા સંબંધિત સમસ્યા છે, જે સામાન્ય રીતે ડિલિવરી પછીના પ્રથમ વર્ષ દરમિયાન જોવા મળી શકે છે. તેના લક્ષણો નવી માતામાં જોવા મળતી સામાન્ય સમસ્યાઓ જેવા જ હોવાથી ઘણી વખત તેનું સમયસર નિદાન થઈ શકતું નથી.
પોસ્ટપાર્ટમ થાઇરોઇડાઇટિસમાં શું થાય છે?
પોસ્ટપાર્ટમ થાઇરોઇડાઇટિસ સામાન્ય રીતે બે તબક્કામાં જોવા મળી શકે છે. શરૂઆતના તબક્કામાં થાઇરોઇડ ગ્રંથિ વધુ સક્રિય થઈ જાય છે, જેને હાઇપરથાઇરોઇડિઝમ કહેવામાં આવે છે. આ દરમિયાન મહિલાને બેચેની, ચીડિયાપણું, હૃદયના ધબકારા ઝડપી થવા, વધુ પડતો થાક અથવા કોઈ ખાસ કારણ વગર વજન ઘટવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ત્યારબાદ કેટલાક કિસ્સામાં થાઇરોઇડની કામગીરી ધીમી પડી જાય છે અને હાઇપોથાઇરોઇડિઝમ થઈ શકે છે. આ તબક્કામાં સતત થાક લાગવો, ઉદાસીનતા, કબજિયાત, ત્વચા શુષ્ક થવી, ઠંડી વધુ લાગવી અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી જેવી સમસ્યાઓ જોવા મળી શકે છે.
નિષ્ણાતના મતે સમયસર તપાસ કેમ જરૂરી?
દિલ્હીની મધુકર રેઈન્બો ચિલ્ડ્રન્સ હોસ્પિટલની પ્રસૂતિ અને સ્ત્રીરોગવિજ્ઞાન વિભાગની સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. સાક્ષી ગોયલના જણાવ્યા અનુસાર, ઘણી મહિલાઓમાં પોસ્ટપાર્ટમ થાઇરોઇડાઇટિસ સમય જતાં પોતાની મેળે ઠીક થઈ શકે છે. જોકે, કેટલાક કિસ્સામાં થાઇરોઇડની સમસ્યા લાંબા સમય સુધી રહી શકે છે અને સારવારની જરૂર પડી શકે છે.
આથી ડિલિવરી બાદ જો થાઇરોઇડ સંબંધિત લક્ષણો સતત જોવા મળે તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. રક્ત પરીક્ષણ દ્વારા થાઇરોઇડની કામગીરી અંગે માહિતી મેળવી શકાય છે. સામાન્ય રીતે TSH અને Free T4 જેવા ટેસ્ટ કરવામાં આવે છે. જરૂરિયાત મુજબ ડૉક્ટર થાઇરોઇડ એન્ટિબોડી ટેસ્ટ પણ કરાવી શકે છે.
સમયસર તપાસ થવાથી સમસ્યાનું વહેલું નિદાન થઈ શકે છે અને જરૂરી સારવાર શરૂ કરી શકાય છે. આ રીતે મહિલાના સ્વાસ્થ્ય પર થતી લાંબા ગાળાની અસરને ઘટાડવામાં મદદ મળી શકે છે.
સ્તનપાન કરાવતી માતાઓએ શું ધ્યાનમાં રાખવું?
ડિલિવરી બાદ સ્તનપાન કરાવતી મહિલાઓ માટે પણ થાઇરોઇડનું યોગ્ય નિયંત્રણ મહત્વનું છે. ડૉક્ટરની સલાહથી લેવામાં આવતી મોટાભાગની થાઇરોઇડની દવાઓ સ્તનપાન દરમિયાન ઉપયોગમાં લઈ શકાય છે. જોકે, કોઈપણ દવા પોતાની રીતે શરૂ કરવી કે બંધ કરવી યોગ્ય નથી.
યોગ્ય સારવારથી માતાનું સ્વાસ્થ્ય અને ઊર્જા જાળવવામાં મદદ મળે છે, જેના કારણે તે પોતાના બાળકની સંભાળ વધુ સારી રીતે રાખી શકે છે અને સ્તનપાન પણ ચાલુ રાખી શકે છે.
કોને વધુ સાવચેત રહેવાની જરૂર છે?
જે મહિલાને અગાઉથી થાઇરોઇડની સમસ્યા હોય, પરિવારમાં થાઇરોઇડ અથવા અન્ય સ્વયંપ્રતિરક્ષા (Autoimmune) રોગનો ઇતિહાસ હોય અથવા અગાઉની ડિલિવરી બાદ પોસ્ટપાર્ટમ થાઇરોઇડાઇટિસ થઈ ચૂકી હોય, તેમણે ડિલિવરી બાદ થાઇરોઇડની તપાસ અંગે પોતાના ડૉક્ટર સાથે ચર્ચા કરવી જોઈએ.
ડિલિવરી પછી થાક, ઉદાસીનતા, મૂડમાં સતત ફેરફાર, વજનમાં અસામાન્ય ફેરફાર, હૃદયના ધબકારા વધવા, ઠંડી વધુ લાગવી અથવા અન્ય લક્ષણો લાંબા સમય સુધી ચાલુ રહે તો તેને માત્ર ડિલિવરી બાદની સામાન્ય અસર માનીને અવગણવા જોઈએ નહીં.
સમયસર ડૉક્ટરની સલાહ, જરૂરી રક્ત પરીક્ષણ અને યોગ્ય સારવારથી થાઇરોઇડની સમસ્યાને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. નવી માતા માટે ડિલિવરી બાદ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એટલું જ મહત્વનું છે જેટલું નવજાત બાળકની સંભાળ રાખવી.
Metaનું નવું AI મોડેલ ‘Muse Glimmer’ લોન્ચ, સામાન્ય PC પર પણ ચાલશે
