Health Tips: શું તમે જાણો છો દરરોજ પિસ્તા ખાવાથી શરીરમાં શું બદલાવ આવે છે? નિષ્ણાતોએ જણાવ્યું તેનું સાચું પ્રમાણ
પિસ્તા માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ પ્રોટીન, ફાઈબર અને હેલ્ધી ફેટનો ખજાનો છે. પરંતુ શું તમે જાણો છો કે તેનું અતિશય સેવન સ્વાસ્થ્ય બગાડી શકે છે? જાણો દિવસમાં કેટલા પિસ્તા ખાવા જોઈએ અને કયા લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ.

દિવસમાં કેટલા પિસ્તા ખાવા જોઈએ? મોટાભાગના લોકો નથી જાણતા દરરોજ પિસ્તા ખાવાથી શરીરમાં શું થાય છે? વધુ પડતી માત્રામાં પિસ્તા ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ થઈ શકે છે, તેથી આ અહેવાલમાં જાણો કે દરરોજ કેટલી માત્રામાં તેનું સેવન કરવું જોઈએ.
પિસ્તા સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્યનો ખજાનો પણ છે. પ્રોટીન, ફાઈબર અને હેલ્ધી ફેટથી ભરપૂર આ ડ્રાયફ્રૂટ દરેક ઉંમરના લોકો માટે અત્યંત ફાયદાકારક છે. તેમાં વિટામિન B6 અને પોટેશિયમ જેવા મિનરલ્સ પણ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જ્યારે તમે સામાન્ય સ્નેક્સને બદલે પિસ્તા ખાઓ છો, ત્યારે તમારા શરીરમાં અનેક હકારાત્મક ફેરફારો થાય છે.
જ્યારે તમે નિયમિત પિસ્તા ખાઓ છો ત્યારે શું થાય છે?
ડાયેટિશિયનના મતે, પિસ્તામાં આર્જિનિન, એમિનો એસિડ, ડાયેટરી ફાઈબર અને વિટામિન B6, મેંગેનીઝ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન અને ઝિંક જેવા પોષક તત્વો હોય છે. આ ન્યુટ્રિએન્ટ્સ હૃદય રોગ, ડાયાબિટીસ, સ્થૂળતા અને કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. એક મુઠ્ઠી પિસ્તામાં લગભગ 6 ગ્રામ પ્રોટીન હોય છે, જે તેને હેલ્ધી સ્નેક બનાવે છે.
મગજ અને હૃદય માટે વરદાન
પિસ્તામાં અન્ય નટ્સની સરખામણીમાં સૌથી વધુ વિટામિન B6 હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ અને મગજની કાર્યક્ષમતા વધારે છે. તે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદરૂપ છે. સંશોધનો મુજબ, તે ધમનીઓમાં પ્લેક જામવાની પ્રક્રિયા (Atherosclerosis) ને અટકાવે છે અને હૃદયને સુરક્ષિત રાખે છે.
સારી ઊંઘ અને આંખોનું તેજ
પિસ્તામાં મેલાટોનિન હોય છે, જે ઊંઘની ગુણવત્તા સુધારે છે. વિટામિન B6 આ હોર્મોન બનાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત, પિસ્તા ખાવાથી આંખોનું તેજ પણ વધે છે.
આ લોકોએ સાવધાન રહેવું જોઈએ
પિસ્તા દરેક માટે ફાયદાકારક નથી. નીચેની સ્થિતિમાં લોકોએ સાવચેત રહેવું જોઈએ:
- એલર્જીની સમસ્યા હોય તેવા લોકો.
- કિડની સ્ટોનના દર્દીઓ.
- જેમને વજન વધવાનો ડર હોય.
- પાચન સંબંધી સમસ્યા (IBS – ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ) ધરાવતા લોકો.
- પિસ્તાની તાસીર ગરમ હોવાથી ઉનાળામાં વધુ પડતા સેવનથી બચવું જોઈએ.
દિવસમાં કેટલા પિસ્તા ખાવા?
ડાયેટરી ગાઈડલાઈન્સ મુજબ, એક સ્વસ્થ પુખ્ત વ્યક્તિએ દિવસમાં લગભગ 1 ઔંસ એટલે કે અંદાજે 49 પિસ્તાના દાણા ખાવા જોઈએ. જો કે, તમારી કેલરીની જરૂરિયાત મુજબ આ માત્રામાં ફેરફાર થઈ શકે છે.
