અમદાવાદમાં ઉજવાયો વિશ્વ અગ્નિહોત્ર દિવસ, જાણો શું છે અગ્નિહોત્ર હોમનું મહત્વ?
અગ્નિહોત્ર હોમનો ઉલ્લેખ આપણા યજુર્વેદમાં પણ કરેલ છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના એક નિશ્ચિત સમયે કરવામાં આવતા આ અગ્નિહોત્ર હોમમાં દેશી ગાયના ઘી સાથે ગાયના છાણાં ઉપયોગમાં લેવાય છે.
તારીખ 12 માર્ચ સમગ્ર વિશ્વ્ માં અગ્નિહોત્ર દિવસ તરીકે ઉજવાય છે. આ અગ્નિહોત્ર હોમનો ઉલ્લેખ આપણા યજુર્વેદમાં પણ કરેલ છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના એક નિશ્ચિત સમયે કરવામાં આવતા આ અગ્નિહોત્ર હોમમાં દેશી ગાયના ઘી સાથે ગાયના છાણાં ઉપયોગમાં લેવાય છે અને તેમાં અક્ષત – એટલે કે તૂટ્યા વગરના અને પોલીશ કર્યા સિવાયના ચોખાની આહુતિ અપાય છે. અગ્નિહોત્ર હોમ માટે પિરામિડ આકારનું તાંબાનું પાત્ર ઉપયોગ માં લેવાય છે.
અમદાવાદના રોટરી ક્લબ સર્વમ ગ્રુપ અને આઈ.એમ.એન ઈકો વૉરિઅર ગ્રુપ દ્વારા બોપલ વિસ્તારમાં આવેલી ધ ન્યૂ ટ્યૂલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 12 માર્ચ 2021 શુક્રવાર સાંજે સામુહિક અગ્નિહોત્ર હોમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં 80 સભ્યોએ ભાગ લીધો હતો જેમાં 8 વર્ષના નાના બાળકોથી માંડી ને 75 વર્ષના વયોવૃદ્ધ લોકો પણ જોડાયા હતા. આ પ્રોગ્રામમાં આશરે 200 જેટલા સભ્યો ઓનલાઇન જોડાયા હતા. અગ્નિહોત્ર હોમ વાતાવરણ ને પ્રદુષણ મુક્ત કરે છે અને સાથે સાથે આસપાસના વાતાવરણમાં એક સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
અગ્નિહોત્ર હોમના ધુમાડાથી વાતાવરણમાં રહેલા હાનિકારક સુક્ષમ બેક્ટેરિયા નાશ પામે છે. તેમજ દેશી ગાયનું ઘી એક નેચર ડીટોક્ષ તરીકેની મહત્વ ભૂમિકા ભજવે છે. અગ્નિહોત્ર હોમની રખ્યા (રાખ) એ એન્ટી બેકટેરિયલ હોવાથી તેનાથી પણ ઘણા બધા ફાયદા થાય છે. પાણીનું શુદ્ધિકારણ કરવા માટે પણ અગ્નિહોત્ર હોમની ભસ્મનો ઉપયોગ કરવામાં આવે છે. રોટેરીયન શ્રી વંદના અગ્રવાલ કે જેઓ નિયમિત રીતે અગ્નિહોત્ર હોમ કરે છે. તેઓ પણ આ કાર્યકર્મમાં રાજસ્થાન – કોટાથી ઓનલાઇન જોડાયા હતા અને અગ્નિહોત્ર હોમ કરવાથી થતા ફાયદા વિષે માહિતી આપી હતી. સાથે જ ધીરજભાઈ પુજારાએ અગ્નિહોત્ર હોમ માટેની ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગના એગ્રિકલચરલ ટ્રસ્ટના ગુજરાતના એપેક્ષ મેમ્બર ચિંતનભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતાં અને તેમણે સામુહિક અગ્નિહોત્ર હોમ કરાવ્યો હતો. જેમાં ડો.ગીતીકા સલૂજા અને તેજસ શ્રીધર પણ જોડાયા હતાં.
પર્યાવરણની સાચવણી થાય અને પ્રદુષણ મુક્ત વાતાવરણ તેમજ શ્વાસ લેવા માટે કીટાણુરહિત ચોખ્ખી હવા મળે અને આપણા દેશની સાંસ્કૃતિક પરંપરા સચવાય એ જ હેતુથી આ આખાય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં દરેક લોકોને હવન કરવા માટેની સામગ્રીની સાથે ગાયના સૂકા છાણાં તેમજ પક્ષીઓને પાણી પીવડાવવા માટે માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.