Valsad : શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ? કયારે આવશે આ સમસ્યાનો અંત ?
વલસાડ હોય, વાપી હોય પારડી હોય કે ધરમપુર જિલ્લાના તમામ શહરોના માર્ગો રખડતા ઢોરોએ કબજે કર્યા છે.જિલ્લામાં ભાગ્યે જ એવો કોઈ રોડ હશે કે જ્યાં પશુઓનો આતંક ન હોય.
Valsad : ચોમાસાની શરૂઆતની સાથે જ વલસાડ જિલ્લામાં રખડતા ઢોરનો ત્રાસ ખુબ વધી ગયો છે. શહેરી માર્ગ હોય કે રાષ્ટ્રીય માર્ગ બધે જ પશુઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ટ્રાફિક જામ અને અકસ્માતો પણ વારંવાર થઇ રહ્યા છે.
વલસાડ હોય, વાપી હોય પારડી હોય કે ધરમપુર જિલ્લાના તમામ શહરોના માર્ગો રખડતા ઢોરોએ કબજે કર્યા છે.જિલ્લામાં ભાગ્યે જ એવો કોઈ રોડ હશે કે જ્યાં પશુઓનો આતંક ન હોય. ઘરની બહાર નીકળો એટલે જ્યાં જુવો ત્યાં પશુઓનો જમાવડો દેખાશે. આ પશુઓના કારણે ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાઈ રહી છે. તો વારંવાર અકસ્માતો પણ થઇ રહ્યાં છે.
કેટલીક વાર રાત્રીના વરસાદ પડતો હોય ત્યારે સમયે અંધારામાં બેસેલા પશુઓ ન દેખાતા બાઈક ચાલકો પશુઓથી ટકરાતા ઘાયલ થઇ રહ્યા છે. તો સાથે સાથે પશુઓને પણ ઈજા થઇ રહી છે. જોકે ઘણીવાર ૫-૬ પશુઓ જમાવડો કરીને બેસે છે. અને એક તરફનો આખે આખો રોડ બ્લોક થઇ જાય છે. જેથી લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યાં છે.
ગાય-ભેંસ દુધેળી હોય ત્યારે માલિકોને એ સારી લાગે છે. પરંતુ જયારે દૂધ આપતી બંધ થાય એટલે તરતજ માલિકો પશુઓને છુટા છોડી દે છે. અને તે રખડતા રખડતા દુર સુધી પહોંચી જાય છે. જ્યાં મન ફાવે ત્યાં બેસી જાય અને લોકો માટે સમસ્યા ઉભી થાય છે. પશુઓના કારણે અનેક સમસ્યા ઉભી થઇ રહી છે, પરંતુ માલિકોને કઈ પડી નથી. તો કેટલીક વાર બીમાર પશુઓની મદદ કરતા ગૌરક્ષકો અને જીવ દયા પ્રેમીઓને પણ આ પશુઓ દેખાતા નથી.
જીવદયા પ્રેમી અને ગૌરક્ષકના નામે પોતાને મીડિયામાં હાઈલાઈટ કરતા તત્વો સામે પણ લોકોમાં આક્રોષ છે. અને પાલિકા સામે પણ લોકોમાં નારાજગી દેખાઈ રહી છે. તો પાલિકાના કેહવા પ્રમાણે આવા ઢોરને પકડીને તે પાંજરાપોળને સોંપતા હોય છે. ગત વર્ષે પાલિકાએ આ માટે ૨૫ લાખ રૂપિયા ખર્ચ્યા હતા. તો આ વર્ષે પણ પાલિકા ઢોર ને પકડવા માટે અલગથી ફંડ નક્કી કરશે.
આમ તો સામાન્ય દિવસોમાં પણ રોડ ઉપર પશુઓનો ત્રાસ જોવા મળે છે. જોકે ચોમાસા દરમિયાન પશુઓની સંખ્યા ખુબજ વધી જાય છે.આમ તો આ બિચારા મુંગા પ્રાણીઓ ને શું સારું અને શું ખરાબ એની શી ખબર? વાંક તો તેમના માલિકોનો છે કે જે સ્વાર્થી છે અને પોતાનો લાભ પુરો થયા બાદ પશુઓને લાવારીસ છોડી દે છે.ત્યારે આવા માલિકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય એવો કાયદો ઘડાય એ જરૂરી છે.