Valsad : ધરમપુર તાલુકાના તાપી નર્મદા રિવરલિંક યોજનાના અસરગ્રસ્ત આદિવાસીઓ પીએમને રજુઆત કરશે
રિવરલિંક (Riverlink ) યોજનાથી અસરગ્રસ્ત આદિવાસીઓ કોઇપણ વિઘ્ન વગર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચે અને પોતાની રજુઆત સારી રીતે કરી શકે તેવી તંત્ર સામે અપીલ કરી હતી. આ માગને તંત્ર સ્વીકારે છે કે નહીં તે આવનારો સમય જણાવશે.

બહુ ગાજેલ પાર તાપી નર્મદા રિવરલિંક (Riverlink ) યોજના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (Bhupendra Patel ) રદ કર્યાની જાહેરાત બાદ પણ આદિવાસી (Adiwasi ) સમાજે વિરોધ ચાલુ જ રાખ્યો છે. આ યોજનાથી અસરગ્રસ્ત થનાર હજારો આદિવાસી પરિવારો યોજના રદ થયા બાબતે સરકાર પાસે શ્વેતપત્રની માંગ કરી રહ્યા છે. આદિવાસી આગેવાનોએ કલ્પેશ પટેલ મારફતે ખુડવેલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં વડાપ્રધાનને શાંતિપૂર્વક રજુઆત કરવા બાબતે તંત્ર સામે અપીલ કરી હતી.
આવનાર 10 તારીખે ચીખલી તાલુકાના ખુડવેલ ગામે વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ યોજાવાનો છે. જે કાર્યક્રમ અંતર્ગત સોમવારે ધરમપુર મામલતદાર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં ઉપસ્થિત અપક્ષ તાલુકા સભ્ય કલ્પેશ પટેલે રિવરલીન્ક યોજનાથી અસરગ્રસ્ત થનાર આદિવાસી પ્રજાનું નેતૃત્વ કરી વડાપ્રધાને મળવા દેવાની રજુઆત કરી હતી.
20 હજાર આદિવાસીઓ વડાપ્રધાન સામે શાંતિપૂર્વક રજુઆત કરી યોજના રદ કરાયા બાબતે શ્વેતપત્રની માંગ કરવા ખુડવેલ જવાના હોય તેમના માટે બસની માંગ કરી હતી. રિવરલીન્ક યોજનાથી અસરગ્રસ્ત આદિવાસીઓ કોઇપણ વિઘ્ન વગર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચે અને પોતાની રજુઆત સારી રીતે કરી શકે તેવી તંત્ર સામે અપીલ કરી હતી. આ માગને તંત્ર સ્વીકારે છે કે નહીં તે આવનારો સમય જણાવશે.
જો કે 20 હજાર આદિવાસીઓ વડાપ્રધાનને રજુઆત કરવા જવાના છે આ વાતે તંત્રની ઊંઘ હરામ કરી નાખી છે કારણ કે આદિવાસીઓ જે મુદ્દે રજુઆત કરવા જવાના છે તે રિવર લિંકનો મુદ્દો સરકાર માટે કેટલાક મહિનાઓથી માથાનો દુઃખાવો બન્યો છે. સ૨કારે આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આ યોજના રદ કર્યા હોવાની જાહેરાત કરી હોવાનો આદિવાસીઓમાં ગણગણાટ છે.
વળી આ યોજનાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે આ યોજનાને બજેટમાં લીધો છે ત્યારે રાજ્ય સરકાર આ યોજનાને રદ કેમ કરી શકે એવા અનેક પ્રશ્નોથી આદીવાસીઓ મુંજવણ અનુભવી રહ્યા છે. તંત્ર આદિવાસીઓની લંગણી સમજી તેઓને વડાપ્રધાનને મળવા દેશે કે કેમ એ આવનારો સમય બતાવશે પરંતુ આદિવાસીઓ વડાપ્રધાન પાસે શ્વેતપત્રની માગ કરવાના છે આ વાતે રાજકારણમાં ગરમાટો ઉભો કર્યો છે.