Vadodara : શહેરમાં 70 ટકા નકલી પનીર વેચાતું હોવાનો ઘટસ્ફોટ, 7 હજાર કિલો નકલી પનીર વેચાતું હોવાનો આક્ષેપ
વડોદરામાં મોટા પ્રમાણમાં નકલી પનીર વેચાઈ રહ્યું હોવાનું સામે આવ્યુ છે. ભેળસેળિયા તત્વો તમારા આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. અસલી પનીરના નામે તમને એવું પનીર પધરાવવામાં આવે છે. જેમાં દૂધ હોતું જ નથી. તેમાં ફક્ત પામ ઓઈલ અને કેમિકલ હોય છે.
Vadodara : વડોદરાવાસીઓ પનીર ખાતા પહેલા ચેતજો. કારણ કે વડોદરામાં મોટા પ્રમાણમાં નકલી પનીર વેચાઈ રહ્યું હોવાનું સામે આવ્યુ છે. ભેળસેળિયા તત્વો તમારા આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. અસલી પનીરના નામે તમને એવું પનીર પધરાવવામાં આવે છે. જેમાં દૂધ હોતું જ નથી. તેમાં ફક્ત પામ ઓઈલ અને કેમિકલ હોય છે. વડોદરામાં 70 ટકા પનીર નકલી વેચાય છે. આ ઘટસ્ફોટ વડોદરા ડેરી મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેડર્સ એસોસિએશન અને ધારાસભ્ય કેયુર રોકડિયાની બેઠકમાં થયો છે.
બેઠકમાં વડોદરા શહેરના પનીર ઉત્પાદકોએ ભેળસેળિયાઓ સામે કાર્યવાહીની ઉગ્ર રજૂઆત કરી છે. એસોસિએશને આક્ષેપ કર્યો છે કે વડોદરા શહેરમાં રોજના 10 હજાર કિલો પનીરની માગ સામે 7 હજાર કિલો પનીર બહારથી આવેલું ભેળસેળવાળું વેચાય છે. રોજ વહેલી સવારે પનીર વડોદરા શહેરમાં આવે છે. જે કોઇપણ પ્રકારના ચેકિંગ વગર જ હોટલ અને કેટરીંગમાં વપરાય છે.
પનીર રોજ બસ અને ટ્રેન દ્વારા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર અને ભાવનગરથી વડોદરા શહેરમાં આવે છે. જેનું કોઇપણ જાતનું ચેકિંગ થતું નથી. વડોદરા ડેરી મેન્યુફેક્ચરીંગ એન્ડ ટ્રેડર્સ એસોસિયેશનના અગ્રણી પ્રીતિ ઉનેથાનીએ માગ કરી છે કે ભેળસેળવાળું પનીર આવતું રોકવા માટે કાર્યવાહી કરવામાં આવે છે.
તો બીજી તરફ પૂર્વ મેયર અને સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ ભેળસેળવાળું પનીર વેચનારાઓ સામે કાર્યવાહીની ખાતરી આપી છે. વડોદરામાં બહારથી આવતું પનીર પામ ઓઈલ અને કેમિકલથી બનેલું હોય છે. તેમાં દૂધ હોતું જ નથી. આ પનીર બહારથી આવતું પનીર મેદસ્વિતા વધારનારું અને ગંભીર બીમારીઓ નોતરનારું હોય છે. જેને લઈ માંજલપુરના ધારાસભ્યએ પણ કડક કાયદો લાવવાની માગ કરી છે.
અસલી પનીર
અસલી પનીર બનાવવામાં ગુણવત્તાયુક્ત દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં ગાય કે ભેંસના દૂધમાંથી આ પનીર બનાવવામાં આવતું હોય છે. અસલી પનીર પ્રોટિનથી ભરપૂર હોય જેથી તે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. અસલી પનીર આરોગ્ય બાદ રોગનો ભય રહેતો નથી
બનાવટી પનીર
જેની સામે બનાવટી પનીરમાં વેજિટેબલ ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે. આ પનીરમાં પામ ઓઇલ પણ ઉમેરવામાં આવે છે. બનાવટી પનીરમાં ફેટનું ઊંચુ પ્રમાણ હોય છે. જેથી નકલી પનીર આરોગ્ય માટે જોખમી સાબિત થાય છે. બજારમાં મળતું નકલી પનીર મેદસ્વિતા વધારવામાં મોટો ભાગ ભજવે છે. જોકે લાંબા ગાળે નકલી પનીર ગંભીર બીમારી નોતરે છે. મહત્વનુ છે કે, ઝાડા, ઉલટી જેવી ગંભીર બીમારી થઇ શકે સાથે પેટના રોગનો પણ મોટો ભય રહેલો છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો