વડોદરાના નવા મેયર એક્શનમાં, ગીતા મકવાણાએ પ્રી-મોન્સૂન કામગીરીનું કર્યું નિરીક્ષણ, જુઓ Video
વડોદરાના નવા મેયર ગીતા મકવાણાએ પ્રી-મોન્સૂન કામગીરીનું નિરીક્ષણ કર્યું. તેમણે ઉત્તર ઝોનમાં ભૂખી કાંસ અને ખાડા પૂરવાની કામગીરી ચકાસી. મેયરનું કહેવું છે કે ચોમાસા પહેલા તમામ ખાડા પૂરવા શક્ય નથી.

વડોદરામાં વરસાદ પહેલા વડોદરા મહાનગરપાલિકાની નવી ટીમ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરના નવા મેયર ગીતા મકવાણા સહિત પાંચ પદાધિકારીઓએ પોતાનો ચાર્જ સંભાળ્યા બાદ તુરંત જ પ્રી-મોન્સૂન કામગીરીનું નિરીક્ષણ શરૂ કર્યું છે. આ નિરીક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય ચોમાસા પહેલા પાણી ભરાવાની અને અન્ય સમસ્યાઓને નિયંત્રિત કરવાનો છે.
મેયર ગીતા મકવાણાએ ઉત્તર ઝોનમાં ચાલતી કામગીરીની ચકાસણી કરી હતી. આ દરમિયાન, તેમણે ભૂખી કાંસની સફાઈ અને રસ્તા પરના ખાડા પૂરવાની કામગીરી પર વિશેષ ધ્યાન આપ્યું હતું.
ભૂખી કાંસનો મુદ્દો અગાઉ પણ ગટમમાં ઘણી ચર્ચામાં રહ્યો હતો. મેયરે ભૂખી કાંસના વ્યવસ્થિત રીતે શરૂઆત કરવા પર ભાર મૂક્યો, જેથી આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા અટકાવી શકાય. તેમણે જણાવ્યું કે કામગીરી અધૂરી રહી હોય ત્યાં તેને આગળ વધારવામાં આવશે. દક્ષિણ ઝોનમાં પણ અગાઉ કાંસની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે હજુ પ્રગતિમાં છે.
પાણીના અવરોધો દૂર કરવાની કામગીરી
રસ્તા પરના ખાડાઓ વિશે મેયર ગીતા મકવાણાએ સ્પષ્ટતા કરી કે, ચોમાસા પહેલા શહેરના તમામ રસ્તાના ખાડા પૂરવા શક્ય નથી. જોકે, તેમણે અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યા છે કે, પ્રી-મોન્સૂનની તમામ કામગીરી, ખાસ કરીને પાણીના નિકાલ અને ભરાયેલા પાણીના અવરોધો દૂર કરવાની કામગીરી 15 જૂન પહેલા પૂર્ણ કરી દેવામાં આવે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ કામગીરી સતવરે પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. મેયરે અધિકારીઓ અને તેમની ટીમને કડક ભાષામાં સૂચનો આપ્યા છે, કારણ કે હજી પણ કામગીરીમાં સુધારાની જરૂરિયાત જણાતી હતી.
વડોદરામાં અવારનવાર પૂરની સ્થિતિ સર્જાતી હોય છે અને અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતા હોય છે. આથી, નવી બનેલી ટીમે આ સમસ્યાના નિવારણ માટે સઘન નિરીક્ષણ અને સમીક્ષા હાથ ધરી છે. મેયરે એ પણ નોંધ્યું કે, શહેરના વિવિધ વિસ્તારોમાં લાંબા સમયથી ખુલ્લા ખોદેલા ખાડાઓ અકસ્માતનો ભય ઉભો કરે છે.
આવા ખાડાઓના પુરાણ માટે પણ સૂચનો અપાયા છે અને કામગીરી શરૂ થઈ ગઈ છે. જરૂર પડ્યે વધુ તપાસ અને નિરીક્ષણ કરવામાં આવશે. તેમણે નાગરિકોના ફોન અને સૂચનોને પણ આવકાર્યા છે અને વોર્ડવાઈઝ કાઉન્સિલરો પાસેથી માહિતી મેળવી ઝડપથી કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપી છે. આ સમગ્ર અભિયાનનો હેતુ વડોદરા શહેરને આગામી ચોમાસા માટે સુરક્ષિત અને સુવિધાયુક્ત બનાવવાનો છે.
ગુજરાત બનશે ચિત્તાઓનું નવું ઘર, કુનો બાદ હવે કચ્છના આ મેદાનોમાં થશે સ્થાનાંતરણ, જાણો
