રાજ્યના વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ માહિતી આપી છે કે ગઈકાલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં રતનમહાલના જંગલમાં વનવિભાગ દ્વારા સ્થાપિત કેમેરા ટ્રેપમાં વાઘ જોવા મળ્યો છે.
ગુજરાતમાં ઘણા મહિનાથી અહીં રહી રહ્યો છે વાઘ
મંત્રી પ્રવિણ માળીએ જણાવ્યુ કે વર્ષો પહેલા ગુજરાતમાં વાઘ ખૂબ સારી સંખ્યામાં વસવાટ કરતા હતા.જો કે સમય જતા અને ગુજરાતની પ્રાકૃતિક સંરચના બદલાતા તે વિલુપ્ત થઇ ગયા. જો કે હવે ફોરેસ્ટ વિભાગે બાયોડાયવર્સિટી જાળવી રાખવા માટે પ્રયાસો કર્યા છે. જેના કારણે વાઘ બીજા મહિનાથી સતત રતનમહાલના જંગલમાં ફરી રહ્યા છે. વન વિભાગ તેનું મોનિટરિંગ કરી રહ્યુ છે. વન વિભાગે પ્રાકૃતિક બાયોડાયવર્સિટી જળવાઇ રહે તેના પ્રયાસ સતત કરી રહ્યુ છે. જેના પરિણામે વાઘ ઘણા લાંબા સમયથી ગુજરાતમાં વસવાટ કરી રહ્યો છે. હવે આવનારા સમયમાં પણ આ વાઘ અહીં જ રહે, તેમજ ગુજરાતમાં વાઘની સંખ્યા વઘે તે માટે ગુજરાત સરકાર તરફથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

રતનમહાલને કુદરતી બાયોડાઇવર્સિટી ઝોન તરીકે વિકસાવવામાં આવ્યું હતું, અને વન વિભાગ છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં વાઘની સંખ્યા વધારવાના પ્રયાસો કરી રહ્યું છે. આ સફળતાને નિષ્ણાતો ગુજરાતમાં વાઘોના પ્રાકૃતિક પુનઃપ્રવેશ તરફ એક મહત્વપૂર્ણ પગલું માની રહ્યા છે. લાંબા સમય બાદ ગુજરાતમાં વાઘની હાજરીના પુરાવા મળતા રાજ્યભરમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

