TAPI : સેવસેતુ કાર્યક્રમનો હેતુ સિદ્ધ થવાનો દાવો, 13 હજારથી વધુ લોકોએ ઘરઆંગણે સરકારી કામ નિપટાવ્યા
સરકારની 56 પ્રકારની જુદી જુદી સેવાઓ જેવી કે વ્યવસાય વેરા અરજી, ગુમાસ્તાધારા, ઘરેલું નવા વીજ જોડાણ માટેની અરજીઓ, પ્રધાનમંત્રી આવાસ યોજના-મંજુરી પત્ર વિગેરે સેવસેતુ કાર્યક્રમ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
રાજ્યમાં મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ની સરકાર પ્રજા સુખાકારી અને સરકારી યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સરકાર દ્વારા સેવસેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે. તાપી(Tapi) જિલ્લામાં આ સરકારી પ્રયાસને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનો સરકારી તંત્ર દાવો કરી રહ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાપી જિલ્લાના વિવિધ સ્થળોએ તારીખ 14 મે ના રોજ સવારે 9 કલાક થી 5 કલાક દરમ્યાન સેવાસેતું કાર્યક્ર્મ યોજાવામાં આવ્યો હતો. આ અવસરે પ્રજા સુધી યોજનાઓના લાભ પહોંચાડવાની કામગીરી સારીરીતે થાય તે માટે મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ અને પ્રજાના પ્રતિનિધિઓ જોડાયા હતા.
તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા નગરપાલિકા ખાતે નગરપાલિકા વિસ્તારનો સેવાસેતુ કાર્યક્રમ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉનહોલ ,સોનગઢના રંગઉપવન જય બાગ ફોર્ટ સોનગઢ , કુકરમુંડામાં પ્રાથમિક શાળા ઉટવાદ , નિઝર તાલુકામાં પ્રાથમિક શાળા ખોરદા , ઉચ્છલ તાલુકામાં પ્રાથમિક શાળા કરોડ, સોનગઢ રૂરલમાં આશ્રમ શાળા ચીમેર , વાલોડમાં પ્રાથમિક શાળા કોંકણવાડ, ડોલવણમાં પ્રાથમિક શાળા ગારવણ અને વ્યારા રૂરલમાં આશ્રમશાળા બેડકુવાદૂર ખાતે યોજાયો હતો. સેવાસેતુ કાર્યક્રમોનું આટલું મોટું આયોજન સફળ રહે તે માટે વહીવટી તંત્રે પણ ભારે જહેમત ઉઠાવી હતી.
સરકારની 56 પ્રકારની જુદી જુદી સેવાઓ જેવી કે વ્યવસાય વેરા અરજી, ગુમાસ્તાધારા, ઘરેલું નવા વીજ જોડાણ માટેની અરજીઓ, પ્રધાનમંત્રી આવાસ યોજના-મંજુરી પત્ર વિગેરે સેવસેતુ કાર્યક્રમ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.આ કાર્યક્રમોમાં મળેલ અરજીઓમાં વ્યારા નગરપાલિકાના ખાતે કુલ 2473 અરજીઓ અને સોનગઢ નગરપાલિકાનો સેવાસેતુ જયબાગ રંગઉપવન ખાતે 418 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.
સેવસેતુ કાર્યક્રમમાં કુકરમુંડા ખાતે 973 અરજીઓ, નિઝર તાલુકામાં 1046 અરજીઓ, ઉચ્છલ તાલુકામાં 1047 અરજીઓ, સોનગઢ રૂરલમાં 2630 અરજીઓ, વાલોડમાં 988 અરજીઓ, ડોલવણમાં 1595 અને વ્યારા રૂરલમાં 2416 અરજીઓ મળી કૂલ-13,586 અરજીઓનો પ્રાપ્ત થઇ હતી. આ તમામ રજૂઆતોનો સ્થળ પર જ સમસ્યા હલ કરી અથવા પ્રક્રિયા પૂર્ણ કરી નિકાલ કરવામાં આવ્યો હતો. કચેરીઓમાં ધક્કા ખાવાની સમસ્યા સામે અનેક લોકોના વિવિધ સરકારી કામોનો ઘરના આંગણે જ નિકાલ મળ્યો છે. સરકારના આ પ્રયાસથી લાભાર્થીઓએ ઘણી રાહત અનુભવી છે.
સેવા સેતુ કાર્યક્રમ હેઠળ સ્થાનિક લોકો સરકારી કચેરીઓમાં ધક્કા ખાધા વિના તેમના ઘરઆંગણે આવક પ્રમાણપત્ર, વિધવા પેન્શન, જાતિ પ્રમાણપત્ર અને ડુપ્લિકેટ રેશનકાર્ડ જેવા પ્રમાણપત્રો અને દસ્તાવેજો મેળવે છે. સરકારી કચેરીઓમાં પણ કર્મચારીઓને પણ લાભાર્થીઓ સુધી લાભ પહોંચાડવામાં અનુકૂળતા પડી રહી છે.