Surat: ઈલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં સુરતે અમદાવાદ, રાજકોટ અને વડોદરાને પાછળ છોડ્યું
ઈલેક્ટ્રિક વ્હીકલના વેચાણમાં સુરતમાં અન્ય શહેરોની સરખામણીમાં જાગૃતિ સારી હોવાથી 9 હજાર કરતા વધારે વાહનોનું વેચાણ અત્યાર સુધી થયું છે. એ પૈકી 8400 વાહનો સબસિડી માટે લાયક ઠર્યા છે. 6000 વાહન માલિકોને એમના ખાતાંઓમાં સબસિડી આપવામાં આવી છે.
રાજ્યની નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીનો સૌથી વધારે લાભ રાજ્યમાં સુરતના (Surat )વાહન ચાલકોએ લીધો છે. સુરતમાં રાજ્યમાં સૌથી વધારે 9 હજાર જેટલા ઈલેક્ટ્રિક (Electric) વાહનો અત્યાર સુધી વેચાયા છે. જે પૈકી સબસિડી માટે 8,400 વાહનો એલિજીબલ થયા છે. જેમાં 6 હજાર જેટલા વાહન ચાલકોને સરકારે એમના ખાતામાં 12.94 કરોડની સબસિડી રિલીઝ કરી આપી છે. સુરતના ઈન્ચાર્જ આરટીઓ હાર્દિક પટેલે કહ્યું હતું કે ઈ-વ્હીકલ વાહનનું વેચાણ થતાં જ 48 કલાકમાં એનું રજિસ્ટ્રેશન થાય છે અને વાહન ખરીદનારના ખાતામાં સબસિડી મળે એ માટે તાજેતરમાં વાહન ડિલરોની આદેશ આપવામાં આવ્યાં હતાં. ઈલેક્ટ્રિક વ્હીકલના વેચાણમાં સુરતમાં અન્ય શહેરોની સરખામણીમાં જાગૃતિ સારી હોવાથી 9 હજાર કરતા વધારે વાહનોનું વેચાણ અત્યાર સુધી થયું છે. એ પૈકી 8400 વાહનો સબસિડી માટે લાયક ઠર્યા છે. 6000 વાહન માલિકોને એમના ખાતાંઓમાં સબસિડી આપવામાં આવી છે.
વાહન વ્યવહાર કમિશનર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ ઈ વ્હીકલના વેચાણમાં 9000 વાહનો સાથે સુરત પ્રથમ ક્રમે, 5020 વાહન સાથે અમદાવાદ બીજા ક્રમે, 1900 વાહનો સાથે વડોદરા ત્રીજા અને 1480 વાહનોના વેચાણ સાથે રાજકોટ ચોથા ક્રમે રહ્યું છે. ટુ વ્હીલર વાહનોના વેચાણમાં પણ સુરત રાજ્યમાં પ્રથમ રહ્યું છે. 9000 વાહનોના વેચાણમાંથી 5,746 ટુ વ્હીલર વેચાયા હતા, તે પછી 120 કાર અને 13 થ્રિ વ્હીલર વેચાયાં હતાં. જોકે નવા નાણાંકીય વર્ષમાં એપ્રિલથી અત્યાર સુધી મોટી સંખ્યામાં ઈલેક્ટ્રિક વાહનો વેચાયા છે. જેનું મુખ્ય કારણ એ છે કે પેટ્રોલ ડીઝલના ભાવો 100 રૂપિયાને પાર જવા સાથે સીએનજીના ભાવો પણ પેટ્રોલના ભાવોની નજીક પહોંચ્યા હોવાથી ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ દિવસેને દિવસે વધી રહ્યું છે.
કયા શહેરોમાં કેટલા ઈ વ્હીકલ વેચાયા?
આંકડા પ્રમાણે જોવા જઈએ તો સુરતમાં સૌથી વધારે 9 હજાર, અમદાવાદમાં 5020, વડોદરામાં 1900 જ્યારે રાજકોટમાં 1480 જેટલા ઇલેક્ટ્રિક વાહનો વેચાયા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પણ ઇલેક્ટ્રિક વાહનોના વેચાણને પ્રોત્સાહન મળે તે માટે ઈ વ્હીકલ પોલિસી રાજ્યમાં પ્રથમ વખત લાગુ કરવામાં આવી છે. સાથે જ હવે મહાનગરપાલિકા દ્વારા 25 જેટલા ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનો પણ બનાવવામાં આવશે. ત્યારે લોકો પણ હવે આ વાહનોની ખરીદી તરફ વળ્યાં છે. આવનાર દિવસોમાં હજી પણ આ વાહનોનું વેચાણ વધે તો નવાઈ નહિ.