Surat: કોંગ્રેસ એક ડુબતું જહાજ, કોંગ્રેસના ઘણા લોકો ભાજપમાં જોડાવા માંગે છે પરંતુ અમારે ના પાડવી પડે છે: પૂર્વ મંત્રી ગણપત વસાવા
હવે કોંગ્રેસમાં (Congress) ફક્ત ગણ્યા ગાંઠ્યા જ લોકો બચ્યા છે. કોંગ્રેસ પક્ષ હવે ડૂબતા જહાજ જેવું થઇ ગયું છે અને કોંગ્રેસ પાર્ટી નામશેષ થવાના આરે આવી ગઈ છે એવું પણ તેઓએ ઉમેર્યું હતું.
વિધાનસભાની ચૂંટણીને(Election ) ભલે હજી ઘણો સમય હોય, પણ બધી રાજકીય(Political ) પાર્ટીઓ હવે જોડતોડની નીતિમાં લાગી હોય તેવું છેલ્લા કેટલાક સમયથી જોઈ શકાય છે. દરેક પક્ષ પોતાનું પલ્લું મજબૂત કરવા માટે તનતોડ મહેનત કરી રહી છે. જેથી હાલ ગુજરાતમાં રાજકારક ગરમાયુ છે. છેલ્લા થોડા દિવસોની જ વાર કરીએ તો કોંગ્રેસનો હાથ છોડનાર હાર્દિક પટેલ બાદ રાજકારણમાં એકાએક ગરમાવો આવી ગયો છે. હાર્દિક પટેલ હવે કયા પક્ષમાં જોડાશે કે રાજનીતિમાંથી સંન્યાસ લેશે તેની અટકળો વચ્ચે આજે વધુ એક વાર ભાજપના નેતાનું નિવેદન સામે આવ્યું છે.
સુરતના મહુવેજમાં 126 કરોડના પાણી પુરવઠા પ્રોજેક્ટના ખાતમહૂર્ત પ્રસંગે પધારેલા પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ નિવેદન આપ્યું છે. તેઓએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના ઘણા નેતાઓ અમારા સંપર્કમાં છે અને ભાજપમાં જોડાવવા તત્પર છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે હવે એટલા લોકો ભાજપમાં જોડાવા માંગે છે કે અમારે કોંગ્રેસના લોકોને ના કહેવું પડ્યું છે.
હાર્દિક પટેલનો કોંગ્રેસનો હાથ છોડવાના મુદ્દે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ કહ્યું હતું કે હવે તો હાર્દિક પટેલે પણ કોંગ્રેસને રામ રામ કહી દીધા છે. આ સાથે જ હવે કોંગ્રેસમાં ફક્ત ગણ્યા ગાંઠ્યા જ લોકો બચ્યા છે. કોંગ્રેસ પક્ષ હવે ડૂબતા જહાજ જેવું થઇ ગયું છે અને કોંગ્રેસ પાર્ટી નામશેષ થવાના આરે આવી ગઈ છે એવું પણ તેઓએ ઉમેર્યું હતું.
2022માં વિધાનસભામાં ભાજપના પરફોર્મન્સ અંગે તેઓએ કહ્યું હતું કે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકો પર ભાજપનો કેસરિયો લહેરાશે. આમ, એક તરફ જ્યાં કોંગ્રેસને અલવિદા કહેનાર હાર્દિક પટેલે જે રીતે ખુલ્લા પત્રમાં કોંગ્રેસ પક્ષ પર પ્રહાર કાર્ય છે. તે જોતા ભાજપના આગેવાનો અને કાર્યકરો પણ હાલ ગેલમાં આવી ગયા છે.
નોંધનીય છે કે હાર્દિક પટેલ પહેલા પણ કોંગ્રેસથી નારાજ થયેલા અનેક ધારાસભ્યો ભાજપની કંઠી બાંધી ચુક્યા છે. ત્યારે હાર્દિક પટેલના જવાથી કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. જેનો સીધો લાભ જોવા જઈએ તો બીજેપીને થવાનો છે. જોકે હાર્દિક કોંગ્રેસ છોડ્યા પછી ભાજપમાં જોડાશે તેવી ચર્ચા હાલ જોરમાં ચાલી રહી છે. જો એવું થશે તો ગુજરાતના રાજકારણમાં એક મોટો યુ ટર્ન આવશે.