સુરતમાં NEET ની પરીક્ષામાં વિદ્યાર્થિનીએ ગળામાં પહેરેલી કંઠી કઢાવતા થયો વિવાદ- જુઓ Video
આજે દેશભરના લાખો વિદ્યાર્થીઓ ધોરણ 12 સાયન્સ પછી મેડિકલ સહિતના ચાર કોર્સમાં પ્રવેશ માટે લેવાતી NEET ની પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે સુરતમાં આ પરીક્ષાને લઈને વિવાદ સામે આવ્યો છે. સુરતમાં પરીક્ષા ખંડમાં પ્રવેશ પહેલા થતા ચેકિંગ દરમિયાન એક વિદ્યાર્થિની પાસે ગળામાં પહેરેલી કંઠી કઢાવી નાખતા વિવાદ વકર્યો છે.

આજે દેશભરમાં મેડિકલમાં પ્રવેશ માટેની NEETની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા ગુજરાતના 80 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે દેશના 23 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જો કે સુરત શહેરમાં આ પરીક્ષામાં વિદ્યાર્થિનીએ ગળામાં પહેરેલી કંઠી ઉતરાવતા વિવાદ થયો છે.
શું હતો સમગ્ર ઘટનાક્રમ?
સુરતમાં પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થિનીને કંઠી કઢાવી પ્રવેશ અપાતા વિવાદ સર્જાયો. અમરોલીના ગૌતમી કન્યા વિદ્યાલયમાંથી આવિવાદના દૃશ્યો સામે આવ્યા છે. જ્યાં દીકરીની કંઠી ઉતારાવતા તેના પિતા રોષે ભરાયા હતા. પિતાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે “હિન્દુ રાષ્ટ્રનો ઝંડો ફરકાવો છો તો કંઠી શા માટે કઢાવો છો ? હું લાહોર કે રાવલપિંડીમાં થોડો રહું છું ? હું સુરતમાં છું” તેમ કહી પિતાએ રોષ ઠાલવ્યો હતો.
વાલીનું નામ પરેશ કાછડિયા હોવાનું સામે આવ્યું છે. તે આટલેથી જ ન અટક્યા. તેમણે પરીક્ષા આપવા વર્ગખંડમાં ગયેલી દીકરીને પરત બોલાવી અને તેને ફરી કંઠી પહેરાવવાની જીદ પકડી. પિતાની આ હરકતથી દીકરી પણ મૂંઝવણમાં મુકાઈ હતી. પરીક્ષામાં મોડું થતું હોઈ તે રડી પડી હતી.
“હિજાબ, બુરખો, ટોપી નથી ઉતરાવતા તો કંઠીમાં શું સમસ્યા છે ?”
વિવાદને પગલે પરીક્ષા કેન્દ્ર બહાર તણાવની સ્થિતિ સર્જાઈ હતી. રોષે ભરેલા પિતાનું કહેવું હતું કે “તમે હિજાબ ઉતરાવી ન શકો તો કોઈ વાંધો નહીં, હિજાબ રાખો, બુરખો રાખો, ટોપી પહેરો પણ હિન્દુ દીકરા-દીકરીઓની કંઠી શા માટે કાઢી નાખો છો ?” સ્થિતિ વણસતી જોઈને ત્યાં હાજર સૌએ પણ વાલીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે તેમનું આ વર્તન દીકરીની પરીક્ષા બગાડશે. આખરે વાલી ઠંડા પડ્યા હતા.
આપને જણાવી દઈએ કે ગુજરાતના 31 શહેરોના 211 કેન્દ્રોમાં પરીક્ષા યોજાઈ હતી. આ તમામ કેન્દ્રો પર દેખરેખ માટે 240 જેટલા નિરીક્ષકો નિમવામાં આવ્યા છે.