SURAT: લુંટેરી દુલ્હને અને તેના સાગરીતોએ મુંબઈના વેપારીને બનાવ્યો શિકાર, 5 આરોપીમાંથી એક પોલીસના સકંજામાં
સ્વાતિ નામની લુંટેરી દુલ્હન પસંદ આવી હતી. દલાલે તેને 20 હજાર રૂપિયા તેમજ યુવતીના ભાઈને દોઢ લાખ રૂપિયા આપવાની વાત કરી હતી. બધુ નક્કી થયા બાદ યુવક તેની માતા સાથે મુંબઈથી સુરત લગ્ન કરવા માટે આવ્યો હતો
SURAT: સોશ્યલ મીડિયાના ફોટો થકી અને દલાલ મારફતે લગ્ન કરનાર યુવકો માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મુંબઈના ભાઈન્દરમાં રહેતો 38 વર્ષય અંકિત જૈન તેની ઉંમર વધુ થઈ જવાથી તેણે તેના સમાજમાં કોઈ યુવતી લગ્ન માટે મળતી નહોતી. ત્યારે અંકિતે સુરતમાં રહેતા એક સતીષ પટેલ નામના દલાલ સાથે સંપર્ક થયો હતો. સતિષે તેને સુરતમાં લગ્ન કરાવી આપવાની ખાત્રી આપી હતી.સતિષ પટેલે તેને વોટ્સએપ પર અલગ અલગ યુવતીઓના ફોટો મોકલ્યા હતા.
જેમાંથી આ સ્વાતિ નામની લુંટેરી દુલ્હન પસંદ આવી હતી. દલાલે તેને 20 હજાર રૂપિયા તેમજ યુવતીના ભાઈને દોઢ લાખ રૂપિયા આપવાની વાત કરી હતી. બધુ નક્કી થયા બાદ યુવક તેની માતા સાથે મુંબઈથી સુરત લગ્ન કરવા માટે આવ્યો હતો અને વાત થયા મુજબ રોકડા રૂપિયા પણ આપ્યા હતા. ત્યારબાદ નકલી લગ્નનું નાટક શરૂ થયું હતું. લગ્નમાં નકલી સગા વ્હાલાઓ પણ શામેલ થયા હતા અને તાપી નદીના કિનારે એક મંદિરમાં પંડિતે સાત ફેરા પણ ફેરવી દીધા હતા.
લગ્ન બાદ મહિલા અને આ યુવક તેની માતા સાથે ઘર ગ્રહસ્તી વસાવા માટે પોતાના ઘરે મુંબઈ જવા કારમાં નીકળ્યા હતા, ત્યાં જ વરાછાના રચના સર્કલ પાસે જાણે પહેલેથી જ કોઈ પ્લાન હોય તે રીતે આ યુવતીએ તેને બાથરૂમ જવું હોઈ તેવું કહી બાથરૂમ જવા કોઈ કોમ્પ્લેક્ષમાં જતી રહી હતી.
કલાકો સુધી બહાર નહીં આવતા દુલ્હનને ફોન પર સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેનો ફોન નહીં લાગતાં તેના ભાઈ તેમજ દલાલને પણ ફોન કર્યા તો તેમના પણ ફોન બંધ આવ્યા હતા. જેથી યુવકને છેતરપિંડી થયાનું ભાન થયું હતું અને વરાછા પોલીસ મથકે આ પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે પણ તપાસના ચક્રો ગતિમાન કરીને તેમાં શામેલ એક વ્યક્તિની ધરપકડ કરી અને લૂંટેરી દુલ્હન, તેના બનેલા ભાઈ તેમજ દલાલને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આમ અજાણ્યા લોકો પર વિશ્વાસ મૂકીને લગ્ન કરવા ભારે પડ્યા હતા. રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના ખોવાનો વારો આવ્યો હતો. આ ચીટર ગેંગે કેટલા લોકોને પોતાની જાળમાં ફસાવ્યા છે તે તો હવે તમામની ધરપકડ બાદ જ પોલીસ તપાસમાં બહાર આવશે.
આ પણ વાંચો: Corona વેક્સિનના બંને ડોઝ લઇ ચૂકેલા હવાઇ મુસાફરોને મળી શકે છે RT-PCR ટેસ્ટમાંથી મુકિત