Surat : સુરતમાંથી હૃદય દાનની 40મી ઘટના, ઓરિસ્સાના યુવકના અંગદાનથી 6 વ્યક્તિઓને નવજીવન
સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ અને રશિયાના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પીટલમાં કરવામાં આવ્યા હતા. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.
ઓરિસ્સાના(Orissa ) ગંજામ જિલ્લાના અલાડી ગામનો રહેવાસી સુશીલ સાયણમાં વણાટ ખાતામાં કામ કરતો હતો. બુધવારના રોજ બ્લડ પ્રેસર (Blood Pressure) વધી જવાને કારણે તે બેભાન થઇ જતા તાત્કાલિક સાયણ જનરલ હોસ્પીટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને સુરતની હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને (Brain) કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું.
ડોક્ટરોએ સુશીલને બ્રેનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફનો ટેલીફોનીક સંપર્ક કરી સુશીલના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી હતી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી સુશીલ જે વણાટ ખાતામાં કામ કરતો હતો તેના માલિક ભાવેશભાઈ માસ્ટર સાથે રહી સુશીલના ભાઈ અને પરિવારને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.
સુશીલના ભાઈઓએ જણાવ્યું કે ઓરિસ્સાના વતનીનું સુરતથી અંગદાન થયું હતું તે સમાચાર અમે ટીવી ઉપર જોયા હતા. ત્યારે અમને થયું હતું કે શરીર તો બળીને રાખ જ થઇ જવાનું છે, આ એક ઈશ્વરીય કાર્ય છે. અમે વણાટ ખાતામાં કામ કરીને અમારા પરિવારનું ભરણ-પોષણ કરીએ છીએ.
જીવનમાં અમે કોઈ ચીજ-વસ્તુનું દાન કરી શકીએ તેમ નથી. અમારો ભાઈ બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે તેના અંગોના દાન થકી દર્દીઓને નવું જીવન મળતું હોય તો તેનાથી ઉત્તમ દાન કોઈ હોઈ જ ના શકે. ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે હ્રદય પર પત્થર મુકીને તેઓએ પોતાના ભાઈના અંગદાન કરવા માટેની સંમતિ આપી હતી.
SOTTO દ્વારા કિડની અને લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને, NOTTO દ્વારા હૃદય ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલને, ફેફસાં મુંબઈની સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા.
દાનમાં મેળવવામાં આવેલી બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી 52 અને 53 વર્ષીય વ્યક્તિમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભાવનગરના રહેવાસી 44 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પીટલમાં, હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નઈના રહેવાસી 47 વર્ષીય વ્યક્તિમાં ચેન્નાઈની MGM હોસ્પિટલમાં કરવામાં આવ્યું. મુંબઈમાં ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ જે દર્દીમાં કરવાનું હતું તે દર્દીનો કોવીડનો RTPCRનો રીપોર્ટ પોઝીટીવ આવતા ફેફસાંનું દાન થઇ શક્યું ન હતું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકએ સ્વીકાર્યું હતું.
સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ચાલીસ હૃદયના દાન કરાવવામાં આવ્યા છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર અને અમદાવાદ જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.
તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ અને રશિયાના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પીટલમાં કરવામાં આવ્યા હતા. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.
હ્રદય, કિડની અને લિવર સમયસર ચેન્નાઈ અને અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.
અંગદાતા સુશીલના માતા-પિતા ઓરિસ્સા રહે છે તેઓ પોતાના વ્હાલસોયા દીકરાના અંતિમ દર્શન કરી શકે તે માટે તેના પરિવારજનોએ તેના પાર્થિવ શરીરને તેના વતન ઓરિસ્સા લઈ જઈને અંતિમ સંસ્કાર કરવાની ઈચ્છા વ્યક્ત કરતા સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ ડોનેટ લાઈફ દ્વારા અંગદાતા સુશીલના પાર્થિવ શરીરને એર કાર્ગો તેમજ તેમના પરિવારજનોને વિમાન મારફત ઓરિસ્સા મોકલવામાં આવ્યા હતા.
અંગદાતા સુશીલના પાર્થિવ શરીરને સુરતથી એર કાર્ગો મારફત ઓરિસ્સા મોકલવા માટે “ના વાંધા પ્રમાણપત્ર” (NOC) આપવા માટે ડેપ્યુટી પોલીસ કમિશ્નર કે.એફ.બલોલીયા અને ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.કે. પટેલનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
આ પણ વાંચો : રાજકોટમાં કોમી એકતા જળવાઇ રહે તે માટે પોલીસે સર્વ ધર્મના આગેવાનોની બેઠક બોલાવી