Surat: ‘સાઈકલ રીસાઈકલ પ્રોજેક્ટ’ અંતર્ગત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને દિવાળીની ભેટમાં અપાઈ 35 સાઈકલ
સાયકલને સામાન્ય માણસનું વાહન ન ગણતા એક ઉપયોગી સંસાધન ગણી તેનો વપરાશ વધે સાથે સાયકલના ફાયદા અંગે જનજાગૃતિ માટે લોકો અને સંસ્થાઓએ આગળ આવવું જોઈએ. વધુમાં આજના સમયની ટ્રાફિકની વિકટ સમસ્યાને પણ હળવી કરી શકાય.
સુરત મહાનગરપાલિકા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત દ્વારા જૂની અને બિનઉપયોગી સાયકલો (cycle) મેળવી તેને રિસાયકલ(recycle) કરી જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે આપવાનો અનોખો ‘પ્રોજેક્ટ રિસાયકલ’ શરૂ કરાયો છે. આ ઝુંબેશમાં સહભાગી થઈને ‘ઈનર વ્હીલ ક્લબ ઓફ સુરત ઈસ્ટ’ની બહેનોએ પૂણા ગામની એલ.પી.ડી. હાઈસ્કૂલના 35 વિદ્યાર્થીઓને સાયકલના રૂપમાં દિવાળીની અનોખી ભેટ આપી હતી. રિસાયકલ થયેલી સાયકલ મળવાથી આ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના ચહેરા ખીલી ઉઠ્યા હતા, તેમના પરિવારને પણ હરખનો પાર નથી.
ભંગાર સાઈકલને કરાઈ રીસાઈકલ
કાર્યક્રમમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરતના પ્રમુખ કાનજી ભાલાળાએ જણાવ્યુ હતુ કે લોકોના ઘરે ભંગારમાં પડેલી ક્ષતિગ્રસ્ત સાયકલો મેળવીને રિપેરીંગ કરી આજે 35 વિદ્યાર્થીઓને ભેટ આપવામાં આવી, ત્યારે એમના ચહેરા પર સ્મિત રેલાયું એ આ પ્રોજેક્ટની સફળતા છે.
સાયકલિંગથી સ્વાસ્થ્ય જળવાય છે અને પર્યાવરણનું સંરક્ષણ થાય છે. વિદ્યાર્થીઓ સ્વસ્થ પણ રહેશે અને પર્યાવરણની રક્ષામાં પણ સહભાગી બનશે. આગામી એક વર્ષ દરમિયાન 1000 વ્યક્તિઓને સાયકલની ભેટ આપવાનો અમારો સંકલ્પ છે. જેમાં સહયોગી બનવા માટે નાણાકીય દાનની જરૂર નથી, પરંતુ જૂનીપુરાણી સાયકલ આપીને સેવાકાર્યમાં લોકો યોગદાન આપી શકે છે.
ઈનરવ્હીલ ઈસ્ટ સંસ્થાના પ્રેસિડેન્ટ જયશ્રી ભાલાળાએ જણાવ્યું હતું કે, સાયકલને સામાન્ય માણસનું વાહન ન ગણતા એક ઉપયોગી સંસાધન ગણી તેનો વપરાશ વધે સાથે સાયકલના ફાયદા અંગે જનજાગૃતિ માટે લોકો અને સંસ્થાઓએ આગળ આવવું જોઈએ. વધુમાં આજના સમયની ટ્રાફિકની વિકટ સમસ્યાને પણ હળવી કરી શકાય.
જૂની સાઈકલ આપીને બનાવાય છે નવી સાઈકલ
આ પ્રસંગે સુરતના બાયસિકલ મેયર તરીકે ઓળખાતા સુનિલ જૈને સુરતીઓને જૂની બિનઉપયોગી સાયકલનું દાન આપવા અપીલ કરતા જણાવ્યું કે જૂની સાયકલ આપવા માટે સૌરાષ્ટ્ર પટેલ સમાજની ઓફિસના ફોન નં. ૦૨૬૧-૨૫૪૦૪૧ ઉપર સંપર્ક કરી શકાશે.
જેથી વધુમાં વધુ લોકોને સાયકલની નિ:શુલ્ક ભેટ આપીને તેમની ખુશીનું કારણ બની શકાય છે. આ પ્રસંગે ડે. મેયર દિનેશભાઈ જોધાણી, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરતના પ્રમુખ કાનજી ભાલાળા તથા મંત્રી અરવિંદ ધડુકની ઉપસ્થિતિમાં બાળકોને દિવાળીની ખુશી સ્વરૂપે સાઈકલો આપવામાં આવી હતી.
આ પણ વાંચો : Surat: ટેકનિકલ ટેકસટાઈલ્સમાં વુવન માટે ખૂબ જ સારું ભવિષ્ય, ચાઈનાનું 50 ટકા માર્કેટ કેપ્ચર કરવાની તક
આ પણ વાંચો : Surat: ‘શો શુરૂ કિયા જાયે’ આજથી 100 ટકા ક્ષમતા સાથે થિયેટરો ખુલતા સિનેમા સંચાલકોને દિવાળી સુધરવાની આશા