Breaking News : ત્રણ ખાડી બનશે સુરત માટે મોટી આફત! ભારે વરસાદ બાદ ખાડીઓ ભયજનક સપાટી વટાવી ગઈ, જુઓ Video
સુરતમાં ભારે વરસાદને પગલે ત્રણ ખાડીઓ ભયજનક સપાટી વટાવી ગઈ છે. સિમાડા, ભેદવાડ અને મીઠી ખાડી ઓવરફ્લો થતા સરથાણા, પર્વત પાટિયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.

સુરત શહેરમાં ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરની મુખ્ય પાંચ ખાડીઓ પૈકી ત્રણ ખાડીઓ ભયજનક સપાટી વટાવી ચૂકી છે, જેનાથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને સામાન્ય જનજીવન પર વ્યાપક અસર પડી છે. વરસાદ બાદ તરત જ સિમાડા ખાડી ઓવરફ્લો થતા હાલાકીની શરૂઆત થઈ હતી. સિમાડા ખાડીની ભયજનક સપાટી 4.50 મીટર છે, જેની સામે હાલ તેની સપાટી 5.50 મીટર નોંધાઈ છે. આ સ્થિતિને કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે.
સિમાડા ઉપરાંત, ભેદવાડ ખાડી અને મીઠી ખાડી પણ ભયજનક સપાટી વટાવી
સુરતના સરથાણા જકાત નાકા, પર્વત પાટિયા, ચીકુવાડી અને સાણિયા જેવા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે હજારો લોકો પાણી વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા છે. આ ઉપરાંત, સમ્રાટ સર્કલ અને લિંબાયત જેવા મહત્ત્વના વિસ્તારોમાં પણ ખાડીપુરની સમસ્યા વકરી છે, જેના કારણે ટ્રાફિક અને અવરજવર ખોરવાઈ ગઈ છે. સિમાડા ઉપરાંત, ભેદવાડ ખાડી અને મીઠી ખાડી પણ ભયજનક સપાટી વટાવી ચૂકી છે, જેણે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે. અન્ય બે ખાડીઓ – કાકરા ખાડી અને ભાઠેના ખાડી પણ ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે, જેના કારણે આગામી સમયમાં વધુ વિસ્તારો પ્રભાવિત થવાની શક્યતા સેવાઈ રહી છે.
બંને સાઈડથી બિલ્ડીંગો બની ગયા
આ પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે સ્થાનિકોની મુશ્કેલીઓ સતત વધી રહી છે. લોકોનો મુખ્ય આક્ષેપ એ છે કે તંત્ર દ્વારા પાણીના નિકાલ અને ખાડી વ્યવસ્થાપન માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. સ્થાનિકોનું કહેવું છે કે, “દર વર્ષે ખાડી ઓવરફ્લો થાય છે. બંને સાઈડથી બિલ્ડીંગો બની ગયા છે. તો પાણી જાય ક્યાં? ઉપર વરસાદ વરસે તો પાણી તો આવવાનું છે.” આ નિવેદનો તંત્રની બેદરકારી અને આયોજનના અભાવ તરફ ઇશારો કરે છે. ખાડીઓની આસપાસ અનિયંત્રિત બાંધકામો અને દિવાલોના નિર્માણને કારણે ખાડીઓની પહોળાઈ અને ક્ષમતા ઘટી ગઈ છે, જેના લીધે થોડા વરસાદમાં પણ પાણીનો નિકાલ થઈ શકતો નથી અને પાણી શહેરમાં ફરી વળે છે.
આ સમસ્યાના કારણે લોકો માટે પોતાના ઘરમાંથી બહાર નીકળવું પણ અત્યંત મુશ્કેલ બની ગયું છે. ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા છે, અને અનેક લોકોએ ત્રણ-ચાર દિવસ સુધી ઘરમાં જ પુરાઈ રહેવું પડ્યું છે. આર્થિક મોરચે પણ મોટું નુકસાન થયું છે, ખાસ કરીને વાહનચાલકોને. પાણીમાં ડૂબી ગયેલી ફોર-વ્હીલર અને ટુ-વ્હીલર જેવી હજારો ગાડીઓને મોટાપાયે નુકસાન થયું છે, જેના કારણે સ્થાનિકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો સવાલ છે કે, “આમ આદમી કરે શું બિચારો?” પાણીનો નિકાલ ન થવાને કારણે દર વર્ષે આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, જેનાથી કાયમી ઉકેલની માંગણી વધુ પ્રબળ બની રહી છે.
ગણપતપુરા-માંગલેજ રોડ પર ગરનાળામાં પાણી ભરાતા વાહનચાલકો અટવાયા, નદીમાં જોવા મળ્યું મગરનું ઝુંડ
