Surat : NDRFની વધુ પાંચ ટીમ ભુવનેશ્વરથી સુરત પહોંચી, રાહત અને બચાવ કામગીરીમાં જોડાશે
સુરત(Surat) ખાતે NDRFની વધુ પાંચ ટીમ આવી પહોંચી છે. નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદની સ્થિતિમાં રાહત- બચાવની કામગીરી માટે ભૂવનેશ્વરથી વિશેષ ગ્લોબ માસ્ટર પ્લેનમાં 5 ટીમ પહોંચી છે.
ગુજરાતમાં(Gujarat) પડેલા ભારે વરસાદ અને સંભવિત આગાહીને લઈને સુરત ખાતે NDRFની વધુ પાંચ ટીમ આવી પહોંચી છે. નવસારી(Navsari) વલસાડ, ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદની સ્થિતિમાં રાહત- બચાવની કામગીરી માટે ભૂવનેશ્વરથી વિશેષ ગ્લોબ માસ્ટર પ્લેનમાં 5 ટીમ પહોંચી છે. આ ટીમ થકી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રાહત અને બચાવની કામગીરીમાં વિશેષ સહયોગ મળશે. હાલ આ ટીમ સુરત ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. જો કે તમામ પરિસ્થિતિને પહોચી વળવા માટે વહીવટીતંત્ર સજ્જ છે. તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં બચાવ અને રાહત કામગીરીમાં આ ટીમ આવતા સહયોગ મળશે. હાલ સુરત ખાતે આ NDRFની ટીમને સ્ટેન્ડ બાય રખાશે.
દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગમાં કપરી સ્થિતિ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તીવ્ર વરસાદ અસરગ્રસ્ત 6 જિલ્લાઓની સ્થિતી તેમજ જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરાયેલી બચાવ-રાહત, માર્ગ મરામત સહિતની કામગીરીની તલસ્પર્શી સમીક્ષા સી.એમ-ડેશબોર્ડના માધ્યમથી શુક્રવારે બપોરે કરી હતીઆ સમીક્ષા દરમ્યાન તેમણે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદરના જિલ્લા કલેકટરોને સ્પષ્ટપણે જણાવ્યું કે, વરસાદનું જોર હળવું થતાં જ આપણી અગ્રતા નુકસાનીનો સર્વે કરીને સહાય આપવાની તથા ખાસ કરીને માર્ગો-રસ્તાઓની મરામત કરી તેને પૂન: ઝડપભેર પૂર્વવત બનાવવાની હોવી જોઇએ.
નવસારી જિલ્લામાં વરસાદને કારણે પાછલા 48 કલાકમાં બચાવ અને રાહત કામગીરી
તેમણે જે વિસ્તારોમાં પાણી ભરાયા હોય તે દૂર કરવા, રોગચાળો ફેલાતો ડામવા દવા છંટકાવની બાબતોને પણ અગ્રતા આપવા જિલ્લા કલેકટરોને સુચનાઓ આપી હતી. મુખ્યમંત્રી જણાવ્યું કે, માર્ગોની મરામત કરીને પૂર્વવત કરવા માટે જો રાજ્ય સરકારની વધારાની મદદની જરૂરિયાત હોય તો કલેકટરો તે અંગેનું કાર્ય આયોજન મોકલી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને નવસારી જિલ્લામાં વરસાદને કારણે પાછલા 48 કલાકમાં જે સ્થિતી સર્જાઇ તેમાં જિલ્લા તંત્રએ ખડેપગે દિવસ-રાત બચાવ-રાહત કામગીરી કરી છે તેની સરાહના કરી હતી. રાજ્યના વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 1300 જેટલા લોકો રેસ્કયુ કરવામાં આવ્યા છે તેમાંથી માત્ર નવસારી જિલ્લામાંથી જ એક જ દિવસમાં 811 લોકોનું રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયુ છે
આ ઓપરેશનમાં કોસ્ટગાર્ડ, NDRF, અને સ્થાનિક તરવૈયાઓએ રાતભર જહેમત કરીને સૌને સલામત બહાર કાઢયા છે તેની વિગતો મુખ્યમંત્રીએ મેળવી હતી. નવસારીમાં એન.ડી.આર.એફ ની 4 અને એસ.ડી.આર.એફ ની ૬ ટીમ તૈનાત છે અને જરૂર જણાયે વધુ ટીમ મોકલવા પણ કેન્દ્ર સાથે સંકલન સાધવામાં આવ્યું છે તેમ આ વિડીયો કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું