સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે કાપડના વેપારી હરીશ બાંકાવાલા સાથે 5 કરોડની લૂંટને અંજામ આપવામાં આવ્યો, વેપારી પાસે રહેલી 5 કરોડની રોકડ લઈ લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા. શુક્રવારે થયેલી લૂંટની આ ઘટના બાદ વેપારીએ 100 નંબર પર ફોન કરી પોલીસને તેની જાણ કરી હતી. કરોડો રૂપિયાની લૂંટની જાણકારી મળતા જ સુરત પોલીસ એલર્ટ થઈ ગઈ અને તમામ પોઈન્ટ પર નાકાબંધી કરી હતી. જે અંતર્ગત જ્યારે ઈનોવા અને એમેજ કારમાં સવાર થઈને લૂંટારાઓ વલસાડથી મુંબઈ તરફ જઈ રહ્યા હતા. ત્યારે જ વલસાડ પોલીસની નાકાબંધીમાં ઈનોવા કારને રોકીને તેની તપાસ કરતા તેમાથી 4.54 કરોડ રૂપિયા મળી આવ્યા હતા.
લૂંટારુઓએ ઈનોવા કારનો નંબર પણ બદલી નાખ્યો હતો. આમ છતાં વલસાડ પોલીસે તેને બગવાડા ચેકપોસ્ટ પરથી પકડી પાડ્યા હતા. આ લૂંટારુઓમાંથી એક કયુબપાસા શેખ ભિવંડીનો રહેવાસી છે અને અન્ય આરોપી શૈલેન્દ્ર સિંહ કુંજ બિહારી જોગેશ્વરીના રહેવાસી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે તેમની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આ લૂંટ કેસમાં વધુ ત્રણ લોકો સામેલ છે. તેમને પકડવા પોલીસે નાકાબંધી વધારી દીધી હતી.
લૂંટારુઓની અમેઝ કાર ભીલાડ ચેકપોસ્ટ પાસે એક ટેન્કરની પાછળથી અથડાઈ હતી. જેમાં એક લૂંટારૂ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેમને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બે લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. ડિસ્ચાર્જ થતાં જ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર કેસમાં અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે અને જેઓ આ કેસમાં ફરાર છે. તેમના માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
લૂંટનો ભોગ બનેલા કાપડના વેપારીએ લૂંટની 35 મિનિટ બાદ સુરત પોલીસને લૂંટની આ ઘટનાની જાણ કરી હતી. આ પછી સુરત શહેરની 200થી વધુ પોલીસ તપાસમાં લાગી ગઈ હતી અને આજુબાજુના જિલ્લાની પોલીસ નાકાબંધીમાં લાગી ગઈ હતી અને તમામ જગ્યાએ નાકાબંધી કરી દેવાઈ હતી. જેના કારણે કરોડો રૂપિયાની લૂંટ ચલાવી નાસી છૂટેલા લૂંટારુઓની ધરપકડ કરવામાં આવી છે.
ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે બાકીના આરોપીઓની ઓળખ થઈ શકી નથી, પરંતુ શૈલેન્દ્ર સિંહ નામનો વ્યક્તિ ફરિયાદી કાપડના વેપારીના પરિચીત શ્રીકાંત જોશીને ઓળખે છે. તેના દ્વારા જ શૈલેન્દ્ર સંપર્કમાં આવ્યો હતો અને શરૂઆતમાં શૈલેન્દ્રનું પણ અપહરણ કરવામાં આવ્યું હતું. તેવી વાત કહેવામાં આવી હતી. જોકે તે એ લોકો સાથે તે મળેલો જ હતો. આથી તેની પણ ધરપકડ કરવામાં આવી છે.
લૂંટની આ ઘટનામાં કુલ 9 લોકો સામેલ હતા. ઈનોવા કારમાં પાંચ લોકો સવાર હતા જ્યારે અમેઝ કારમાં ચાર લોકો સવાર હતા. ઈનોવામાંથી એક વ્યક્તિ પકડાયો છે જ્યારે અમેઝ કારમાંથી ત્રણ વ્યક્તિ ઝડપાઈ છે. આ લોકોએ વેપારીનું અપહરણ કર્યુ ન હતુ. તેને ડરાવી, ધાકધમકી આપી તેમની પાસેથી પૈસા લૂંટીને ચાલ્યા ગયા હતા. લગભગ દોઢ મહિનાથી આરોપીઓ આ લૂંટને અંજામ આપવાનો પ્લાન બનાવી રહ્યા હતા. લૂંટને અંજામ આપ્યા બાદ આ લોકો થોડો સમય સુરતમાં નાસતા ફરતા હતા અને પછી મુંબઈતરફ રવાના થયા હતા.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 2:14 pm, Sun, 22 September 24