Surat: અંગદાન થકી 12-12 લોકોને નવું જીવન આપનાર વિદ્યાર્થી મીત અને ક્રિશને શાળામાં શ્રદ્ધાંજલિ અપાઈ
બે વિદ્યાર્થી મિત્રોના અંગદાન થકી 12-12 વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે. વિદ્યાર્થી મીત પંડ્યા અને ક્રિશ ગાંધીના માનમાં આજે સુરતની શારદાયતન સ્કૂલ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.
થોડા દિવસો પહેલા સુરત (Surat)ના વેસુ વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતમાં પીપલોદની શારદાયતન શાળામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી મિત્રોના અંગદાન થકી 12-12 વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે. વિદ્યાર્થી મીત પંડ્યા (Meet Pandya) અને ક્રિશ ગાંધી (Krish Gandhi)ના માનમાં આજે સુરતની શારદાયતન સ્કૂલ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.
કમનસીબે વાહન દુર્ઘટનામાં અકાળે મૃત્યુને ભેટેલા બંને વિદ્યાર્થીઓ માટે આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટીઓ, આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત કથાકાર અને ભજનિક પણ ઉપસ્થિત રહ્યા હતા. અંગદાનની આ ઘટનામાં મહત્વની ભૂમિકા ભજવનાર ડોનેટ લાઈફ સંસ્થાના પ્રમુખ નિલેશ માંડલેવાલા પણ હાજર રહ્યા હતા. શાળા સંચાલક મંડળના પ્રમુખ દિપક રાજ્યગુરૂએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
શ્રદ્ધાંજલિ સભામાં બંને વિદ્યાર્થીઓના પરિવારજનો તથા શિક્ષકો અને વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રદ્ધાંજલિ સભામાં મૃતકોના આત્માને શાંતિ પ્રદાન થાય તેવી પ્રાર્થના કરવા સાથે ભજન પણ કરવામાં આવ્યું હતું. યુવાન દીકરાઓ ગુમાવી દેનાર પરિવારજનો ધ્રુસકે ધ્રુસકે રડી પડતા કાર્યક્રમમાં ગમગીની છવાઈ ગઈ હતી. શિક્ષક દિન પહેલા જ શાળા ભવનમાં આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
દશગામ હિન્દૂ ત્રિવેદી મેવાડા સમાજના બ્રેઈનડેડ મીત પંડ્યા અને સુરતી મોઢવણિક સમાજના ક્રિશ ગાંધી બંને 18 વર્ષના હતા. બંને બાળપણથી જ ખાસ મિત્ર હતા. ધોરણ 1થી બંન્નેએ સાથે જ અભ્યાસ કર્યો હતો. તારીખ 24 ઓગસ્ટના રોજ મીત અને ક્રિશ બપોરે એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક અજાણ્યા કાર ચાલકે એક્ટિવાની પાછળના ભાગે ટક્કર મારતા તેઓ બંને એક્ટિવા પરથી નીચે પડી ગયા હતા. માથામાં ગંભીર ઈજા થતા તેઓ બેભાન થઈ ગયા હતા.
રાહદારીઓએ 108 એમ્બ્યુલન્સથી તેમને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં સીટી સ્કેન કરાવતા તેઓ બ્રેઈન હેમરેજ અને મગજમાં લોહીનો ગઠ્ઠો જામી જવાના કારણે તબીબોએ બંનેને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. જોકે પંડ્યા અને ગાંધી પરિવારના સહમતીથી ડોનેટ લાઈફના માધ્યમથી બંને મિત્રોના લીવર, કિડની, હૃદય, ફેફસા અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતી. જેના દ્વારા 12 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યુ હતુ.
આ પણ વાંચો : BHAVNAGAR : શહેર અને જિલ્લામાં રોગચાળામાં વધારો, સરટી હોસ્પિટલના કેમ્પસમાંથી ડેન્ગ્યુના 20 કેસો મળ્યા