Rajkot : વાહન ચેકિંગ દરમિયાન Harassment કરવામાં આવતા હોવા આક્ષેપ, જુઓ Video
રાજકોટમાં ટ્રાફિક પોલીસની કામગીરીને લઈને કોંગ્રેસે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતા રોહિતસિંહ રાજપૂતે દાવો કર્યો છે કે દંડના નામે લોકોને હેરાન કરવામાં આવે છે અને વાહન ચેકિંગના નામે તોડ કરવામાં આવે છે.

રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસની કામગીરી ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. કોંગ્રેસ પક્ષે રાજકોટ ટ્રાફિક પોલીસ પર ગંભીર આક્ષેપો કરીને તેમની કાર્યપદ્ધતિ પર સવાલો ઉભા કર્યા છે. કોંગ્રેસના નેતા રોહિતસિંહ રાજપૂતે એક મહત્વપૂર્ણ નિવેદન આપતાં દાવો કર્યો છે કે ટ્રાફિક પોલીસ દંડના નામે સામાન્ય નાગરિકોને હેરાનગતિ કરી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસનું મુખ્ય કાર્ય ટ્રાફિક નિયમન અને શહેરની વાહન વ્યવસ્થા સુચારુ રીતે જાળવવાનું છે, લોકો સાથે કનડગત કરવાનું નથી.
રોહિતસિંહ રાજપૂતના જણાવ્યા અનુસાર, છેલ્લા એકાદ મહિનાથી રાજકોટ શહેર પોલીસની ટ્રાફિક શાખા અતિ સક્રિય બની છે, જાણે રાજકોટ શહેરની ચારે બાજુ કિલ્લેબંધી કરી હોય તેવું વાતાવરણ સર્જાયું છે. શહેરની શેરી ગલીઓમાં પણ ટ્રાફિક પોલીસના બ્રિગેડિયરોના ટોળાં જોવા મળી રહ્યા છે. તેમણે કબૂલ્યું કે બ્લેક ફિલ્મ, હોર્ન, હથિયારો કે કેફી પદાર્થો બાબતે પોલીસ દ્વારા જે ડ્રાઈવ ચલાવવામાં આવે છે તે આવકારદાયક છે, પરંતુ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનના નામે રાજકોટના સામાન્ય જનતાઓને કનડગત કરવાની અનેક ફરિયાદો તેમની સમક્ષ આવી છે.
કોંગ્રેસ નેતાએ રાત્રીના સમયે વાહન ચેકિંગ દરમિયાન થતી પરેશાનીઓનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, રાત્રીના સમયે બહારથી આવતા લોકોને પણ પોલીસ દ્વારા પરેશાન કરવામાં આવે છે. ચોટીલાથી રાજકોટ શહેર પોલીસની હદમાં પ્રવેશતા બામણબોર ચોકી, હિરાસર એરપોર્ટવાળી ચોકડી અને ગ્રીનલેન્ડ ચોકડી જેવા મુખ્ય પ્રવેશદ્વારો પર રાત્રિના ત્રણ-ત્રણ વાગ્યે પણ ટીઆરબી (ટ્રાફિક બ્રિગેડ) જવાનોના મોટા ટોળાં તૈનાત હોય છે. ફેમિલી સાથે મુસાફરી કરી રહેલા લોકોને પણ ટોર્ચથી ચેક કરવામાં આવે છે. રોહિતસિંહ રાજપૂતે આ સ્થિતિને “પાંચ કિલ્લાઓ પાર કરવા પડે” તેવી ગણાવીને સામાન્ય નાગરિકોની અગવડતાને ઉજાગર કરી છે.
આ ઉપરાંત, તેમણે વધુ એક ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે વાહન ચેકિંગના નામે ટ્રાફિક પોલીસ દ્વારા “તોડ” કરવામાં આવતી હોવાની પણ ફરિયાદો સામે આવી રહી છે. આ તમામ આરોપો અને પુરાવાઓ સાથે રોહિતસિંહ રાજપૂતે રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશનર સમક્ષ સત્તાવાર રજૂઆત કરી છે. કોંગ્રેસે ટ્રાફિક પોલીસની કથિત ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે, જેથી સામાન્ય નાગરિકોને થતી પરેશાનીઓનો અંત આવે.
આ સમગ્ર મામલે પોલીસ તંત્ર તરફથી સત્તાવાર સ્પષ્ટતા શું આવે છે અને તેઓ આ આક્ષેપો અંગે કેવા પગલાં લે છે તે જોવું રહ્યું. ટ્રાફિક નિયમોનું પાલન કરાવવું અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવી આવશ્યક છે, પરંતુ આ પ્રક્રિયા દરમિયાન નાગરિકોના અધિકારોનું હનન ન થાય અને પોલીસની કામગીરી પારદર્શક રહે તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે. આ વિવાદ હવે રાજકોટમાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે.
₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલો