RAJKOT : સિવીલ ફરી વિવાદમાં, મૃતદેહ પરથી સોનાના દાગીના ગુમ, તંત્ર કહે છે મળશે તો આપીશું
RAJKOT : સિવીલ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. કોવિડ હોસ્પિટલમાંથી જે મૃતદેહ આપ્યો તેમાંથી સોનાના દાગીના ગુમ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
RAJKOT : સિવીલ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. કોવિડ હોસ્પિટલમાંથી જે મૃતદેહ આપ્યો તેમાંથી સોનાના દાગીના ગુમ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. રાજકોટની કોવિડ હોસ્પિટલમાં મીનાબેન હાથી નામના મહિલા 2 તારીખના રોજ એડમીટ થયા હતા. અને 7 તારીખે મીનાબેન હાથીનું મૃત્યુ થયું હતું.
8 એપ્રિલના રોજ જ્યારે કોવિડ હોસ્પિટલ દ્વારા પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. ત્યારે તેના ભત્રીજાએ દર્દીના સામાનમાં સોનાનો ચેઇન,મગમાળા અને નાકની ચૂક તથા રોકડ રૂપિયા અને મોબાઇલ ફોન ગુમ હોવાનું કહ્યું હતું. અને, આ વાત જાણીને પરિવારના માથે એક તરફ દર્દીનું મોત અને બીજી તરફ ઘરેણાં ગુમ થવાની વાતથી મુશ્કેલી ઉભી થઇ હતી. જોકે હોસ્પિટલ તંત્રએ આ બાબતે યાદી કરી લીધી હોવાનો દાવો કર્યો હતો. અને, આવતીકાલે આપની ચીજવસ્તુ લઇ જજો તેવું કહ્યું હતું. જોકે ત્યારબાદ પરિવારજનો સિવીલના કન્ટ્રોલ રૂમમાં પહોંચ્યા હતા. ત્યારે હોસ્પિટલ તંત્ર દ્વારા અણછાજતો જવાબ મળ્યો હતો. તંત્રએ કહ્યું કે આપની ચીજવસ્તુ મળશે તો આપીશું અને ન મળે તો તમે પોલીસ ફરિયાદ કરી દેજો તેવો જવાબ આપ્યો હતો.
આ ઘટના સિવીલ હોસ્પિટલમાં ચાલતા અંધેર તંત્રનો ચિતાર આપે છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા એક જીવીત વ્યક્તિને મૃત ગણીને પરિવારજનોને ફોન કરી દીધો હતો. જ્યારે બીજી ઘટનામાં મૃતકના પરિવારજનોને મૃતદેહ સોંપીને બીજા દિવસે ફરી મૃતદેહ લઇ જવા માટેનો ફોન આવ્યો હતો. રાજકોટ સિવીલ હોસ્પિટલમાં કોરોનાની સ્થિતિની સમિક્ષા કરવા માટે ખાસ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે આ મુદ્દે તંત્ર કોઇ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું મહત્વનું રહેશે.
એક તરફ જયારે રાજકોટમાં કોરોનાનો કહેર છે. ત્યારે બીજી તરફ હોસ્પિટલ તંત્રના આવા બેજવાબદારભર્યા વલણને કારણે સામાન્ય લોકોમાં સિવિલ હોસ્પિટલ તરફથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. લોકો મોતને ભેંટી રહ્યાં છે ત્યારે હોસ્પિટલમાંથી સોનાનાં દાગીના ગુમ થવા એ મોટી ભૂલ ગણી શકાય. ત્યારે આવા કેસમાં દર્દીઓના સગાએ શું કરવું જોઇએ એ એક પણ મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે. અને, ખરેખર આવા કેસમાં દર્દીના સગાઓને પોતાના ગુમ દાગીના પરત મળી જશે કે નહીં તે પણ હવે તો ભગવાન જ જાણે.