રાજકોટ લોકસભા બેઠક,આમ તો આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે, પરંતુ આ વખતે સ્થિતિ કંઇક અલગ છે. રાજકોટ લોકસભા બેઠકમાં જે રાજકીય સ્થિતિઓ એક પછી એક જોવા મળી તેના પરથી ભાજપ માટે અહીં જીત થોડી મુશ્કેલ થતી જોવા મળી છે. ભાજપ સામે પડકારો અનેક છે અને તેની વચ્ચે ડેમેજ કન્ટ્રોલ કરવું ભાજપ માટે જરૂરી બન્યું છે. રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે આ સીટ પર ભાજપનું પલડું ભારે છે, કોંગ્રેસ 2009નું પુનરાવર્તન કરવા મથી રહી છે.
રાજકોટ લોકસભા બેઠક. આમ આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. પરશોત્તમ રૂપાલા ઉમેદવાર જાહેર થયા બાદ આ સીટ પર કોંગ્રેસ કોને મેદાને ઉતારશે તે મોટો સવાલ હતો અને ભાજપ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યું હતું, પરંતુ પરશોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ સ્થિતિ બદલાઇ,સુષ્ક હાલતમાં રહેલી કોંગ્રેસમાં પણ નવા પ્રાણ ફુંકાયા છે.
આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણીનું નામ જાહેર થતા રાજકીય સ્થિતિ બદલતી જોવા મળી રહી છે.આ સીટ પર ભાજપનું પલડું ભારે છે, પરંતુ આ બધાની વચ્ચે ભાજપને કેટલાક પડકારો પણ છે જે માટે ભાજપના નેતાઓ કમર કસી રહ્યા છે.
પરશોત્તમ રુપાલાએ કરેલી ટિપ્પણી બાદ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજે ભાજપનો વિરોધ કરવા અંગે રણશીંગુ ફુકી દીધું છે.રાજકોટ બેઠક આ ક્ષત્રિય આંદોલનનું એપી સેન્ટર બન્યું છે તેવા સંજોગોમાં અહીં ભાજપને ડેમેજ કન્ટ્રોલ કરવું થોડું મુશ્કેલ બની શકે છે.ક્ષત્રિય સમાજે રાજકોટમાં રાજકીય પાર્ટીની જેમ જ કાર્યાલય ખોલીને વોર્ડ વાઇઝ ટીમ બનાવી છે જે ભાજપને મત ન મળે તે માટે પ્રયત્ન કરશે.
એક અંદાજ પ્રમાણે રાજકોટ લોકસભા બેઠકમાં 1 લાખ 45 હજાર જેટલા ક્ષત્રિય મતદારો છે.અત્યાર સુધી આ ભાજપની વોટબેંક હતી પરંતુ આંદોલન અને તેની અસરને કારણે ભાજપને આ વોટબેંક નુકસાન પહોંચાડી શકે છે.
કોંગ્રેસે આ સીટ પર રાજકીય દાવ ફેંક્યો છે.પરંપરાગત જ્ઞાતિને ટિકીટ આપવાને બદલે ભાજપના કડવા પાટીદાર ઉમેદવારની સામે લેઉવા પાટીદારમાંથી આવતા પરેશ ધાનાણીને ટિકીટ આપી છે.આ સીટ પર વર્ષો સુધી લેઉવા પાટીદાર ઉમેદવારની જીત થતી હતી પરંતુ છેલ્લી બે ટર્મથી આ સીટ પર કડવા પાટીદાર ઉમેદવાર વિજેતા બની રહ્યા છે.
જો સીટમાં મતદારોની વાત કરીએ તો આ સીટ પર 5 લાખ પાટીદારો પૈકી 3.50 લાખ પાટીદારો લેઉવા પટેલ છે જ્યારે 1.50 લાખ પાટીદારો કડવા પટેલ છે.આવા સંજોગોમાં જો લેઉવા પાટીદાર ભાજપથી વિમુખ થાય તો ભાજપને નુકસાન પહોંચાડી શકે છે.
રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ એ કોઇ નવી વાત નથી.જો કે પરશોત્તમ રુપાલાના આવવાને કારણે આ જુથવાદ સમી ગયો તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા પરંતુ વાસ્તવિકતા અલગ છે.એક સમાચાર પ્રમાણે ક્ષત્રિય સમાજના આંદોલનને વેગ આપવામાં ભાજપના જ કેટલાક લોકોની ભૂમિકાની ચર્ચાઓ થઇ રહી છે,વળી સ્થાનિક નેતાઓ આ વિરોધને ડામવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે.
આ કારણે આ સીટ પર ભાજપ માટે વધુ કપરી સ્થિતિ ઉભી થઇ છે. પરશોત્તમ રૂપાલા મૂળ અમરેલીના રહેવાસી છે. તેઓ રાજકીય રીતે દિગ્ગજ નેતા છે પરંતુ રાજકોટના લોકલ કનેકશન અને ચૂંટણીની રણનિતીથી તેઓ એટલા માહિતગાર ન હોય તે સ્વાભાવિક છે, ત્યારે સ્થાનિક નેતાઓના નિરુત્સાહ ભાજપને નુકસાન પહોંચાડી શકે છે.
સામાજિક આંદોલનથી રાજકીય નુકસાન સ્વભાવિક જોવા મળતું હોય છે.પાટીદાર અનામત આંદોલનના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ત્યારબાદ વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મોટું નુકસાન થયું હતું. જો કે ત્યારબાદ રાજકીય પરિસ્થિતિઓ બદલાઇ અને ભાજપ પાટીદાર સમાજને પોતાના તરફ આકર્ષવામાં સફળ રહ્યું.જો ક્ષત્રિય સમાજની માગને લઇને હવે ભાજપ માટે ચિંતા જરૂર ઉભી થઇ છે. ક્ષત્રિય સમાજની બહુમતી ધરાવતી 8 લોકસભાની બેઠકો છે. જેમાં ક્ષત્રિય સમાજની વસ્તી વધારે છે, પરંતુ તેઓ નિર્ણયક ભુમિકામાં નથી.
ભાજપ સામે અનેક પડકારો છે અને તેના કારણે જ કોંગ્રેંસ વર્ષ 2009નું પુનરાવર્તન થાય તેવી રણનિતી બનાવી રહ્યું છે. વર્ષ 2009માં ભાજપે કિરણ પટેલને ટિકિટ આપી હતી. જેઓ રાજકોટના શિક્ષણવિદ્દ હતા. જો કે આ ટિકિટને લઇને ભાજપના સ્થાનિક નેતાઓમાં નારાજગી હતી. જેના કારણે ભાજપના નેતાઓ આ ચૂંટણીમાં નિરુત્સાહી રહ્યા. વળી ખોડલઘામના પ્રમુખ નરેશ પટેલ કોંગ્રેસના તે સમયના ઉમેદવાર કુંવરજી બાવળિયાના ખુલ્લા સમર્થનમાં આવ્યા હતા, જેના કારણે ભાજપે આ સીટ ગુમાવવાનો વારો આવ્યો હતો.
જો કે રાજકીય વિશ્લેષકો આ સીટ પર ભાજપનું પલડું ભારે હોવાનું માની રહ્યા છે.રાજકીય વિશ્લેષક જગદિશ મહેતાના કહેવા પ્રમાણે રાજકોટમાં 22 લાખ મતદારો છે જેમાંથી ક્ષત્રિય,લઘુમતી,દલિત સમાજ અને લેઉવા પાટીદારના 50 ટકા મત અને કડવા પાટીદારના મત કોંગ્રેસને મળે તો પણ જીત અધરી છે.રાજકોટમાં નાના-નાના સમાજના 5 લાખથી વધારે અને કોળી સમાજના પાટીદારો જેટલા મત છે જેના કારણે ભાજપને ફાયદો થશે.જરૂરથી 5 લાખનો ભાજપનો જે ટાર્ગેટ છે તે કદાચ હવે પુરો નહિ થાય
સાવ સહેલાઇથી અને જંગી લીડથી જીત માટે માનવામાં આવતી રાજકોટ લોકસભા બેઠક પર અનેક વિવાદો અને આંતરિક જુથબંધીને કારણે ભાજપની કસરત વધી ગઇ છે.આમ તો ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે જેથી કાર્યકર્તાઓને શિસ્તમાં અને શાનમાં સમજાવી પણ શકે છે અને ડેમેજ કન્ટ્રોલમાં માહિર હોવાને કારણે ચૂંટણીલક્ષી રણનિતી બનાવી પણ શકે છે અને જીત માટે મહત્તમ પ્રયત્ન કરે છે.તેવા સંજોગોમાં રાજકીય આફતને પોતાની જીતના અવસરમાં ફેરવવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવશે તેવું પણ રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે.
5 લાખની લીડ સાથે જીતના દાવા કરતા ભાજપ માટે રાજકોટ બેઠક હવે અસ્મિતાનો સવાલ બની છે અને એટલા માટે જ ભાજપે પ્રચારની રણનિતી બદલી છે.ભાજપ ક્ષત્રિય સમાજમાં પણ ડેમેજ કન્ટ્રોલના પ્રયત્ન કરી રહ્યું છે અને આંતરિક પડકારોને ખાળવા મથી રહ્યું.ખૈર આખરી નિર્ણય તો મતદારોના હાથમાં છે.આઁદોલનો અને વિરોધ વચ્ચે મતદારોનો મિજાજ શું છે તે તો પરિણામના દિવસે જ જાણી શકાશે.
Published On - 1:38 pm, Wed, 24 April 24