રાજકોટમાં વાલ્મિકી સમાજના યોજાયેલા સ્નેહ મિલન સમારોહ પરશોત્તમ રૂપાલાએ સભા સંબોધી હતી. આ દરમિયાન પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોંતુ રાખ્યુ અને મહારાજાઓ નમ્યા, રાજા- મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેમની તલવાર આગળ પણ નહોંતા ઝુક્યા.
આ નિવેદન બાદ ક્ષત્રિય સમાજ લાલઘુમ થયો છે અને રૂપાલાને કોઈપણ ભોગે માફ કરવાના મૂડમાં જણાતો નથી. ક્ષત્રિય સમાજે રાજકોટથી રૂપાલાને હટાવવાની પણ માગ કરી છે. જો તેમ નહીં થાય તો સમગ્ર ક્ષત્રિય સમાજ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ક્ષત્રિય સમાજે હવે મતોના માધ્યમથી રૂપાલાને સબક શીખવવાનું નક્કી કર્યુ છે.
હાલ આ સમગ્ર વિવાદ પર ભાજપના એકપણ ક્ષત્રિય નેતાએ આગળ આવીને એકપણ શબ્દ ઉચ્ચાર્યો નથી. રૂપાલાના સમર્થનમાં કે ક્ષત્રિય સમાજના સમર્થનમાં ભાજપના એકપણ નેતા આગળ આવ્યા નથી. ક્ષત્રિય નેતાઓ હાલમાં આ વિવાદ મુદ્દે નિવેદન આપવાથી પણ બચી રહ્યા છે. રૂપાલાના સમર્થનમાં ખુલીને આવવામાં પણ ખચકાટ અનુભવી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી ક્ષત્રિય સમાજે રૂપાલા સામે બાંયો ચડાવી છે પરંતુ ભાજપના એકપણ ક્ષત્રિય નેતા આ વિવાદ પર કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાથી બચી રહ્યા છે.
આ તમામ ઘટનાક્રમ વચ્ચે આજે રાજકોટના ગોંડલમાં જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળ્યુ છે. જેમા ભાજપના રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ભાજપના ચાર ધારાસભ્યો અને શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા સહિતના હાજર રહ્યા છે. ભાજપના 9 મોટા નેતાઓની આ બેઠકમાં હાજરી છે.
ભાજપના ક્ષત્રિય રાજપૂત આગેવાનોની અવગણના પણ આ બેઠકમાં એક મુદ્દો રહે તો નવાઈ નહીં. કારણ કે ભાજપમાં એક સમયના દિગ્ગજ ક્ષત્રિય નેતાઓ રહેલા પ્રદિપસિંહ જાડેજા, પ્રદિપસિંહ વાઘેલા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, હકુભા જાડેજા, આઈ.કે.જાડેજા, અને કિરીટસિંહ રાણા સહિતનાને કોરાણે કરી દેવાયા છે. આ સાઈડલાઈન થયેલા નેતાઓની આળપંપાળ હવે ભાજપે ફરી કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. ભાજપે હાલ બે ઓપરેશન કરવા પડે તેવી સ્થિતિ છે.
જેમાં અસંતુષ્ટ ક્ષત્રિય નેતાઓને વિશ્વાસમાં લેવા પડશે અને ચૂંટણી પછી રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણની જે ચર્ચાઓ છે તેમા પણ તેમનો સમાવેશ કરવાની તૈયારી રાખવી પડે તેવી સ્થિતિ છે. હાલ જોવા જઈએ તો આ ભાજપના આ દિગ્ગજ ક્ષત્રિય નેતાઓમાં પણ એક પ્રકારની નારાજગી જોવા મળી રહી છે અને તેઓ અસંમજસમાં પણ જોવા મળી રહ્યા છે કે સમાજની સાથે રહેવુ કે રૂપાલાની મદદે જવુ.
2017માં પાટીદાર આંદોલન સમયે સહુ જોયુ હશે કે પાટીદાર અગ્રણીઓ અને પાટીદાર નેતાઓ ભાજપની પડખે ઉભા રહ્યા હતા અને ભાજપ તરફથી સમાજ સાથે વાટાઘાટો કરતા જોવા મળ્યા હતા.જેની સાપેક્ષે આ વિવાદમાં એવુ કંઈ ચિત્ર જોવા નથી મળી રહ્યુ. જેમા ભાજપના એકપણ ક્ષત્રિય નેતા સમાધાનકારી વલણમાં સામે આવ્યા નથી. જેના પરથી એ વાત સ્પષ્ટ જોવા મળી રહી છે કે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં જે ક્ષત્રિય નેતાઓને ભાજપે સાઈડલાઈન કર્યા હતા તેની નારાજગી પણ હાલ જોવા મળી રહી છે.
કેડરબેઝ પાર્ટી હોવાનો દાવો કરતી ભાજપ પાસે તમામ સમાજના પ્રતિનિધિઓ અને નેતાઓની ટીમ છે તેમ છતા પણ હાલ જે ક્ષત્રિય સમાજનો વિવાદ ગરમાયો છે તેના પર કોઈ ટિપ્પણી કરવાથી પણ ક્ષત્રિય નેતાઓ બચી રહ્યા છે. ગુજરાતભરમાં અનેક જગ્યાએ રૂપાલા સામે ફરિયાદ થઈ રહી છે. બદનક્ષીની ફરિયાદ, આચાર સંહિતા ભંગ સહિતના ફરિયાદો રૂપાલા સામે થઈ રહી છે પરંતુ ભાજપ પાસે ક્ષત્રિય નેતાઓની ફોજ કહી શકાય એટલા નેતાઓ છે છતા કોઈપણ નેતા ના તો ખુલીને કોઈ પ્રતિક્રિયા આપી રહ્યા છે નાતો વાટાઘાટો માટે આગળ આવી રહ્યા છે
આ પણ વાંચો: વિવાદને શાંત પાડવા રૂપાલા લઈ શકે છે સંતોનું શરણ, ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 7:47 pm, Fri, 29 March 24